1. News
  2. ચિંતનની ક્ષણે
  3. વિધાતાની વિચિત્રતા !!

વિધાતાની વિચિત્રતા !!

Share

Share This Post

or copy the link

ગયા અંકમાં આપણે જોયું કે સુધીર દત્ત શ્રીદેવીને બંગલોના આઉટ હાઉસ માંથી બહાર કાઢવામાં કામયાબ નીવડ્યાં. આ ઉપરાંત તેમણે શ્રીદેવીને લઈ જતી પોલીસ જીપનો એક્સિડન્ટ કરીને શ્રીદેવી હવે આ દુનિયા છોડી ગઈ છે, એવું સાબિત કરી દીધું. તે જોવા માગતા હતા કે સુરેખા અને સિદ્ધાર્થ કઈ હદે આ તકનો લાભ લે છે, અને બિન્દાસ બનીને તે જેવા આડુ અવળું પગલું ભરે, એટલે તરત જ તેને જાસાં માં લઈ લેવા. ત્યારબાદ શ્રીદેવીને હયાત કરી તેની જુબાનીથી આ બંને જણાને આકરામાં આકરી સજા કરવી!; સાર્થક ને પોતે જ બંગલોમાંથી ઉઠાવી લીધો હતો, અને એની કિડનેપના ચાર્જમાં જ શ્રીદેવી પર વોરંટ કાઢ્યું હતું, અને એ પણ સુરેખા અને સિદ્ધાર્થને નામે! હકીકતમાં એ લોકો જાણતા જ નહોતા કે સાર્થકનું કિડનેપિંગ થયું છે! આ ઉપરાંત શ્રીદેવીને પોતાની કઝિન સિસ્ટર ના ઘરે અંતરિયાળ ગામમાં મૂકી દીધી, અહીં કેટલાય રહસ્યોથી ભરેલી આ હવેલીમાં શ્રીદેવી પોતાની જાતને કઈ રીતે સેટ કરી શકશે! એ ખુદ શ્રીદેવીને જ સમજાતું નહોતું! પરંતુ તેની માટે એક જ આશ્વાસન સૌથી મોટું હતું, અને એ કે સાર્થક તેની સાથે હતો. એટલે કે પોતાનો દીકરો સાથે હોય તો એ, નર્કમાં પણ રહેવા તૈયાર હતી! સુધીર દત્તની બહેન મૂંગી હોય તેમ એ ઈશારો કરી કરીને જણાવતી હતી, અને રાતનું અંધારું જેવું વધું ઘેરું થયું, એટલે આ સૂમસામ હવેલીમાં જાણે જીવ આવ્યો હોય તેમ, મુજરોનું સંગીત ચાલુ થયું, અને થીરક-થીરક નાચના અવાજો પણ સંભળાતા હતાં. શ્રીદેવી વિચારતી હતી કે કોણ હશે! શું તે કોઈ અડ્ડામાં આવી ગઈ છે કે શું? એને થયું કે એક પછી એક સમસ્યાઓ વધતી જ જાય છે, હવે હું શું કરીશ! શ્રીદેવી આ સમસ્યાને કેવી રીતે સુલજાવે છે! સુધીર દત્ત સુરેખા અને સિદ્ધાર્થને પકડી શકે છે કે કેમ? અને સુરેખા અને સિદ્ધાર્થને સુધીર દત્તના દાવની ગંધ આવે છે કે નહીં? આ બધું જાણવા માટે વાંચો આગળ….

