ગુ +રુ એટલે કે ‘ગુ’ એટલે અંધકાર અને ‘રુ’ એટલે પ્રકાશ, સાધકના જીવનનાં તમામ અંધકારને દૂર કરી અને પ્રકાશ તરફ લઈ જનારને ગુરુ કહેવામાં આવે છે.
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. પરંતુ આજે પ્રથમ પ્રણામ સદગુરુ ચરણોમાં વંદન, કારણ કે આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુપૂર્ણિમાનો દિવસ છે, અને આ દિવસે સાધક શિષ્ય પોતાના ગુરુની વંદના કરે છે. મારી માટે તો સદગુરુ કૃપા હી કેવલમ એ સૂત્ર જ ભવસાગર પાર કરાવનાર છે. ગુરુ વિશે સૌ કોઈનો પોતપોતાનો જુદો જુદો અનુભવ હશે, પણ આપણે જેને ગુરુ કહીએ છીએ એનાથી એ તત્વ અલગ છે. ભારતની આ સંસ્કૃતિ છે, કે જ્યાં ગુરુને ભગવાન તરીકે પૂજવામાં આવે છે, અને તેના ગુણગાન ગાવામાં આવે છે. સાચાં શિષ્ય માટે ધ્યાન કરવા માટે, તેનું મંગલ સ્વરૂપ પર્યાપ્ત છે, પૂજા કરવા માટે તેના પદ એટલે કે ચરણ, અને ગુરુના વચનો જ તેના જીવન મંત્ર બની તેને કાયમ દોરે છે, અને ગુરુકૃપા તેને મોક્ષ તરફ લઈ જાય છે.
ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ,
પૂજા મૂલમ ગુરુ પદમ,
મંત્ર મૂલમ ગુરુ વાક્યમ,
મોક્ષ મૂલમ ગુરુ કૃપા…..
આજે હિન્દુ સંસ્કૃતિને માનનારા તમામ પ્રાંતોમાં ગુરુ વંદનાના મહોત્સવ થશે, ગુરુદેવની જય, સદગુરુ કૃપા હી કેવલમ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, તેમજ ગુરુ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાય! જેવા નારાઓથી ગુરુના સ્થાનકો ગુંજી ઉઠશે. એમાં ખાસ કરીને ગુજરાત સૌરાષ્ટ્રમાં તો ખૂબ જ મોટા પાયે તેનું આયોજન કરવામાં આવે છે, અને આ ધરતી એ બુદ્ધ પુરુષો પણ એટલા જ આપ્યા છે. આમ તો શિષ્ય ગુરુની પૂજા માત્ર ગુરુપૂર્ણિમા ને દિવસે જ કરતો નથી, તેની તો હર ક્ષણ ગુરુકૃપાથી જ વીતે છે. ભગવાન વેદ વ્યાસનો જન્મ આ દિવસે થયો હોવાથી આજે આપણે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવીએ છીએ.
કારણકે ભારતીય પરંપરાના મોટાભાગના વૈદિક શાસ્ત્રોના રચયિતા ભગવાન વેદ વ્યાસ છે, અને એ રીતે તેમણે આપણને શાસ્ત્ર જ્ઞાન આપી, અને બહુ મોટું કામ કર્યું છે, એટલે આ દિવસને વ્યાસપૂર્ણિમા પણ કહેવામાં આવે છે. સદગુરુ તો અમૂલ્ય રત્નોની ખાણ છે, અને સાધકના વ્યક્તિત્વને વિરલ બનાવી, અસ્તિત્વની સમું ઊભો રહેવાને લાયક બનાવે છે. આમ તો ગુરુ શબ્દમાં જ તેનો મહિમા સમાયેલો છે. ગુ +રુ એટલે કે ગુ એટલે અંધકાર અને રુ એટલે પ્રકાશ, સાધકના જીવનના તમામ અંધકારને દૂર કરી અને પ્રકાશ તરફ લઈ જનારને ગુરુ કહેવામાં આવે છે. અથવા તો અંધકારમાંથી ઉઠાવી પ્રકાશ તરફ લઈ જનારને ગુરુ કહેવામાં આવે છે. સદગુરુની ઉપલબ્ધિઓની વાત શિષ્ય શું કરી શકે! તેની દરેક સમસ્યાનું નિદાન સદગુરુ પાસે હોય છે. શિષ્યનાં તમામ સવાલોનાં જવાબ પણ તેની પાસે હોય છે. પરંતુ સાચો સદગુરુ એ છે કે જે સાધકને પોતાની મેળે આ રહસ્યોને જાણવાની તક આપે છે, એવાં સંયોગ ઉભા કરે છે,અને લડખડાય ત્યારે સહારો આપી ફરી ટટ્ટાર બનાવે છે, અને આમ સમર્થ બનાવે છે. તેનાંમા એવી ખુદ્દારી પ્રગાટાવે છે, કે એ આત્મ વિશ્વાસ જ મશાલ નું કામ કરે છે, અને એકપછી એક અવરોધ ને પાર કરી આગળ વધે છે. સદગુરુ એવું ક્યારેય ઇચ્છતા નથી, કે તેનો સાધક જિંદગીભર શિષ્ય બની રહે .પોતાની પાસેનું તમામ જ્ઞાન, અને વિદ્યા આપીને એ તેના જીવનના તમામ સંશયોને હરી લે છે, અને એને પણ ગુરુની ઉપલબ્ધિ મળે એવો તૈયાર કરી ચૂપચાપ એની જીંદગી માંથી નીકળી જાય છે. પરંતુ જો શિષ્ય પોતાને ગુરુ સમજવા લાગે, તો પતન નિશ્ચિત છે. સાર્થક શિષ્યનો તો સદગુરુના ચરણમાં જ બેસવાનો સંકલ્પ કરવો જોઈએ, શરણાગતિ જ શ્રેષ્ઠ સાધન છે,અને એના થકી જ જન્મ મરણના બંધન માંથી બહાર આવી શકાય છે. આમ તો આ ચિંતનની ધારા કેવળ ને કેવળ સદગુરુ કૃપાનું જ કારણ છે, છતાં સદગુરુ સાધક શિષ્યને કઈ રીતે સમસ્યા ભરેલા જીવનથી શાંતિ દ્વાર સુધી લઈ જાય છે! જ્યાં કેવળ નગદ આનંદ અને પરમ પ્રેમ રુપ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે.
ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપે જેમ બલિરાજા પાસેથી પૃથ્વીને પાછી લેવા માટે માત્ર ત્રણ ડગલાં ભર્યા હતાં, તેમ સદગુરુ પણ આ બ્રહ્માંડના રહસ્યો સમજાવવા માટે માત્ર ત્રણ ડગલાં ભરાવી સાધકને જીવતા જ મોક્ષ તરફની યાત્રા સુધી લઈ જાય છે.
સૂર્ય સમક્ષ લાવે છે:: સૂર્ય સમક્ષ લાવવું એટલે સાધકને જગાડે છે તેના અંતરાત્માને ઢંઢોળે છે અને જાગૃતિની દરેક પરિભાષાની શક્યતા સમજાવે છે, જીવનમાં હર ક્ષણની જાગૃતિ બહુ જરૂરી છે, તો જ જીવન સુંદર આયામ સુધી પહોંચી શકે! આ ઉપરાંત સૂર્ય પોતે આટલા વર્ષોથી કેટ કેટલા રહસ્યોને છુપાવીને રોજ પ્રકાશે છે, તો ક્યારેક પોતાના તેમજ અન્યના જીવનને પ્રકાશવા માટે તપવું પણ જરૂરી છે. આ ઉપરાંત સૂર્ય રોજ પોતાના નિયત સમયે ઉદય પામે છે, અને નિયત સમયે અસ્ત પામે છે. એટલે ઉજ્જવળ કારકિર્દીને પણ ક્યારેક વિરામ આપવો પડે, કે અસ્ત થાય તો એનાથી ડરવું નહીં. સૂર્યની નીતિ સ્પષ્ટ છે તે રાય રંક કે કાળા ધોળા નો ભેદ કરી પ્રકાશથી નથી. અમીરના મહેલમાં અને ગરીબના ઝોપડામાં તે નિશુલ્ક સેવા આપે છે,બસ એ જ રીતે પક્ષપાત મુક્ત થઈ સર્વ સાથે વ્યવહાર કરવો.
સત્ય સમક્ષ લાવે છે:: સત્યની પરિભાષા કરવી મુશ્કેલ છે, કારણ કે દરેકના સમય, સંજોગો, અને અનુભવ પ્રમાણે તેનું સત્ય હોય, અને આ જ વાત સદગુરુ સમજાવે છે. એટલે કે પોતે સ્વીકારેલા સત્યની જીદ ન કરતાં દરેકના સત્યનો પણ આદર કરવો જોઈએ. આ ઉપરાંત નીતિથી મોટું કોઈ સત્ય નથી માટે જીવનમાં અનીતિ ક્યારેય ન આવે તેનું ધ્યાન રાખવું. નીતિ, રાગ દ્વેષ, મોહ માયા, કે ઈચ્છા આકાંક્ષા અપેક્ષા ઉપેક્ષાથી પણ ઉપર છે. માટે ક્યારેય અહમ કે અહંકાર ના વર્ચસ્વ તળે અન્ય કોઈ વિકારને કારણે નીતિ દૂષિત ન થાય તે પણ જોવું રહ્યું. નીતિ એટલે પોલીસી એ રીતે જોઈએ તો, આપણે, આપણે ન હોઈએ ત્યારે પરિવારના જીવન સુરક્ષિત કરવા માટે જીવન વીમાની ઘણી પોલિસી કરાવીએ છીએ, પરંતુ મુખ્ય પોલિસી એટલે કે નીતિ જીવંત છીએ, ત્યારે તેને કેટલી નિભાવવી, અને વારસામાં આ નીતિ કેમ આપવી એ વિશે એટલું વિચારતા નથી.
