કપરાડા તાલુકાના દહીંખેડ ખાતે રૂ. ૨૪.૫૦ લાખ તેમજ પીપરોણી ખાતે રૂ. ૩૪.૭૫ લાખના ખર્ચે ચેકડેમ કમ કોઝવે બનાવાશે

0
165

  • પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દહીંખેડ ખાતે રૂ. ૨૪.૫૦ લાખના ખર્ચે તેમજ પીપરોણી ખાતે રૂ. ૩૪.૭૫ લાખના ખર્ચે નિર્માણ થનારા ચેકડેમ કમ કોઝવે બનાવવાના કામોનાં ખાતમુહૂર્ત કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્‍તે કરાયાં હતાં.

આ અવસરે પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પ્રજાજનોની સુખાકારી માટે જરૂરિયાત મુજબ તબક્કાવાર વિકાસના કામો હાથ ધરવામાં આવી રહયા છે. આ ચેકડેમ કમ કોઝવે બનવાથી દહીંખેડથી બુરવડ ગામનું અંતર ઘટી જશે. આ વિસ્‍તારમાં રહેતા પ્રજાજનોને આવનજવનની વધુ સુવિધા ઉપલબ્‍ધ કરાવવા માટે અનેક રસ્‍તાઓ પહોળા બનાવવાનું આયોજન કરાયું છે. કોઈપણ વ્‍યક્‍તિ ભૂખ્‍યો ન રહે તે માટે કોરોના મહામારીનો સામનો કરી રહેલા જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્‍યે રાશન પૂરું પાડવામાં આવ્‍યું છે, જે માર્ચ સુધી આપવામાં આવશે. કોરોના સામે રક્ષણ મેળવવા વેકસીનેશન કરવામાં આવી રહયું છે, જેના લીધે કોરોના સામે લડવા માટે રોગપ્રતિકારક શક્‍તિ મળે છે. રાજ્‍ય સરકાર વિકાસના પંથે ઝડપભેર આગળ વધી રહી છે, જેમાં સૌના સહયોગની અપેક્ષા તેમણે વ્‍યક્‍ત કરી હતી.

કાર્યપાલક ઈજનેર એસ.એ.વહિયાએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી કામગીરીની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, નાની સિંચાઈ યોજના હેઠળ કપરાડા તાલુકામાં અનેક કામો કરવામાં આવ્‍યા છે, જેના થકી ગ્રામ્‍ય વિસ્‍તારમાં સિંચાઇની વધુ સુવિધા ઉપલબ્‍ધ બની છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્‍યક્ષ ગુલાબભાઈ રાઉત તેમજ તાલુકા સંગઠન પ્રમુખ રમેશભાઈ ગાવીતે પ્રાસંગિક ઉદબોધન કર્યાં હતાં.
આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઇ ગરેલ, દહીંખેડ સરપંચ ગજુભાઈ, પીપરોણી સરપંચ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્‍યો, આજુબાજુના ગામોના સરપંચ, ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here