1. News
  2. News
  3. જાગો મોહન‌ પ્યારે! એ ગીત થકી સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરની જાગૃતિ સુધી પહોંચીએ!

જાગો મોહન‌ પ્યારે! એ ગીત થકી સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરની જાગૃતિ સુધી પહોંચીએ!

Share

Share This Post

or copy the link

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. વસુધૈવ કુટુંબની ભાવનાથી લખાયેલા જીવન વૃતાંત ને વસુધૈવ કુટુંબ એ વધાવ્યો, અને જે પ્રતિષ્ઠા કેવળ સદગુરુ કૃપા છે, એનો યશ મને આપ્યો, એ માટે ધન્યતા અનુભવી. ગઈકાલે મારા જન્મ દિવસને ખાસ બનાવવા મેસેજ તથા ફોનથી શુભેચ્છાનો વરસાદ વરસાવનાર સૌ સ્નેહીજનો નો હ્રદય પૂર્વક ખૂબ ખૂબ આભાર માનુ છું, અને આશ્ચર્ય તો એ વાતનું થયું કે શું સાચે આટલા બધા લોકો ચિંતન વાંચે છે? સૌનો એક જ મત હતો , તમે ખૂબ સરસ શૈલીમાં લખો છો! પણ આ ખાલી લેખન નથી, જીવન જીવવાની રીત છે, અને જે મેં શબ્દશઃ અપનાવી છે. કાલે લખ્યું હતું એમ કે માત્ર નાની નાની જાગૃતિનું આ પરિણામ છે, અને જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે! નરસિંહનું પ્રભાતિયું આજે પણ આપણા અંતરાત્માને જગાડી શકે તેમ છે. નરસિંહનાં જાદવાને હવે એ જ પ્રાર્થના છે કે, દાદી નાની કહેવા વાળું ઝડપથી આવે,પણ એ તો યોગ સંયોગ થશે ત્યારે, અત્યારે તો મોહન પ્યારાને જ મમતા લૂટાવવાની છે. તો આજે આપણે પણ હરિ ભક્તિના ભાવથી ભરેલા ગીતાનો સંદર્ભ લઈને તરાને કી તર્જ જીવન કા અર્કમાં આગળ ચિંતન કરીશું.

જાગો જાગો‌ જાગો,
જગ ઉજીયારા છાયે,
મન કા અંધેરા જાયે,
કિરનો કી રાની ગાયે,
જાગો હે મેરે,
મોહન પ્યારે,
જાગો મોહન પ્યારે, પ્યારે જાગો,
જાગો મોહન પ્યારે પ્યારે જાગો,
નવયુગ ચુમે નૈન તિહારે,
જાગો‌ જાગો મોહન પ્યારે.

૧૯૫૬ની સાલમાં બનેલું જાગતે રહો નામની ફિલ્મનું આ ગીત છે ગીત રાજ કપૂર, પ્રદીપ અને સુમિત્રા દેવી પર ફિલ્માવાયેલું આ ગીત લતા મંગેશકર ના અવાજમાં ગવાયેલું છે સંગીતકાર સલિલ ચૌધરી, અને ગીતના શબ્દો શૈલેન્દ્રના છે.