શબ્દ સમક્ષ લાવે છે:: શબ્દ ને આપણે ત્યાં બ્રહ્મ કહે છે, અને વેદ વેદાંતમાં ઈશ્વર નું સૌથી શ્રેષ્ઠ અને છેલ્લું સ્વરૂપ શબ્દ બાતાવાયુ છે. આપણે યાજ્ઞવલક અને મૈત્રેય ના સંવાદ વિશે જ્યારે વાત કરી હતી, ત્યારે અંતિમ લક્ષ્ય તરીકે શબ્દ ને સ્વીકાર્યો છે. આ ઉપરાંત શબ્દને આકાશ નું સંતાન કહેવામાં આવે છે, અને સાધકને એ શબ્દ બ્રહ્મની ઉપાસના કરવાની છે, એટલે કે કોઈ મંત્ર વગેરે તો બરાબર છે. પરંતુ ભારતીય સંસ્કૃતિની મૂળ વૈદિક પરંપરાઓ ના વચન ને નિભાવવાના હોય છે. એટલે કે હું હિન્દુ છું તો મારે, મારી સંસ્કૃતિના ચાર મુખ્ય આધાર સ્તંભ સમાન, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અને અતિથિ દેવો ભવ, ને અનુસરવાનું છે. આ ઉપરાંત હું હિન્દું છું, એટલે જ ઉદારતાવાદી થવું જોઈએ, મારે માનવતા વાદી થવું જોઈએ, મારે કર્તવ્ય નિષ્ઠ થવું જોઈએ, અને સહિષ્ણુ પણ થવું જોઈએ, આ વચનને જીવનભર નિભાવવાનું એટલે જ શબ્દ કે વચનની ઉપાસના. કારણ કે આ કોઈ કેવળ શબ્દ નથી, પરંતુ સ્વયં યોગેશ્વરના મુખેથી નીકળેલા વચનો છે, અને એને સાધકે જીવન મંત્ર બનાવી ને જીવવાનું છે.
આમ સાધક શિષ્ય માટે સદગુરુ તેનું સકળ અસ્તિત્વ છે, તેના વ્યક્તિત્વને ઘડનાર પરમ શિલ્પકાર છે, અને તેનામાં તમામ પ્રકારની વિદ્યાનું રોપણ કરનાર એક સમર્થ ગુરુ એટલે કે આચાર્ય પણ છે, અને જીવન રંગોને બેલેન્સ કરનાર એક ગજબનો ચિત્રકાર પણ છે. આપણે ત્યાં ભગવાન દત્તાત્રેય એ 24 ગુરુ કર્યા હતાં, અને શ્વાન પાસેથી પણ તેણે શિક્ષા મેળવી હતી, તો ગુરુપૂર્ણિમાના દિવસે એકલવ્ય જેવા એક નિષ્ઠ શિષ્યને પણ યાદ કરવા રહ્યાં, તેણે ગુરુ દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી અને વિદ્યા પ્રાપ્ત કરી હતી. ભારતીય પરંપરામાં સમાધિસ્થ સદગુરુનો બહુ મહિમા છે, અને સમાધિસ્થ હોવા છતાં પણ, તે સાધક શિષ્યના જીવનને અજવાળી શકવાની સમર્થતા ધરાવે છે.
સદગુરુ ભગવાન પંડિત રામ શર્મા આચાર્યનો સદગુરુ રુપે અસ્તિત્વ ની મરજીથી ભેટો થયો, ત્યારે એ સમાધિસ્થ જ હતાં, અને છતાં આજે જીવન એની શરણાગતિ ને કારણે દૈદિપ્યમાન છે. સદગુરુ સાધકનાં જીવનમાં જીવંત બુદ્ધ પુરુષનો ભેટો કરાવી, તે એ રીતે પણ સાધક શિષ્યના જીવનને પ્રકાશ તરફ દોરી જાય છે. ચિંતનની આ ધારાની કલમ માટે એ રીતે પરમ પૂજ્ય મોરારીબાપુ પણ સદગુરુએ મોકલેલ બુદ્ધ પુરુષ છે, અને એમના ચરણોમાં પણ આજે ગુરુપૂર્ણિમા એ કોટી કોટી વંદન. સદગુરુ સાધક શિષ્યને સૂર્ય, સત્ય, અને શબ્દ સમક્ષ લાવી અને જીવનમાં સમય, સંજોગ, અને સંબંધ, સામે સહજ થઈને જીવતા શીખવે છે, અને સહજતા જ બ્રહ્મજ્ઞાન છે, એ ઉપદેશ પણ સદગુરુ આપે છે.તો આજે ગુરુપૂર્ણિમાના દિવસે આપણે પણ જીવનમાં સદગુરુની આ ત્રણ શીખને ઉતારી શકીએ, અને એ મુજબનું જીવન જીવી શકીએ, એવી એક અન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)