શ્રીદેવી નીચે ચાલતા મુજરાના સંગીતથી પરેશાન હતી, તેને થયું કે લાવ હું જોઈ આવું કે આખરે હું ક્યાં આવી ગઈ છું! એ ઊભી તો થઈ, પરંતુ એના રૂમને બહારથી લોક કરવામાં આવ્યો હતો. એટલે એ રીતે એ વધારે ચિંતિત હતી, છતાં એને અંદરથી બધું બંધ કરી દીધું, નહીં ને કોઈ ઓચિંતાનું આવી ચડે? અને જબરજસ્તી કરવાની કોશિશ કરે, અથવા તો મારવાની ધમકી આપી, કંઈ પણ કરી શકે! તે સાર્થક ને વળગીને સુવા માટે પ્રયત્ન કરતી હતી, પરંતુ એમ નીંદર ક્યાંથી આવે! એને થયું કે સુધીર દત્તને પૂછી જુવે! પરંતુ એને તરત જ યાદ આવી ગયું કે, એણે કહ્યું હતું કે બહુ જ ઇમરજન્સી હોય તો જ ફોન કરજે, નહીં તો તારી હયાતી છત્તી થઈ જશે! અને મેં ધારેલા લક્ષ પર હું પહોંચી શકીશ નહીં. સુરેખા અને સિદ્ધાર્થને સજા કરાવી એ જ હવે મારા જીવનનો મુખ્ય લક્ષ્ય બની ગયું છે. એણે વિચારોના ઘોડા બધે જ દોડાવી જોયાં, પણ ક્યાંય કોઈ તાલમેલ મળતો નહોતો, અને હવે તો એને થયું કે એની વિચાર શક્તિ ક્ષુબ્ધ થતી જાય છે. પરંતુ તેના અંતર આત્મા એ તેના વિખરાતા અસ્તિત્વને સમેટતા તેને સમજાવ્યું કે , કોઈ પર થોડો વિશ્વાસ તો એને કરવો જ પડશે, અને અત્યારે એને માટે કોઈ સહાયક હોય તો એ સુધીર જ છે. એટલે એની પર વિશ્વાસ બનાવી રાખવો એ જ તેનું પરમ કર્તવ્ય છે, કારણ કે એ તેને ગમે તેવી જગ્યાએ મૂકી જાય નહીં! એટલું તો એણે કબુલવુ જ પડે! અને આ રીતે મન થોડું શાંત થયું કે, હાં સુધીર તેને કોઈ એવી જગ્યાએ તો ના જ મૂકી જાય, જ્યાં તેની ઈજ્જત અને તેના જીવનું જોખમ ન હોય! રાત જામતી જતી હતી, સંગીત પણ જામતું જતું હતું છતાં તેને હવે એ બાબતે કોઈ ચિંતા નહોતી. સાવધાની રાખવી એ એક અલગ વાત હતી, અને સતત ચિંતિત કે ભયભીત રહેવું તે બીજી વાત હતી, એ બંને વાત હવે તે સમજી ગઈ હતી ,અને તે સાર્થક ને વળગીને સુધીરનાં ભરોસે નિશ્ચિત થઈ સુઈ ગઈ.

