હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ.
આજે સોમવાર એટલે ચરિત્રની ઓળખ. ગઈકાલે ઋષિ પંચમી હતી અને આપણને પ્રશ્ન થાય કે ઋષિ જેવું ચરિત્ર કેમ બને? અથવા તો શું ઋષિ જેવું ચરિત્ર ફક્ત માનવ જ કરી શકે! ના દાનવો પણ ઋષિ ચરિત્ર ધરાવતા હતા. ત્રેતા યુગમાં વિભીષણ દ્વારા માતા સીતાની ભાળ મળી જવાથી, હનુમાનજી ક્ષણનો પણ વિલંબ કર્યા વગર અશોકવાટિકામાં આવે છે, અને અશોકના વૃક્ષ નીચે બેઠેલી મા સીતા રામ રામ એમ કરતી હતી,એને પોતાના પતિ પરમેશ્વરનાં વિરહમાં તડપતી જોઈને તેનું મન આક્રંદ કરે છે. પરંતુ ગાઢ અંધકારમાં પણ ક્યાંકથી એકાદ આશાનું કિરણ મળી જતાં જીવન ચાલતું હોય છે, એ જ રીતે અશોકવાટિકામાં પણ મા જાનકીને ત્રિજટાનો સહારો હતો, તો આજે આપણે ચિંતનમાં ત્રીજટા વિશે વાત કરીશું.
ત્રિજટાનો પાત્ર પરિચય તો સવ નાનો છે, અપહરણ કરીને લાવેલ સીતાને અશોકવાટિકામાં રાખે છે, અને તેની સહાય માટે તેમજ તે ક્યાંય ભાગી ન જાય માટે થોડી રાક્ષસીઓનો પહેરો ત્યાં આગળ ગોઠવે છે. સીતાની ખાસ પરિચારિકા તરીકે ત્રિજટાની નિમણૂક કરે છે, અને એ રીતે ત્રિજટા સીતાના આ લંકા કાળ દરમિયાનની સૌથી શ્રેષ્ઠ સાથી હતી. આ ઉપરાંત ત્રિજટા વિભિષણ અને સુરમાની પુત્રી તરીકે પણ બતાવાઈ છે, અને એટલે જ તેના હૃદયમાં પણ વૈષ્ણવી ગુણો હતાં, અને તે હર હંમેશ સીતાનું રક્ષણ કરતી હતી. તેની ભાવનાઓની કદર કરતી હતી, અને પતિવિયોગમાં તડપતી સીતાને કોઈને કોઈ બહાને જીવન તરફ આગળ ધકેલતી હતી. ટૂંકમાં કહીએ તો રાક્ષસ કુળમાં જન્મી હોવા છતાં સાધ્વી જેવાં પરમ ગુણ નિભાવતી હતી. રાવણને પણ ખબર હતી કે, હું જે કોમળ સુકુમારી જેવી નારીને લાવ્યો છું, તેનું જતન પણ કોઈ કોમળ સ્વભાવની સ્ત્રી જ કરી શકે એમ છે, માટે ત્રિજટાને સીતાની સેવા સોંપવામાં આવી હતી. ત્રિજટા ઉપરાંત તેની માતા સુરમાં પણ સીતાની સહેલી બની હતી, અને દરબારમાં અપમાન થતાં વિભીષણ જ્યારે લંકા છોડે છે, ત્યારે તેની પત્ની અને પુત્રી લંકા છોડતા નથી, પરંતુ સીતા તરફનું પોતાનું કર્તવ્ય પૂરી નિષ્ઠાથી નિભાવે છે. એટલે આમ જુવો તો એ લોકો પણ રામકાર્ય જ કરતાં હતાં.
