1. News
  2. ચિંતનની ક્ષણે
  3. હવે વિકાસ એટલે માત્ર શહેરીકરણ નહીં, પણ મધ્યમ વર્ગની જરૂરિયાતોને પણ નજરમાં રાખવી પડશે!

હવે વિકાસ એટલે માત્ર શહેરીકરણ નહીં, પણ મધ્યમ વર્ગની જરૂરિયાતોને પણ નજરમાં રાખવી પડશે!

Share

Share This Post

or copy the link

હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે 4 જુન છે, અને સૌ કોઈ પોતાના પક્ષની જીત થાય એની રાહમાં છે, ટૂંકમાં પરિણામ પર સૌની નજર મંડાયેલી છે. પણ શું આ પરિણામની ઈન્તેજારી માત્ર કૂતુહલ છે?? તો એ ખોટી વાત છે! કારણકે આ કોઈ વ્યક્તિગત પરિણામ નથી, પૂરાં દેશનું ભવિષ્ય એની પર નિર્ભર છે. વ્યક્તિગત પરિણામની વાત કરીએ તો માતાની કૂખેથી જન્મ થાય, અને થોડા વર્ષોમાં સ્કૂલમાં દાખલ થાય, ત્યારથી આપણે પરિણામની રાહ જોતા હોઈએ છીએ. એટલે કે જે વ્યક્તિએ પરીક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હોય, એને તો પરિણામની રાહ હોય જ, પરંતુ સ્કૂલનાં પરિણામ વખતે જેમ પરિવાર આખો રાહ જોતો હોય, અને સકારાત્મક પરિણામ આવે તો ખુશ થતો હોય, બસ એ જ રીતે અત્યારે આ ભારતીય પરિવાર પણ સકારાત્મક પરિણામની રાહ જોઈ રહ્યો છે. પણ જેમ વિદ્યાર્થી પરીક્ષા આપે અને પરિણામ આવવાનું હોય ત્યારે પોતે અંદરથી પાસ થશે કે નાપાસ! એને વિશે પોતે તો જાણતો જ હોય, કારણ કે પરીક્ષામાં કેટલું અને કેવું લખ્યું છે એ પરથી એણે તો ટકાવારી નક્કી કરી જ નાખી હોય, બસ એ જ રીતે અત્યારે જુદા જુદા એક્ઝિટ પોલ પરથી પરિણામ વિશેની જાહેરાતો થાય છે, કે આ પક્ષની જીત નક્કી છે, અહીંના દાવેદાર આટલા જંગી મતથી જીતી જશે, તો ત્યાં પેલી સીટનાં દાવેદારને હારનો સામનો કરવો પડશે. ટૂંકમાં કોઈ પણ પરિણામ હોય તો એને વિશે અનુમાન કરવાની આપણી ખાસિયત હોય છે. પણ ઘણીવાર હોશિયાર વિદ્યાર્થી કરતા ચોરી કરનારના માર્ક વધુ આવતા હોય છે, એ રીતે આ તો રાજકારણ છે, આમાં કેટલી એ પ્રકારના ષડયંત્રો રચાતા હોય! વિદ્યાર્થીની પરીક્ષામાં જે તે વ્યક્તિ વિદ્યાર્થીઓ હોય, એને વ્યક્તિગત ફાયદો કે ગેરફાયદો થાય, જ્યારે આ પુરા દેશનો સવાલ છે! અને એની માટે અહીં કોઈ કાવા દાવા કે ષડયંત્ર થવા જોઈએ નહીં, પણ પ્રેમ અને યુદ્ધમાં જેમ બધું થઈ શકે એવી આપણી રણનીતિને નામે રાજકારણમા સૌથી વધુ ષડયંત્રો થાય છે. ખેર છોડો એ તો પરિણામ આવશે, અને પછી એના વિશ્લેષણ પરથી નક્કી થશે! પરંતુ આ વખતે લોકોની નજર હાર જીત પર નથી, જેમ હોશિયાર વિદ્યાર્થી પરિણામ પહેલાં જ પોતાની ટકાવારી જાહેર કરી દેતો હોય છે, એ જ રીતે આ વખતે શાસક પક્ષે “અબ કી બાર 400 કે પાર” એવું એક સ્લોગન ચૂંટણી વખતે જ બહાર પાડ્યું હતું, અને એને કારણે સૌ કોઈની આશા દાવેદાર પક્ષ 400 સીટ મેળવી શકે છે કે નહીં? એની પર છે!: એ જે થાય તે ! પરંતુ જે કંઈ થાય તે દેશ માટે થાય એ ઉત્તમ રહે. શાસક પક્ષ અને નાગરિક બંને માટે હર હાલમાં “વિજયી વિશ્વ તિરંગા પ્યારા” ની નિતી સૌથી ઉપર રહેવી જોઈએ. પણ ક્યારેક વધુ પડતો આત્મવિશ્વાસ કે મહત્વકાંક્ષા એ ગેરરીતિ કરવા પ્રેરે છે, એવું ન થાય એ પણ જોવું રહ્યું. કારણ કે આ તો રાજકારણ છે! અને અહીં દાવેદારની લાયકાત નું કોઈ પેરામીટર હોતું નથી. ઘણીવાર પરીક્ષા આપ્યા વગર જ પાસ થઈ જવાની નીતિ પણ હોય છે, જે આગળ જતાં સમાજને ભારે પડે છે! અને એટલે જ લોકશાહીમાં યોગ્ય દાવેદાર ને મતદાન થવું જરૂરી હોય છે.