સવારે પેલી સ્ત્રી બાણું ખોલી અને અંદર આવી ત્યારે તેની આંખ ઉઘડી. તેણે તેને ગુડ મોર્નિંગ કહ્યું, પરંતુ તેને પ્રત્યુતરમાં બે હાથ જોડી નમસ્તે કરી અને ઇશારાથી કહ્યું કે આમાં ગરમાગરમ ચા અને નાસ્તો છે! શ્રીદેવી તેની સાથે વાત કરવા માંગતી હતી, પરંતુ તેને કોઈ ઉતાવળ હોય તેમ એ અહીંથી ઝડપથી જવા માંગતી હતી. શ્રીદેવીએ પલંગમાંથી ઉઠતા પોતે પડી ગઈ હોય એવો ડોળ કર્યો, અને લંગડાતા પગે એની નજીક આવી,અને કહ્યું મને બહુ દર્દ થાય છે, હવે શું થશે! એ તેના મનોભાવ પારખી ગઈ, અને તેણે ઈશારાથી જ કહ્યું કે હું બરફ મોકલું છું, એનાથી તમને સારૂં લાગશે! એ ઝડપથી નીચેની બાજુ પાછળના દાદરેથી ચાલી ગઈ, અને થોડીવારમાં બરફ તેમજ એક ઓઇલમેન્ટ ટ્યુબ લઈને આવી, અને શ્રીદેવીને આપતા ઇશારાથી કહ્યું કે મને ખબર છે કે આપ મારી સાથે વાત કરવા માંગો છો! પરંતુ અત્યારે એ શક્ય નથી, હું બપોરના સમયે આ હવેલી સાવ શાંત થઈ જાય ત્યારે આવીશ! શ્રીદેવી એને જતા જોઈ રહી, એની ચાલમાં થોડી ગભરાટ હતી, અને કોઈ જોઈ જશે એનો ડર પણ હતો. વળી એને પોતાના મનને કામમાં પરોવ્ર્યું અને વિચાર્યું કે જે હોય તે! પરંતુ હું અહીં સેફ છું. તેણે સાર્થક ને જગાડ્યો, બંને જણાએ બ્રશ નિત્યક્રમથી પરવારીને ચા નાસ્તો કર્યો. પેલી સ્ત્રી સાર્થક માટે ગરમાગરમ બોનવિટાનું દૂધ પણ મૂકી ગઈ હતી. પરંતુ સાર્થકને બોર્નવિટા ભાવતું નહોતું! એને વિચાર્યું કે હવે એ શું કરશે? અત્યારે તો બીજું કંઇ થઈ શકે એમ નથી! સાર્થક પણ પરિસ્થિતિ સમજી ગયો હોય, કે ભૂખ્યો થયો હોય એમ બધું જ દૂધ પી ગયો! એણે શ્રીદેવીને પુછ્યું કે મોટી મમ્મી! આપણે કોના ઘરે આવ્યા છીએ! અને શું કામ? અહીં તો રમવાનું કોઈ રમકડું પણ નથી! અને ફ્રેન્ડ પણ નથી! શ્રીદેવીએ તેને વ્હાલ કરતા કહ્યું પણ તમારી મોટી મમ્મી તો છે ને! એ તમને સ્ટોરી કરશે અને ઘણી રમત શીખવશે! સાર્થક ખુશ થઈ ને એના ખોળામાં ચડી ગયો, એ તેને એક પરીની વાર્તા સંભળાવવા લાગી, એને પરીની સ્ટોરીમાં બહુ મજા આવતી ચાંદ પર રહેતી પરીઓ અને તેનાં જાદુંની અવનવા ઇમેજીનેશનથી તે ખુબ ખુશ થઈ જતો અને એનાં જીવનમાં કોઈ પરી આવે એવાં સ્વપ્નમાં ખોવાઈ જતો.

નાસ્તો આવ્યો એ જ રીતે જમવાનું પણ આવ્યું પરંતુ પેલી મહિલાનું કે જેનું નામ પાર્વતી હતું એનું રહસ્ય હજી અકબંધ હતું અને સ્ત્રી સહજ શ્રીદેવીને એ જાણવામાં થોડો ઘણો રસ હતો. બપોર થઈ અને લગભગ બધા જ સુઈ ગયા છે, એવું લાગતાં એ મહિલા એટલે કે પાર્વતી ઉપર આવી, અને એણે રુમને અંદરથી એકદમ લોક કર્યો, અને પછી શ્રીદેવીને ભેટી પડી અને રડી પડી. એણે તેને ખૂબ આશીર્વાદ આપ્યા અને ઈશારાથી કહ્યું કે અહીં એને કોઈ તકલીફ નહીં પડે. આજે એ એક લેટર લખીને લાવી હતી, અને એમાં લખ્યું હતું કે એ બોલી શકતી નથી,પણ આ તકલીફ એને પહેલેથી નહોતી. એનાં જીવનમાં એક દર્દનાક હાદસો થયો પછી એની આવી હાલત થઈ ગઈ છે. જે મૂજરા જેવું સંગીત સંભળાય છે, એ તેનાં ઐયાસ પતિ ને કારણે સંભળાય છે. હકીકતમાં આ ઈલાકાના એનાં પતિ મોટાં જમીનદાર છે, આ આખી એની વિરાસત છે, અને એની આ આખાં ઇલાકામાં બહુ ખુંખાર છાપ છે! એટલે એને કોઈ કંઈ કહેતાં પણ ડરે છે. એકવાર હું નહાઈને બહાર નીકળી, અને બરાબર એ જ સમયે એણે કોઈ ને પેટમાં તલવાર મારી, અને પતાવી દીધો. બસ‌ આ દ્રશ્ય જોઈ મારા મોઢામાંથી રાડ નીકળી ગઈ અને એમણે મારું મોઢું દાબી દીધું બસ એ દિવસથી મારો અવાજ ચાલ્યો ગયો છે. એને દર રોજ જે નર્તકી આવે એની સાથે સહવાસ કરવાની ખરાબ આદત છે, એટલે તમારા રક્ષણ માટે હું તમને અહીં બહારથી લોક મારીને રાખું છું! હકીકતમાં આ રુમમાં કોઈ રહેતું નથી. પહેલા આમાં હવેલીની એક રુપા નામની સુંદર દાસી રહેતી હતી, અને એક દિવસ એને પણ ….અને એણે અહીંથી પડી ને આત્મહત્યા કરી લીધી! બસ‌ એ દિવસથી આ બાજુ આવતાં નથી! કારણ બધાં કહે છે એને કેટલાય દિવસ સુધી સ્વપ્નમાં આવી ડરાવતી હતી, એટલે મેં આપને અહીં રાખ્યાં છે.