ત્રિજટા શબ્દની સંધિ છૂટી પાડીને અર્થ કરીએ તો, ત્રણ જટા એવો અર્થ થાય. ત્રિજટા એટલે કે એવી સ્ત્રી કે જે ત્રણ ત્રણ સંન્યાસી જેટલો વૈરાગ્ય ધરાવે છે, અથવા તો ત્રણ ત્રણ સન્યાસી જેટલી સાત્વિક બુદ્ધિ ધરાવે છે, અથવા તો રાક્ષસી હોવા છતાં ત્રણ ત્રણ સન્યાસી જેટલી પવિત્ર અને નિર્મળ છે. રાવણે જ્યારે સીતાનું અપહરણ કર્યું નહોતું, ત્યારથી એનું નામ ત્રિજટા હતું, પરંતુ ભવિષ્યનું વિચારીને પણ તેનું નામકરણ થયું હશે. એટલે કે રામ લક્ષ્મણ અને સીતા ત્રણ ત્રણ તપસ્વી વેશે વનવાસ ભોગવી રહ્યા હતા, એ ત્રણ વૈરાગી ઓના વૈરાગનું સમર્થન કરવા સામે એટલો વૈરાગ પણ હોવો જોઈએ, જે ત્રિજટામાં હતો. વિભિષણની પુત્રી હોવાથી તેનામાં હિંસકવૃત્તિ નહોતી, પાશવી વૃત્તિ પણ નહોતી, અને નાનપણથી ઘરમાં હરી સ્મરણ થતું હોવાથી તે, ભક્તિથી પરિચિત હતી,અને પ્રભુ ભક્તિમાં તલ્લીન રહેતી સીતા માટે લંકામાં ત્રિજટાથી સારો બીજો કોઇ વિકલ્પ હતો નહીં. બાપુએ સાતે સાત કાંડના આચાર્યામાં સુંદરકાંડની આચાર્યા તરીકે ત્રિજટા છે એમ કહ્યું છે, કારણ કે સીતાનું લક્ષ્ય ભગવાન શ્રીરામ આવે ત્યાં સુધી તેની પ્રતીક્ષા કરવાનું હતું, અને ત્રિજટા જ્યારે જ્યારે સીતા વિચલિત થઈ જતાં હતાં, ત્યારે તેને આચાર્યા બની સંભાળી લેતાં હતાં, અને દરેક વખતે તેને પોતાના લક્ષ્ય તરફ આગળ ધકેલતી હતી. સીતા ત્રિજટાને માતે ! એવું સંબોધન કરે છે, માટે તે ઉંમરમાં પણ સીતા કરતાં મોટા હતા. દુશ્મનના ઇલાકામાં દોસ્ત મળવો, એ પણ હરિ કૃપા વિના સંભવ નથી. એટલે સીતા પણ આશ્વાસન લેતા હતાં કે પ્રભુ આ રીતે મારી સંભાળ લઈ રહ્યા છે.
ઘણીવાર અશોક વાટિકામાં ડરામણા દેખાવ અને ડરામણા અવાજો કરતી રાક્ષસીઓ સીતા તરફ ધસી આવે છે, અને અમે તને ખાઈ જઈશું! અમે તને ખાઈ જઈશું! એમ કરી તેની પર રોફ જમાવવાની કોશિશ કરે છે. પરંતુ ત્રિજટા ત્યાં આવી જાય છે, અને બધી જ રાક્ષસીઓને દૂર કરે છે, અને કહે છે હે પાપીણીઓ તમે કોને ખાવાની વાત કરો છો તમને ખબર છે? આ સાક્ષાત મા જગદંબા છે, એ ધારે તો આખી લંકા ને રગદોળી શકે તેમ છે, અને રાવણ જેવા કેટલાય મહાબલિ દાનવને તે મારી શકે તેમ છે. બધી જ રાક્ષસીઓ પોતાનો જીવ બચાવવા સીતાની માફી માગી, ત્યાંથી દૂર ચાલી ગઈ અને સીતાના વિરહને શાંત કરવા ત્રિજટા પોતાના સ્વપ્નની વાત કહે છે, અને કહે છે કે પુત્રી સીતા તું ધીરજ રાખ! મને સ્વપ્ન આવ્યું હતું કે બહુ ઝડપથી તારો પતિ અને તારો દેર તને અહીંથી મુક્ત કરાવવા આવશે, અને રાવણનો વધ થશે. પરંતુ વિરહાગ્નિમાં તડપતી સીતા ત્રિજટાને કહે છે કે, તું મારી હિતેચ્છુ છે, તો મને હવે ક્યાંકથી આગ લાવી દે, મારી ચિતા ખડકી દે, તો હું અહીં જ મારા પ્રાણ આપી દઉં! ત્રિજટા માનતી નથી, ત્યારે સીતા અરણ્યના એ અશોક વૃક્ષ પાસે એક અંગાર માંગે છે, અને કહે છે કે મારી પર એટલી કૃપા કરો !હવે મારાથી આ રીતે જીવાતું નથી. આપણે સૌ જાણીએ છીએ કે પછી સીતાનો હનુમાન સાથેનો મેળાપ થાય છે, અને એને વિશ્વાસ બેસે છે, કે પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણ એને છોડાવવા જરૂર આવશે. આપણી પ્રભુ તરફની ભક્તિ સાચી હોય, પૂર્ણ નિષ્ઠા ધરાવતા હોઈએ, આપણા કર્મ પણ સત્ય પ્રિય હોય, વચન પણ સત્ય પ્રિય હોય, અને આચરણ પણ સત્ય પ્રિય હોય, તો પ્રભુ આવશે એવી ખાતરી આપવા માટે ત્રિજટા જેવી કોઈ આચાર્ય અને હનુમાન જેવો કોઈ સંત આપણા જીવનમાં આવે છે, અને આપણને એનાથી આશ્વાસન તો મળે જ છે, પરંતુ જીવનમાં રાહતનો પણ અનુભવ થાય છે. તો આપણે સૌ ભગવાનને પણ આવવા માટે વિવશ બનવુ પડે એવી ભાવના બનાવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)