આ ફિલ્મ મેં જોઈ નથી એટલે આ ગીત કયા સંદર્ભમાં ગવાયું છે એ વિશે કોઇ જાણ નથી, પરંતુ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણેય શરીરની જાગૃતિનું દર્શન બતાવાયું છે. સ્થૂળ રૂપે સવાર પડે છે, અને જાગીએ તો જ જગતનાં અંધેરા ચાલ્યા ગયા છે, અને જંગ ઉજીયારુ થઈ ગયું છે એ દેખાય, એટલે કે રાત્રી પૂરી થઈ અને સૂર્યોદય થયો. કવિ પોતાના આ ભાવ ઈશ્વર સાથે શેર કરે છે, એટલે કે તેને ઉઠાડવાની ચેષ્ટા કરે છે, અને આમ જુઓ તો ખુદમાં પણ એક ઈશ્વર છે, એટલે અંતરાત્માને જગાડવા માટે જ કવિ કહે છે. સૂર્યકિરણને રાણી કહે છે, અને તે ગીત ગાઈને સૌને જગાડી રહી છે, પ્રકાશ આપી રહી છે,સૌ પર મમતા લૂટાવી રહી છે, એ સ્થૂળ દર્શન છે. જાગીશ તો નવયુગના દર્શન થશે, એટલે અહીં જ સતયુગ, ત્રેતા અને દ્વાપર કે કળીયુગ છે. જાગૃતિના અનેક લાભો છે, જેમ પૂર્વમાં સૂર્યોદય થાય છે અને આખું જગત પ્રકાશમાન થાય છે, એમ દેહમાં પણ જાગૃતિનો સૂર્યોદય થાય તો જીવનમૂલ્યો બદલાઈ જતા હોય છે. ગઈકાલ સુધી જે વસ્તુ, જે વ્યક્તિ, કે જે વ્યવહાર, આપણને પરાણે નિભાવવા પડતા હોય, અથવા તેની પ્રત્યે અણગમો હોય કે પછી કર્તવ્યકર્મનો બોજ લાગતો હોય, એ જાગૃતિ આવી જવાથી અથવા તો જીવનમાં જાગી જવાથી, તેના મૂલ્યો બદલાઈ જતાં દેખાય છે, અને જે કર્તવ્ય કાળ રૂપ લાગતું હતું એ હોંશે હોંશે થાય છે. નિમિત્ત માત્રનું મૂલ્ય જાણ્યા પછી, જીવન નિર્ભાર પણ થઈ શકે છે. અહીં સૂર્ય જેમ પ્રકાશમાન કોઈ નથી, અને છતાં તેના જીવનમાં પણ તપવાનુ જ લખાયું છે. માટે સત્યરૂપી સૂર્યનો જીવનમાં સ્વીકાર કર્યો છે, તો જીવન થોડું તપતું રહેશે, અથવા તો કસોટીઓ આવશે, એનાથી ડરવાનું નથી. આવું એક અનેરૂ જ્ઞાન પણ થાય છે, અને જેનાથી મનનો અંધકાર જાય છે. ઈન્દ્રિયોના ઉત્પાત ઓછા થાય છે, અને જીવ ભક્તિ તરફ એટલે કે ભગવાનનાં સાનિધ્યને ઝંખે છે. સ્થૂળ અને સૂક્ષ્મ રીતે જાગૃતિ આવે પછી નિમિત્ત માત્ર બનીને જે કાર્ય થાય, તે લોકમંગલના કાર્ય થાય, અને તેનાથી કારણ શરીરની પુષ્ટિ મળતી હોય છે, અને શક્તિવર્ધક આભા વલયની રચના થાય છે. આપણે મુખ્યત્વે જોઈએ તો ઈશ્વરની છબી કે ચિત્રનાં દર્શન કરીએ, અથવા તો જોઈએ તો તેના મુખ મંડલ આસપાસ પ્રકાશનું વર્તુળ રચાયેલું હોય છે.
ઈશ્વર વિષેની આપણે ત્યાં ઘણી બધી લાક્ષણિકતાઓ દર્શાવાઈ છે ,અને જગત નિયંતા જગદીશ્વરની સર્વપ્રથમ લાક્ષણિકતા એ છે કે તે અસંગ છે, એટલે જીવ જેમ જાગૃત થતો જાય અને કારણ શરીરની પુષ્ટિ થતી જાય, તેમ તે અસંગ થતો જાય છે.એટલે કે હર્ષશોક થી મુક્ત થાય છે. બીજું ઈશ્વર ઇન્દ્રિયોથી નહીં પણ ચૈતન્યથી ગતિ કરે છે, એ જ રીતે કારણ શરીરની પુષ્ટિ થયેલી હોય, એવા જીવોના વિચારો કે મન તરંગો એ અન્ય વ્યક્તિ સુધી પહોંચે છે, અને એ પણ આવાં વિચારથી તાજગી અને ચૈતન્ય અનુભવે છે. ઈશ્વરને થાક નથી લાગતો, ઈશ્વરને ભૂખ નથી લાગતી, તરસ નથી લાગતી, એ તો ઠાકોરજીને ધરાવવામાં આવતો ભોગ એ આપણા મનની એક સંતુષ્ટિનું કારણ છે, કે આપણે પણ તેને કંઈક આપવું કે ધરાવીએ તો અથવા તો એ પ્રસાદરૂપે ગ્રહણ કરીએ તો વિકાર ઓછા આવે, એવો પણ ભાવ હોય છે. એટલે ઇન્દ્રિયો જ્યારે સતત પરિશ્રમ હોવા છતાં પણ, ઓછો થાક અનુભવે, અને ભૂખ તરસ તરફ દુર્લક્ષ સેવવા છતાં શરીરમાં સ્ફૂર્તિ રહે, ત્યારે સમજવું કે માંહ્યલો સંપૂર્ણ પણે અથવા ત્રણેય શરીરથી જાગી ગયો છે.