આ બાજુ સુરેખા અને સિદ્ધાર્થને શ્રીદેવીને લઈને જતી પોલીસ જીપમાં એક્સિડન્ટ થયો, અને એમાં બેઠેલી શ્રીદેવી મરી ગઈ. પોલીસ કોન્સ્ટેબલ અને જીપના ડ્રાઇવરે તેને બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, છતાં સાડી હાથમાં રહી ગઈ, એવો ઘાટ થયો! અને એ બંને મનોમન ટાઢા પાણીને ખસ ગઈ એમ રાજી થવા લાગ્યાં. પરંતુ એ લોકોને એ સમજાતું નહોતું કે સાર્થકનાં કિડનેપ થયાની કમ્પ્લેન આખરે કોણે કરી? શું આ કોઈ દાવ હતો એમની વિરુદ્ધ? એ વિચારવા પણ એમનું સ્માર્ટ માઈન્ડ કન્વેન્સ થતું હતું. પણ કોણ આવું કરે અને એને શું ફાયદો થાય, એ પણ આની પાછળ અગત્યનું હતું. એટલે શ્રીદેવી કિડનેપ કરાવી શકે તેમ નહોતી, કારણ કે પોતે જ નિસહાય હતી, તો પછી એની મદદ કરવા કોણ આવ્યું? શું પેલો જાસુસ હશે; કે એને આ બધો ખેલ રજૂ કર્યો હશે! અને જો એવું હોય તો એણે શ્રીદેવીને મરવા પણ દીધી ન હોય! અને આ પણ એક નાટક જ હોઈ શકે. ચોર કરતાં ચોરનારની નજર વધુ પાવરફુલ હોય છે, એમ આ બંને જણાએ ઘણા તર્કો લગાવ્યાં, અને અંતે એ મત પર આવ્યાં, કે આ બધું જ સુધીર દત્તના કાવતરાનો એક હિસ્સો છે. શ્રીદેવી નિશ્ચિત રૂપે હજી જીવે છે, પણ એ છે ક્યાં? એની શોધ કરવી પડશે! અને એ શોધ આપણને સુધીરદત્તની જાસુસી કરવાથી જ મળી શકશે! પરંતુ એવો કોણ વિશ્વાસુ છે જે સુધીરદતની જાસૂસી કરી શકે બહુ વિચારતા એ લોકોને સિક્યુરિટી ગાર્ડ પર પસંદગી ઉતારી અને વિચાર્યું કે બંગલોમાં સિક્યોરિટી કરવા બીજો ચાલશે આ વિશ્વાસ કરી શકાય એવો છે! એણે ક્યારેય આપણી સાથે શંકાસ્પદ વર્તન કર્યું નથી. સિદ્ધાર્થ એ કહ્યું ના મને લાગે છે કે આપણે ઉતાવળ કરી રહ્યા છીએ, કારણ કે સિક્યોરિટી ગાર્ડનાં હોવા છતાં સાર્થક કંઈ રીતે કીડનેપ થયો? સુરેખા એ કહ્યું કે મેં તેને આજે મારા કામ માટે બે કલાક મોકલ્યો હતો! એટલે સાર્થક નું કીડનેપીંગ થયું. એકરીતે સારું થયું બંને બલા ટળી હવે હું મુક્ત રીતે તને પ્રેમ કરી શકીશ! એમ કરી સિદ્ધાર્થની નજીક સરકી. હજી તો એકમેકની નજરો મળી ત્યાં સુરેખા ના ફોનમાં શ્રીપાલ નો ફોન આવ્યો, એણે વિચાર્યું કે ફોન નથી ઉપાડવો પણ થયું બુદ્ધિ તો એનાં મોટાં ભાઈ જેવી છે નહીં! નક્કી કંઈક ગોટાળો કર્યો હશે એટલે જ ફોન