દુલસાડ ખાતે ઢોડિયા સમાજ સમસ્‍ત બાવીસા કુળ પરિવારનું સંમેલન યોજાયું

0
197

ઢોડિયા આદિવાસી સંસ્‍કૃતિને જીવંત રાખવા પ્રથમ બરમદેવની પુજા-અર્ચના કરવામાં આવી

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલ સહિત મહાનુભાવોનું ઢોડિયા સમાજનું પ્રતિક ટોપી પહેરાવી સન્‍માન કરવામાં આવ્‍યુ

ઢોડિયા જ્ઞાતિ સંસ્‍કૃતિ, દેવીદેવતાઓની પુજા, તુર-થાળી વાદનને જીવંત રાખવાનો સ્‍તુત્‍ય પ્રયાસ

વલસાડ- ઢોડિયા સમાજ સમસ્‍ત બાવીસા કુળ પરિવારનું સંમેલન ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલના અધ્‍યક્ષસ્‍થાને બરમદેવ અને ભવાનીમાતાના સાંનિધ્‍યમાં દુલસાડ તા.વલસાડ ખાતે યોજાયું હતું. જેમાં બાવીસા કુળના ઉત્‍થાન માટે વિવિધ પાસાંઓની ચર્ચા વિચારણા કરી, શિક્ષણ ઉપર ભાર મુકી વ્‍યસનથી દૂર રહેવા સૌને અનુરોધ કરવામાં આવ્‍યો હતો. બાવીસા કુળમાં જેમણે પોતાના સ્‍વજન ગુમાવ્‍યા છે, તેના આત્‍માની શાંતિ માટે બે મીનિટ મૌન પાળવામાં આવ્‍યું હતું.

સંમેલનમાં બાવીસા પરિવારના ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલ સહિત મહાનુભાવોનું ઢોડિયા સમાજનું પ્રતિક ટોપી પહેરાવી સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. કાર્યક્રમનો મુખ્‍ય આશય સામાજિક, શૈક્ષણિક રીતે ભાવી પેઢીને ઉજાગર કરવાનો છે.

ઢોડિયા આદિવાસી સંસ્‍કૃતિને જીવંત રાખવા પ્રથમ બરમદેવની પુજા-અર્ચના કરવામાં આવી છે. ભુલાતી જતી ઢોડિયા ભાષામાં દેવતા, લગ્નગીતો અને તુર-થાળી વાદનને જીવંત રાખવા સ્‍તુત્‍ય પ્રયાસ કરાયો હતો. બાળકો દ્વારા સ્‍વાગતગીત, અભિયનગીત, રાસ-ગરબા રજુ કરવામાં આવ્‍યા હતા.

મહાનુભાવોના હસ્‍તે ધોરણ-૧૦ અને ૧૨ માં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. તેઓનું ભવિષ્‍ય ઉજ્જવળ બને અને ઉચ્‍ચ શિખરે પહોંચી સમાજનું નામ રોશન કરે તેવા આશીર્વાદ તેઓએ પાઠવ્‍યા હતા.
ગુજરાતમાં વલસાડ જિલ્લામાં ધરમપુર, કપરાડા, વલસાડ પારડી, ઉમરગામ, નવસારી જિલ્લામાં ખેરગામ, વાંસદા, ચીખલી, નવસારી અને સુરત જિલ્લામાં મહુવા તેમજ સેલવાસ અને મહારાષ્ટ્ર વિસ્‍તારોમાં વસતા બાવીસા કુળ પરિવારને સ્‍નેહમિલનનો અવસર મળ્‍યો હતો. જેમાં એકબીજાના વિચારોના આદાન-પ્રદાન સાથે શિક્ષણ થી સમાજ આગળ વધે તે માટે ખાસ કરીને ઉચ્‍ચ શિક્ષણમાં મેડીકલ અને એન્‍જિનિયરીંગ ક્ષેત્રે અભ્‍યાસમાં આર્થિક રીતે મુશ્‍કેલી અનુભવતા કુળના પરિવારને મદદરૂપ બનવા સૌએ એક સુરે મદદરૂપ બનવા સહમતિ સાધવામાં આવી હતી. બાવીસા કુળ પરિવારની ડીરેકટરી પણ બનાવવામાં આવશે.

સ્‍નેહમિલનના કાર્યક્રમને બિરદાવતા ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલે, બાવીસા કુળને આગળ લાવવા બાળકોને શિક્ષણ આપવા પર વિશેષ ભાર મુકયો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, શિક્ષણ પ્રાપ્‍ત થશે તો જ આપણો સમાજ સામાજિક ઉત્તરદાયિત્‍વ અદા કરીને આર્થિક રીતે પગભર બનશે. તેમણે આદિવાસીઓના ઉત્‍થાન માટે અમલી યોજનાઓનો લાભ લેવા પણ સૌને અનુરોધ કર્યો હતો.

નવસારી જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના અધ્‍યક્ષ પરિમલભાઇ પટેલે બાવીસા પરિવારના ઉત્‍થાન માટે મદદરૂપ થવા અને આવા કાર્યક્રમો દ્વારા સંસ્‍કૃતિને જીવંત રાખવાના પ્રયાસને બિરદાવ્‍યો હતો.
કાર્યપાલક ઇજનેર અનિલભાઇ પટેલે બાવીસા કુળ પરિવારને એકમંચ પર એકત્ર કરવાના પ્રયાસને બિરદાવી આવા કાર્યક્રમમાં સહભાગી થવા ખાતરી આપી હતી.
કાર્યપાલક ઇજનેર મનિષભાઇ પટેલનું કાર્યક્રમના સફળ આયોજન માટે મહત્‍વનું યોગદાન રહયું હતું.
કાર્યક્રમમાં દુલસાડના સરપંચ દિલિપભાઇ, અરવિંદભાઇ પટેલ, ઇશ્વરભાઇ પટેલ, ફલધરાના જગનભાઇ પટેલ, સુખાલાના કીકુભાઇ પટેલ, સેલવાસના ભરતભાઇ, દેહરી ઉમરગામના પરભુભાઇ, આંબાતલાટના છોટુભાઇ પટેલ, રાજપુરી તલાટના કાંતિભાઇ પટેલ સહિત વિવિધ વિસ્‍તારોના બાવીસા જુથના પ્રમુખો, મંત્રીઓ, વડીલો, બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. સ્‍નેહમિલન કાર્યકમના આયોજન-સંકલન સાથે આભારવિધિ સહાયક માહિતી નિયામક ઉમેશ બાવીસાએ આટોપી હતી.
બાવીસા કુળ પરિવાર સંમેલનને સફળ બનાવવા દુલસાડ બાવીસા પરિવારના વડીલો-યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here