ગુજરાતમાં ભાજપની સરકાર બની છે ત્યારથી વેપાર ધંધા ઠપ થઇ ગયા છે : ગોપાલ ઇટાલિયા

0
336

‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વલસાડમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો’

ગુજરાતમાં ભાજપની સરકાર બની છે ત્યારથી વેપાર ધંધા ઠપ થઇ ગયા છે : ગોપાલ ઇટલીયા

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વલસાડ ખાતે વેપારીઓ સાથે સંવાદ કરતા કહ્યું કે, ઘણા બધા લોકો સત્તામાં આવ્યા છે અને બીજી પાર્ટીની સરકારએ બની છે પણ એવી કોઈ પાર્ટી નથી જેણે જનતા સાથે વાતચીત કરવાનો, સંવાદ કરવાનો પ્રયાસ કર્યો હોય અને સમસ્યા જાણીને ઉકેલ લાવ્યા હોય. પરંતુ પહેલી વખત આમ આદમી પાર્ટીના માધ્યમ થી આ શક્ય બન્યું છે. હું અરવિંદ કેજરીવાલજીનો પ્રતિનિધિ છું. અરવિંદ કેજરીવાલજીનું કહેવું છે કે આપણે નાના મોટા દરેક વેપારી જે દેશના અર્થતંત્રમાં યોગદાન આપે છે તે બધાની સમસ્યા સાંભળીશું અને તેનું નિવારણ લાવીશું. એટલે સમગ્ર ગુજરાતમાં સતત એક મહિના માટે અમે દરેક જિલ્લમાં વેપારી સાથે સંવાદનું આયોજન કર્યું છે.

અંગ્રેજો જ્યારે ભારત આવ્યા ત્યારથી જ ગુજરાત વેપાર ધંધા માટે જાણીતું છે. પરંતુ જ્યારથી ભાજપની સરકાર બની છે ત્યારથી વેપાર ધંધા ઠપ થઇ ગયા છે. વેપાર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે, નફો વધતો નથી અને ખર્ચો વધી જાય છે. વર્ષો સુધી એક ને એક પાર્ટીને સત્તામાં રહેવાથી અહંકાર આવી ગયો છે. જનતા વોટ આપે છે અને તેઓ લઇ લે છે જનતા માટે કંઈ કામ કરવું કે નહિ તેનાથી કોઈ ફરક પડતો નથી, એવી માનસિકતા ભાજપની થઈ ગઈ છે.

અરવિંદ કેજરીવાલજીએ આંતરરાષ્ટ્રીય સ્તરના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે, આંતરરાષ્ટ્રીય સ્તરના ભણતર સાથે, શિક્ષકોને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ આપીને એક શાનદાર સરકારી શિક્ષણ વ્યવસ્થા ઉભી કરી. પહેલા ભાજપને આ શક્ય ન હતું લાગતું, પરંતુ દિલ્હીની જનતાના આશીર્વાદથી અરવિંદ કેજરીવાલજીની સરકારે એટલી શાનદાર શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી કે અઠવાડિયા પહેલા જ વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકા દેશ ના નંબર વન ન્યૂઝ પેપર એ પણ દિલ્હીની શાળાઓના વખાણ કર્યા. અમેરિકાના ન્યૂઝપેપરમાં પહેલા પેજ પર દિલ્હીની શિક્ષા ક્રાંતિ ના વખાણ થયા તે આખી દુનિયાએ જોયું. ભારતની સ્કૂલોનો ફોટો અમેરિકાના છાપામાં છપાય તો દેશને ગર્વ થાવો જોઈએ, કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ મંત્રીનું સન્માન થવું જોઈએ અને તેમની પાસેથી દેશની શિક્ષણ વ્યવસ્થા સુધારવા માર્ગદર્શન લેવું જોઈએ. પરંતુ કેન્દ્ર સરકારે શું કર્યું, એ જ દિવસે મનીષ સિસોદિયાજીના ઘરે CBI મોકલી દીધી. મનીષ સિસોદિયાજીના ઘરે 14 કલાક શોધખોળ કર્યા બાદ અને આજે એ વાતને ચાર દિવસ થયા બાદ હજુ સુધી સીબીઆઈ કે પછી ભાજપના લોકો ને કાંઈ ખબર નથી પડી કે એમના ઘરેથી કઈ વસ્તુ મળી?

થોડા સમય પહેલા યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થયું હતું અને યુદ્ધ દરમિયાન યુક્રેનમાં ભારત દેશના ઘણા બધા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. વિદ્યાર્થીઓ ત્યાં ડોક્ટર બનવા માટે જતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે યુક્રેનને આઝાદ થયે ફક્ત 25 વર્ષ થયા છે અને ભારત દેશને આઝાદ થયે 75 વર્ષ થયા છે પણ યુક્રેન એટલુ સક્ષમ બની ગયું છે કે બીજા દેશના વિદ્યાર્થીઓને ડોક્ટર બનાવી રહ્યું છે જ્યારે આપણો દેશ 75 વર્ષ જૂનો છે તો પણ આજે આપણા દેશના વિધાર્થીઓને બીજા દેશમાં જઈને અભ્યાસ કરવો પડે છે. આવી પરિસ્થિતિ એટલા માટે સર્જાય છે કારણ કે અત્યાર સુધી જે સરકારો આવી એમણે ક્યારેય એકબીજા પાસેથી સારી વસ્તુ શીખ્યા નહીં અને બસ એક બીજાને ખેંચીને પાડવામાં બધો સમય વેડફી નાખ્યો. અત્યાર સુધી બીજી પાર્ટીઓના અંદર અંદર લડાઈ ઝગડામાં દેશના 75 વર્ષ વેડફી નાખ્યા એટલા માટે આજે આપણા બાળકોએ વિદેશ ભણવા જવું પડે છે.