કર્યો! એણે ફોન રીસીવ કર્યો ત્યાં જ સામેથી કરડાકી ભર્યો અવાજ સંભળાયો! મેમ હું દુબઈ પોલીસ મથકેથી બોલું છું, તમારા પતિ અમારાં સંકજામાં છે, અને જે ડીલ કરવા એ આવ્યા હતાં એ ડીલનું ફ્રોડ પકડાઈ ગયું છે, અને કંપની એ એની વિરુદ્ધ કેસ દાખલ કરતાં અમારે તેને એરેસ્ટ કરવા પડ્યા છે, માટે એને નિર્દોષ છોડાવવા માટે તમારે અહીં આવી, આ કેસમાં સ્ટેટમેન્ટ દેવું પડશે! કારણકે આપના પતિએ એવું કહ્યું છે કે એ ધંધા વિશે કંઈ જાણતાં નથી એની પત્ની જ આ ધંધો સંભાળે છે,અને એનાં કહેવાથી જ હું આ ડીલનો સોદો કરવા આવ્યો હતો. આવતાં અઠવાડિયામાં કેસની પહેલી સુનવાઈ છે, તો જો તમે પોતાને નિર્દોષ પૂરવાર કરી શકો તો ઠીક છે, બાકી દુબઈ પોલીસને બંધી પ્રોપર્ટી સીલ કરવાનો અધિકાર મળે છે, આમ કહી એમણે ફોન મુકી દીધો. સુરેખા હતાશ સ્વરે બોલી, નક્કી કોઈ એવું છે જેને મારી ખુશી જોવાતી નથી નહીં, તો માંડ કરીને બિન્દાસ પ્રેમ કરવાનો મોકો મળ્યો હતો ત્યાં આ બબુચક એ બાજી બગાડી! સિદ્ધાર્થ એ પૂછ્યું શું થયું? આમ આટલી બધી એકદમ ખીજાય શું કામ ગઈ? સુરેખાએ દુબઈથી ફોન આવ્યો હતો અને એ લોકોએ શ્રીપાલને પકડી લીધો છે. તાત્કાલિક કેસની સુનાવણી પહેલાં દિલ્હી પહોંચવું પડશે, નહીં તો એ લોકો આવીને આપણી બધી જ સંપત્તિને સીલ કરી જશે. એ તો ઠીક પરંતુ જો કેસીનો વિશે ખબર પડી જશે, તો અહીંની સરકાર પણ આપણને કાયમ માટે જેલ ભેગા કરી દેશે!; નક્કી કોઈ આપણી સાથે રાજ રમત રમી રહ્યું હોય, એવું લાગે છે .શ્રીકાંતને મારી દેવાથી વાત પૂરી થઈ ગઈ એમ હું સમજતી હતી. પરંતુ આ તો એક પછી એક ઉલજન વધતી જ જાય છે, અને પ્રોપર્ટી હાથ લાગવાને બદલે ક્યાંક સાવ ચાલી ન જાય! એની દહેશત વધતી જાય છે. શ્રીદેવીનો આશિક જ્યારથી આવ્યો છે, ત્યારથી આપણી પનોતી બેઠી છે. એને જ માર્ગમાંથી હટાવવો પડશે!; સિદ્ધાર્થે કહ્યું કે તું પહેલા શાંત થઈ જા! આપણે આમાંથી પણ બહાર નીકળી જઈશું, કંઈક મને વિચારવા દે! સુરેખાએ કહ્યું કે આ ઇન્ડિયન પોલીસ નથી કે લાંચ-રુશ્વતથી વાત પતે! આ દુબઈ પોલીસ છે અને એ ચામડા ઉતેડીને પણ આપણી પ્રોપર્ટી જબ તક કર્યા વગર રહેવાની નથી, હવે આપણું બધું જ કરેલું પાણીમાં ગયું આમ કરી તે બે હાથ લમણે દઈને બેસી ગઈ!