ભારતીય સમાજ માથે પરિણામ અનુલક્ષીને અત્યારે બે પ્રકારના ભયની તલવાર તોળાઈ રહી છે, એક તો શાસક પક્ષ 400 ની પાર સીટ મેળવી લે તો આગળ જતા લોકશાહી સરમુખત્યારમાં તબદીલ થવાની શક્યતા છે, અને જેને કારણે સંવિધાન સાથે ચેડા પણ થઈ શકે, એવી પણ એક શક્યતા દેખાય છે. જ્યારે બીજું નબળા પક્ષના હાથમાં શાસન આવશે તો દેશે કરેલો વિકાસ અને ગંદી રાજનીતિ ફરી જંગ છેડશે. ચૂંટણી હવે થઈ ચૂકી છે, અને મતદાન થઈ ચૂક્યું છે. એટલે જે કંઈ થઈ ગયું, એમાં આપણે કંઈ કરી શકવાના નથી, પરંતુ આપણા હાથમાં હજી બાજી છે! એટલે કે હાર જીત ગમે તેની થાય, પણ આપણે જાગૃત નાગરિક બની દેશના શાસન કર્તાઓને પડકાર ફેંકી શકીએ તેમ છીએ, અને એ આપણો માત્ર અધિકાર નથી, આપણી ફરજ છે, કારણ કે આપણી માટે આ માત્ર દેશ નથી, ભારત માતા છે,અને આપણી માતાનું સન્માન બની રહે એ જોવાનું આપણું કર્તવ્ય પણ છે.

