ધરમપુર પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદને લઈ પાર, તાન નાર, માન અને લાવરી નદી બને કાંઠે વહી હતી. નદીઓના વધેલા જળ સ્તરને લઈ તાલુકાના અનેક ચેકડેમ, ચેકડેમ કમ કોઝવે પર પાણી ફરી વળ્યાં હતા.બોપીમાં રાત્રી દરમ્યાન ખનકીના નીચા પુલ ઉપરથી પસાર થતી ઇકો વાન પાણીમાં ખેંચાઈ જતા ત્રણ વ્યકતીઓ તણાયા હતા. એકનો બચાવ થયો હતો.
આસુરાની માન નદીના વધેલા જળ સ્તર નજીકની કરંજવેરી સ્મશાન ભૂમિમાં આવી જતા બેસવા માટે બનાવેલો શેડ તથા પેવરબ્લોકનું ભારે ધોવાણ થયું હતું. બામટી સરપંચ વિજયભાઈ પાનેરીયાએ જણાવ્યું હતું કે માન નદી પુલ ઉપરથી પાણી ફરી વળવાની સાથે નદીના ફરી વળેલા પાણીમાં સ્મશાનભૂમિ ડૂબી ગઈ હતી. અને શિશવાડા ફળિયામાં બાર ,જલારામ નદી ફળીયામાં એક તથા નાની બામટીના સાત ઘરમાં પાણી ભરાઇ જતા રહીશો ઊંચાણ વાળા વિસ્તારમાં નીકળી ગયા હતા. જ્યારે ટેટુપાડા તથા જુના પટેલ ફળીયામાં જમીનનું ધોવાણ થયું હતું.
આ સાથે શિશવાડા ફળીયામાં રસ્તો ધોવાયો હતો. તુતરખેડના ડે. સરપંચ દયારામ ભોયાએ જણાવ્યું હતું કે ચીખલપાડા- તુતરખેડ વચ્ચેથી પસાર થતી નાર નદી પરનો નીચો પુલ તથા ધામણી-તામછડી નાર નદી પુલ ડૂબાણમાં જતા આશરે વીસ ગામોને અસર થઈ હતી.
કપરાડા- ધરમપુરમાં સતત વરસાદ ચાલુ
જિલ્લામાં મેઘરાજી મન મુકીને વરસી રહ્યાં છે. ખાસ કરીને સૌથી વધુ ધરમપુર અને કપરાડા તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. સોમવારે મોડી સાંજ સુધી બંને તાલુકામાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો. વરસાદના કારણે અનેક માર્ગો બંધ થયાં છે. 5 દિવસથી કપરાડા અને ધરમપુરમાં વરસાદી માહોલ છવાયો છે. આગામી બે ત્રણ હજુ પણ વરસાદ પડશે એવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં વાપી અને વલસાડ, પારડી શહેરની તુલનાએ કપરાડા અને ધરમપુરના જંગલ અને પહાડી વિસ્તારમાં વધુ વરસાદ વરસી રહ્યો છે. વર્ષોથી વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકામાં વધુ વરસાદ પડે છે. આ વખતે પણ જુની પેર્ટન મુજબ વરસાદ આવી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અન્ય તાલુકાની સરખામણીએ સૌથી વધુ કપરાડા તાલુકામાં વરસ્યો છે.