ઈઝરાયેલની પ્રખ્યાત ખારેકનો સ્વાદ હવે અમદાવાદમાં. પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી જીલ્લામાં ખારેકની પ્રયોગાત્મક ખેતી સફળ

0
192

જીએનએ અમદાવાદ:

જિલ્લાના માંડલ તાલુકાના નવાગામ ગામના એક આધુનિક યુવાન મહેનતકશ ધરતીપુત્ર ખેડૂત જગદીશભાઈ હરિભાઈ પાવરા પરંપરાગત ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પોતાની ૧૩ વિઘા જમીનમાં પરંપરાગત કપાસ,એરંડા અને પશુને ઘાસચારો મળે એની જ ખેતી કરતાં હતા. વારસામાં મળેલી ખેતીમાં કંઈક નવીનતમ કરવાની ખેવના ધરાવતા અને માંડ ૧૦ ધોરણ સુધીનો જ અભ્યાસ કરેલા જગદીશભાઈએ પોતાની પરંપરાગત ખેતી છોડીને જમીનમાં નવીન પ્રયોગ કરવાનું વિચાર્યું અને ખારેકના વાવેતર વિશે જાણકારી મેળવી અને ત્રણ વર્ષ પહેલા તેમણે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને ઈઝરાયેલ ટીસ્યુ ખારેકનું પોતાના ખેતરમાં વાવેતર કર્યુ.

કૃષિ વૈજ્ઞાનિકોની મદદથી તેમણે જાણ્યું કે ખારેકના વાવેતરને આપણું અહીંનું વાતાવરણ, જમીન, પાણી અનુકુળ આવે એમ છે. વાવેતરની પધ્ધતિ કેવી હોવી જોઇએ? તેનો ઉછેર,માવજત અને અન્ય વિગતોનો તેમણે અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે ઈઝરાયેલ ખારેકના ટીસ્યું વલસાડની એક એજન્સીમાથી મંગાવ્યા.

રાજય સરકારના બાગાયત ખાતા તરફથી બાગાયતી પાકોની ખેતી કરતાં ખેડૂતોને ખારેકની વાવણી માટે રૂપિયા ૧.૫૬ લાખની સબસીડી અપાય છે
જગદીશભાઈએ એક રોપાની મૂળ કિંમત ૩૭૫૦/- રૂપિયા પ્રમાણે ૩૨૦ જેટલા રોપા મંગાવ્યા અને ૧૩ વિઘા જમીનમાં તેનું વાવેતર શરું કર્યું.તેઓને એક હેક્ટર જમીન વિસ્તાર મુજબ કુલ રૂપિયા ૧,૫૬,૨૫૦/- ની સબસિડી પણ મળી.

અન્‍ય રાજયની તુલનાએ ગુજરાતમાં ખેતી માટે રાજ્યસરકારની અનેક સહાયો મળે છે. તેમ કહેતા શ્રી જગદીશભાઈએ વધુમાં કહે છે કે અમે પરંપરાગત ખેતીમાં એરંડા અને કપાસ વાવતા હતા.પણ ત્રણ વર્ષ પહેલા ટીસ્યુ કલ્ચર ખેતીમા ખારેક વિશે જાણ્યું અને તેની સંસાધનિક તાલીમ મેળવી. પાકને પાણીની અહીં અછત નથી પડતી કારણ કે તેઓ પાકને સંપૂર્ણપણે ટપક સિંચાઇ પધ્ધતિથી પાણી આપે છે.

ગુજરાત ગ્રામ હાટ ભવન, પાલડી અમદાવાદ ખાતે હમણાં જ યોજાયેલા ‘’કર્ણાવતી પ્રાકૃતિક કૃષિ ગ્રાહક બજાર-૨૦૨૨’’ માં પોતાની મીઠી ખારેક લઈને ઉપસ્થિત રહેલા જગદીશભાઈ માહિતી ખાતા સાથે વાતચીતમાં જણાવે છે કે મે અમદાવાદ જિલ્લામા પ્રથમવાર જ આ પ્રયોગ કર્યો અને મને સફળતા મળી છે. હવે હું અન્ય ખેડૂતોને પણ આ ખેતી કરવાની પ્રેરણા આપીશ.

પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તૈયાર થયેલી ખૂબ જ મીઠી ખારેકનો સ્વાદ ચાખતા અમોએ પુછ્યું કે આ ખારેકનું હવે વેચાણ ક્યાં અને કેવી રીતે કરશો? ત્યારે જગદીશભાઈ જણાવે છે કે આટલી મીઠી અને રસાયણમુકત ખારેકની માંડલના બજારમાં ખુબ જ માંગ છે. એટલે હું આ ખારેક ૧૫૦ રૂપિયે કિલોના ભાવે સીધા ગ્રાહકોને જ વેચું છું.. એક રોપા દીઠ ર૪ કિલો જેટલી ખારેક ઉતરી છે એટલે ૩૧૫ કુલ રોપાદીઠ હાલ ૭૫૬૦ કિલો ખારેકની ઉપજ થઈ છે.રૂપિયા ૧૨ લાખના ખર્ચ સામે મને ૧૧.૩૪ લાખનું વળતર પણ મળ્યું છે.

તેઓ ઉમેરે છે કે ખેતીમા કોઈપણ મુંઝવણ સંદર્ભે ખેતીવાડી અને બાગાયતી ખાતાના અધિકારીઓ પાસેથી માર્ગદર્શન પણ મળે છે.
તેમના કહેવા મુજબ ખેડુતોભાઇઓએ હવે કેમિકલ યુક્ત ખેતીવાડી છોડીને પરંપરાગત ખેતીમાં પ્રાકૃતિક રીતે ગાય આધારિત ખેતી પધ્ધતિ અપનાવીને ખેતીનો વિકાસ કરવો જોઇએ જેનાથી આરોગ્યપ્રદ ખોરાક સાથે તંદુરસ્ત જીવન મળે છે.
******

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here