કોઈ પણ જીવનાં સ્થૂળ શરીરનું જાગવું એ તેને કર્તવ્ય કર્મ કરવા પ્રેરે છે, કે ચાલ ઊભો થા, અને હવે તારા કામે વળગ, તારા પરિવાર માટેની જવાબદારી નિભાવ. સૂક્ષ્મ શરીરનું જાગવું એટલે પરિવાર ઉપરાંત સમાજ પણ તારો પરિવાર છે, એ તરફ પણ તારી કોઈ ફરજ છે, અને એ જવાબદારી રૂપે કોઈ પણ પ્રકારનું કર્મ થાય તો સૂક્ષ્મ શરીરનું જાગરણ થયું છે, એમ કહેવાય, અને પુરુષાર્થ એ જ પરમ પ્રેમ સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ છે. સત્ય પ્રેમ અને કરુણાનું હૃદય મંદાકિનીમાં વહેણ શરૂ થાય, ત્યારે કારણ શરીરને પૃષ્ટિ મળી છે, અથવા કારણ શરીર જાગી ગયું છે, અને આભા વલયની તેજસ્વિતાથી હવે લોક કલ્યાણના કાર્ય એ જ જીવનનો મુખ્ય હેતુ રહે છે, અને અને અન્યના દુખ દર્દ જોવા કે જાણવાથી જ આપણા દુઃખદર્દ ભૂલાય છે. જેમ બ્રહ્માંડ લાખ રહસ્યથી ભરેલું છે, તેમ આ સંસાર પણ અલગ અલગ માનસિકતા રૂપે વસતા જીવોનાં રહસ્યોથી ભરેલું છે, અને એ આંટીઘૂટીમાં અટવાયા વગર આપણે અન્ય જીવમાં પણ પરમાત્માનો અંશ છે, એ એકમાત્ર સત્ય મનમાં ધારણ કરીને અન્ય પ્રત્યેના દુર્ભાવ દૂર કરીને પોતીકું સમજી પ્રેમ કરી શકાય.
જીવનમાં ધીર ગંભીર પણું, અને સમય સંજોગો સામે ટકી રહેવાની હિંમત શક્તિ, અથવા સાહસ પણ સ્વયંની જાગૃતિથી જ આવે છે. અન્યને ઉઠાડવાની તો એક ચેષ્ઠા બતાવાઈ છે, બાકી પહેલા જાગવું તો પોતે જ પડે, અને જાગી ગયેલો હોય, કે જાણી ગયેલો હોય, તે જ અન્ય ને જગાડી શકે, અને જણાવી શકે, કે આ વસ્તુ આ છે, એટલે કે સૂર્ય કોઈને દેખાડવો હોય તેનું વર્ણન કરવું હોય પ્રભાતનું વર્ણન કરવું હોય તો પહેલા તો પોતે જ જાગીને સૂર્યોદય જોવો પડે, પ્રકૃતિમાં થતાં ફેરફારનું અવલોકન કરવું પડે, તેને અનુભવવું પડે, પક્ષીઓના કલરવને માણવો પડે, તો જ આપણે પ્રભાતનું વર્ણન કરી શકીએ, એમ પહેલા આપણે જાગીએ, તેના ફાયદાઓ જાણીએ, તો અન્યને બતાવી શકાય, કે જાગી જવાથી જીવન સરળ થાય છે, જીવન મધુરુ બને છે, અને સાચા જીવનની શરૂઆત થાય છે. તો આપણે સૌ પણ જાગી જઈએ,તો અંદર રહેલા પરમ તત્વની અનુભૂતિ કરી શકીશું. જીવન રહેતા જ જાગીએ તો એ દ્રષ્ટિથી જીવનનું સાચું મૂલ્ય જાણી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

Ad..

જાગો મોહન‌ પ્યારે! એ ગીત થકી સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરની જાગૃતિ સુધી પહોંચીએ!
Comment

Your email address will not be published. Required fields are marked *