એટલા માટે અરવિંદ કેજરીવાલજી દેશ માટે એક વિઝન લઈને નીકળ્યા છે કે આપણે બધાએ સાથે મળીને ભારત દેશને દુનિયાનો નંબર વન દેશ બનવો જ છે. કારણ કે આપણા પછી આઝાદ થયેલા દેશ અને બીજા વિશ્વયુદ્ધમાં બરબાદ થઈ ગયેલા જર્મની અને જાપાન જેવા દેશો આજે આપણાથી આગળ નીકળી ગયા છે. ભારત દેશ પાસે કોઈ કમી નથી આપણા દેશમાં સૌથી મહેનતુ લોકો છે, સૌથી બુદ્ધિશાળી લોકો છે, આપણો દેશ સાધન સાધનથી ભરપુર છે. ખાલી કમી રહી ગઈ તો ફક્ત સારા રાજકારણીઓની અને એ કમી પૂરી કરવા માટે અરવિંદ કેજરીવાલજી આવ્યા છે. પછી આજે અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી દિવસ રાત મહેનત કરી રહી છે ફક્ત ભારત દેશને દુનિયાનો નંબર વન દેશ બનાવવા માટે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે માટે મુદ્દાઓની વાત કરીએ તો ગુજરાતમાં મુદ્દાઓની અને સમસ્યાઓની કોઈ કમી નથી. સરકારમાં બેઠેલા લોકો પ્રજાનો કોઈ અવાજ સાંભળતા નથી. અને જો કોઈ ઊંચા અવાજે પોતાના મુદ્દા ઉઠાવે, સવાલ કરે તો સરકારના કે ભાજપના ગુંડાઓ ધમકી આપવા તેમના ઘરે પહોંચી જાય છે. આજે જેને મળીએ તે કહે છે કે અમે આમ આદમી પાર્ટીને વોટ આપીશું પણ ખુલીને બહાર નીકળીને સમર્થન આપવાથી ડર લાગે છે કારણકે આ લોકો અમારા વેપાર-ધંધાને બંધ કરાવી દેશે. મને સમજાતું નથી કે આ કેવી સરકાર છે જે લોકોના વેપાર-ધંધા બંધ કરાવી દે છે. જે લોકો પાસે પાંચ ટ્રક હતા એમની પાસે આજે બે ટ્રક છે અને જેમની પાસે બે ટ્રક હતા તેમની પાસે 1 ટ્રક બચ્યો છે. તો આવી સરકાર કોઈ કામની નથી જે લોકોના વેપાર ધંધા બંધ કરાવી દે.

એક સીધી વાત સૌને સમજાય છે કે, દેશના વેપારીઓ સારી રીતે વેપાર ધંધો કરશે, લોકોને રોજગાર આપશે તો તેમનો પણ વિકાસ થશે, આખા દેશનો વિકાસ થશે અને આખો દેશ પ્રગતિ કરશે. પણ જો વેપારીઓને શાંતિથી વેપાર કરવા દેવામાં ન આવે, પરેશાન કરવામાં આવે, જે તે લાઇસન્સ માટે ધક્કા ખવડાવવામાં આવે, અલગ અલગ પ્રકારના ઇન્સ્પેક્શન આવે અને આ બધા ના લીધે વેપારીઓ સરકારી અધિકારીઓના પાછળ હાથ જોડીને ફરતા રહેતા હોય છે. આવી મુશ્કેલી ગુજરાતની સાથે સાથે આખા દેશમાં છે અને એટલા માટે જ અરવિંદ કેજરીવાલજીએ આ સમસ્યાનું સમાધાન લાવવાનું નક્કી કર્યું અને દિલ્હીમાંથી રેડ રાજ ખતમ કરી નાખ્યું. અને અધિકારીઓને સૂચના આપવામાં આવી કે વેપારીઓને આરામથી વેપાર ધંધો કરવા દો.

અરવિંદ કેજરીવાલજીએ વેપારીઓ માટે ગેરંટી આપી છે કે વેપારીઓને સન્માન આપવામાં આવશે, ઈજ્જત આપવામાં આવશે. તેમણે બીજી ગેરંટી આપી છે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ વેપારીઓમાં ડરનો માહોલ ખતમ કરીશું. વેપારીઓને કાયદાકીય કામમાં મૂંઝવણના પડે એટલે સરકારી ઓફિસે કે GST ઓફિસે એવા વ્યક્તિની વ્યવસ્થા કરવામાં આવશે જે વેપારીઓને કાયદાકીય કામોમાં મદદ કરે. GST રીટર્ન વેપારીઓએ તો સમયસર ભર્યું હોય પણ નિશ્ચિત સમયે ઉપર થી રિફંડ પાછું ન આવતા વેપારીઓના પૈસા અટકાઈ રહે, વેપારની હાલત કફોડી બને અને વેપારમાં નુકસાન થાય. એટલા માટે અરવિંદ કેજરીવાલજીએ ગેરંટી આપી છે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ GST અને VETના રિફંડ ક્લીઅર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here