સુધીર દત્ત પોતાની ચેમ્બરમાં બેઠાં હતાં,અને કોઈ નાં ફોનની રાહ જોતાં હોય એવું લાગતું હતું, ત્યાં જ એક ફોન આવ્યો અને એમણે કહ્યું કે આપનું કામ કરી દીધું છે! સુધીર દત્ત એ તેને થેન્ક્યુ કહ્યું, અને ફોન મૂકી દીધા પછી એક ન સમજાય તેવું અટ્ટ હાસ્ય કર્યું!

છેક અંતરિયાળ ગામમાં શ્રીદેવીને સુરક્ષિત જગ્યાએ મૂકયાવ્યા પરંતુ જે જગ્યાએ રાખી હતી, એ જગ્યા જ એની માટે અ સુરક્ષિત હતી એનું શું? શું તેની દીદી એટલે કે પાર્વતી તેનું રક્ષણ કરી શકશે પોતાના ઐયાસ પતિની નજરથી શ્રીદેવીને ત્યાં સુધીર બચાવી શકશે?: સુરેખા અને સિદ્ધાર્થ દુબઈ પોલીસ ના સકંઝામાંથી છૂટી શકશે? પોતાની પ્રોપર્ટી બચાવી શકશે? અને નિર્દોષ એવા શ્રીપાલનું શું થશે?; કે પછી આ બધી જ માસ્ટરમાઈન્ડ સુધીર દત્તની ચાલનુ પરિણામ હતું! બાપ રે આ માણસ તો બહુ ખતરનાક છે, ચેમ્બરમાં બેઠા બેઠા જ તે રોજ અવનવા ત્રાગાં યોજી અને કોઈ વાર શ્રીદેવીને બચાવે છે, તો કોઈ વાર કોઈ અત્યંત વિકટ પરિસ્થિતિમાં ફસાવે છે. આખરે એક સાબિત કરવા શું માંગે છે, કદાચ એ ભૂતકાળમાં શ્રીદેવીએ તેને છોડી દીધો હતો. તેનો બદલો તો નહીં લેતો હોય ને! એવું પણ લાગે! પરંતુ અત્યારે તો આ પરિસ્થિતિમાં શ્રીદેવીનો માત્ર એક જ સહારો હતો, અને એ છે સુધીર દત્ત! હવે એ મારે કે તારે એ એના હાથની વાત હતી શ્રીદેવીના હાથની વાત તો હવે ક્યારની એ પૂરી થઈ ગઈ. કારણ કે તે પોતાના બંગલોમાંથી બહાર આવી ગઈ છે, અને આ ઉપરાંત તેની તો હવે કોઈ દેખીતી હયાતી જ સાબિત થતી નથી!; તો શું આ બધું એણે પણ પોતાના બદલાની એડમાં પ્રોપર્ટી મેળવવા માટે કર્યું?; 70 /30 ના ગુણોત્તર થી જોઈએ તો 30% શક્યતા દેખાય પણ છે, કારણ કે તેની પાસે ભૂતકાળમાં થયેલા અન્યાયનો બદલો લેવાનું એક સજ્જડ કારણ છે. પણ ના ..ના.. ઈશ્વર આટલો કઠોર ન બની શકે! અને એમાં પણ ચાર કે પાંચ વર્ષના બાળક સાર્થક માટે તો કદાપી નહીં! તો આખરે સત્ય શું છે એ જાણવા હજી થોડું થોભો, અને રાહ જુઓ વધુ આવતા અંકે……

‌‌ લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

વિધાતાની વિચિત્રતા !!
Comment

Your email address will not be published. Required fields are marked *