નો ડાઉટ શાસક પક્ષે છેલ્લા દસ વર્ષમાં ઘણા સારા કાર્યો કર્યા છે, અને ભારતને વિશ્વની નજરમાં લાવવામાં સફળતા મેળવી છે. વિકાસના પંથે પણ આપણે બહુ ઝડપથી આગળ વધ્યા છીએ, અને આવનારા વર્ષોમાં એમના દાવા મુજબ આપણે ઘણો વિકાસ કરીશું. એ બધું થાય એ જરૂરી છે, પરંતુ સાથો સાથ દેશની જનતા ના પ્રાથમિક જીવનની જવાબદારી પણ શાસક પક્ષની હોય છે. અત્યારે સમાજમાં મુખ્ય ચાર વર્ગ જોવા મળે છે, એક ધનવાન, બીજું ઉચ્ચ મધ્યમ અને નીચો મધ્યમ, અને ચોથો શ્રમજીવી એટલે કે ગરીબ વર્ગ. હવે આમાં જે મધ્યમ વર્ગ છે, નોકરિયાત છે એ જ મોટાભાગનો ટેક્સ ચૂકવતો હોય છે, અને છતાં મોંઘવારી પણ એને જ પીડતી હોય છે. કારણ કે બાકીના બંને વર્ગ તો…. એટલે આવનારી સરકારે માત્ર વિકાસ એટલે શહેરીકરણ નહીં, પણ મધ્યમ વર્ગની જરૂરિયાતોને પણ નજરમાં રાખવી પડશે! અને માત્ર વાતો નહીં, કંઈક ઠોસ પગલાં પણ ભરવા પડશે, જેમકે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવને નિયંત્રણમાં લેવા માટે કંઈક કરવું પડશે! આ ઉપરાંત દરેક તંત્રમાં પ્રવેશી ગયેલા ભ્રષ્ટાચારને પણ નિયંત્રણમાં લાવવો પડશે! દરેક સેવાના ક્ષેત્રનું જે વેપારીકરણ થઈ રહ્યું છે એ પણ જોખમી છે! કારણકે એ એમોયુ થી આવેલ વિદેશી કંપની પણ હોઈ શકે. ઉપરથી મધ્યમ વર્ગનાં નાણા ભ્રષ્ટ અધિકારીઓને લાંચ રૂપે આપવામાં પણ ખર્ચાઈ જતાં હોય છે, અથવા શિક્ષણમાં કે પછી દિવસે દિવસે મોંઘી થતી મેડિકલ સુવિધા માં ખર્ચાઈ જાય, અને એને કારણે એ રિટાયરમેન્ટ સુધી બે છેડા ભેગા કરી શકતો નથી, અને ઘણાં તો ઘર પણ કરી શકતાં નથી.

જીત ગમે તે પક્ષની થાય પણ એની ઉજવણીમાં આપણે આ બધું ભૂલી જવાનું નથી. સૌથી પહેલું તિરંગા નુ માન સન્માન એ જ આપણું માન! બીજું હવે ભારત માત્ર વિકાસ નહીં પરંતુ સર્વાંગી વિકાસ તરફ વધુ ધ્યાન આપશે! ત્રીજું અસમાનતા ના ગ્રાફને ઓછો કરવા વેપારી વર્ગ ટેક્સ માંથી જે છટકબારી શોધી લેતા હોય છે, એને માટે કાયદો બનવો જોઈએ! આમ તો નૈતિકતા ની રીતે દરેકે સ્વેચ્છાએ જ પોતાની કમાણી જાહેર કરી એના પરનો ટેક્સ ભરી દેવો જોઈએ, પરંતુ એવું થતું નથી. મધ્યમ વર્ગના નાગરિકોએ પણ પોતાની મર્યાદા અને જરૂરિયાતોને સમજવી પડશે, બાકી જાહેરાતોની આ દુનિયામાં એ જાણે દેવાદાર તરીકે જન્મ્યો હોય એમ, મૃત્યુ સુધી કોઈને કોઈ પ્રકારની લોન ભરતો અને જીવનભર સુખને શોધવામાં આ ભૌતિકતાની ભરમારમાં અટવાયેલો રહેશે. તો પરિણામ જે કંઈ આવે એ આપણે ધાર્યા મુજબનું આવે તો તો બહુ જ સારું, પરંતુ એ મુજબ ન‌ આવ્યું! તો એ માટે પણ આપણે જવાબદાર છીએ, કારણ કે આપણે એવું બધું ચલાવી લઈએ છીએ. આવનારા સમયમાં ભારતની આન, બાન, અને શાન માટે આપણે જાગૃત નાગરિક બની કર્તવ્ય નિભાવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

હવે વિકાસ એટલે માત્ર શહેરીકરણ નહીં, પણ મધ્યમ વર્ગની જરૂરિયાતોને પણ નજરમાં રાખવી પડશે!
Comment

Your email address will not be published. Required fields are marked *