વલસાડ જિલ્લાના પારડી તાલુકા ચીવલ ખાતે ઐતિહાસિક આદિવાસી ખેડ સત્યાગ્રહ કિસાન રેલી યોજાઇ હતી

0
413

વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે આજે ઐતિહાસિક આદિવાસી ખેડ સત્યાગ્રહ કિસાન રેલી યોજાઇ હતી..દર વર્ષે પહેલી સપ્ટેમ્બર ના રોજ 69 વર્ષ પહેલાં થયેલા ખેડ સત્યાગ્રહ ની યાદ માં કિશાન રેલી યોજાય છે

પારડી તાલુકાના ચિવલ ગામ માં કોંગ્રેસ પ્રેરિત કિશાન રેલી માં કોંગ્રેસ ના ગુજરાત પ્રભારી રઘુ શર્મા, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, કોંગ્રેસ ના યુવા ધારાસભ્યો જીજ્ઞેશ મેવાની, અનંત પટેલ , પૂનાજી ગાવીત સહિત વલસાડ જિલ્લા કોંગ્રેસ ના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. વસંત પટેલ જનરલ સેક્રેટરી વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કિસાન રેલીમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.મહત્વપૂર્ણ છે કે..1953 માં . આ વિસ્તારના ઇશ્વરભાઇ દેસાઈ અને ઉત્તમ ભાઈ પટેલ ની આગેવાનીમાં ઐતિહાસિક ખેડૂત સત્યાગ્રહ યોજાયો હતો.. આ વિસ્તારના હજારો જમીન વિહોણા આદિવાસી ખેત મજૂરોને જમીનના હક અપાવવા માટે ખેડે તેની જમીનના ઉદ્દેશ સાથે ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ યોજાયો હતો. જે સફળ થતાં દેશના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે જમીન વિહોના આદિવાસી ખેત મજૂરોને 6700 એકર જેટલી જમીનના હક્ક અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારથી દર વર્ષે પહેલી સપ્ટેમ્બર ના રોજ ઐતિહાસિક આદિવાસી ખેડ સત્યાગ્રહ રેલી યોજાઇ છે..આ વખતે યોજાયેલા ખેડ સત્યાગ્રહ માં કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.. સભા મંચ પરથી કોંગ્રેસના અગ્રણીઓએ અનેક મુદ્દે ભાજપ શાસિત કેન્દ્ર અને રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કરી..ભાજપ સાક્ષિત સરકારોને ઉખાડી ફેંકવા માટે હાકલ કરી હતી.ઐતિહાસિક આદિવાસી ખેડ સત્યાગ્રહ કિસાન રેલીને સફળ બનાવવા જે.કે. પટેલ, અરવિંદભાઇ પટેલ, ભણાભાઈ ગાયકવાડ, કાંતિ ભાઇ પટેલ , હરેશભાઇ પટેલ માધુભાઈ સરનાયક ,રવિ પટેલ અનેક કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી.

  • જાણવા જેવું

પારડી સત્યાગ્રહ કેવી રીતે શરૂ થયો?પારડી સત્યાગ્રહ કેવી રીતે શરૂ થયો?

પારડી અન્નખેડ સત્યાગ્રહ, 1953-1967વલસાડ જિલ્લાના પારડી તાલુકાના આદિવાસીઓએ તા. 1 સપ્ટેમ્બર 1953ના રોજ શરૂ કરેલો સત્યાગ્રહ 14 વર્ષ સુધી ચાલ્યો હતો. તે ‘ઘાસિયા સત્યાગ્રહ’ તરીકે પણ ઓળખાય છે. આદિવાસીઓની માંગણી હતી કે જમીનદારોની જમીનમાં ઊગતા ઘાસને બદલે અનાજનું વાવેતર કરવામાં આવે પણ જમીનદારો મફતને ભાવે ઊગતું ઘાસ મુંબઇનાં ઢોરબજારમાં વેચીને ધૂમ નફો મેળવતા. ફકત ઘાસ કાપવાને સમયે જ તેઓ આદિવાસીઓને નજીવી મજૂરી ચૂકવીને તે કપાવતા હતા. આ સત્યાગ્રહ વખતે પારડી તાલુકો સુરત જિલ્લામાં હતો. તાલુકામાં 82 ગામડાં હતાં અને કુલ વસ્તી 1.10 લાખની હતી. 70% વસ્તી આદિવાસીઓની હતી.પારડી સત્યાગ્રહ વખતે આદિવાસી નેતા ઉત્તમભાઇ હરજીભાઇ પટેલે રચેલાં ગીતો આદિવાસીઓ ગાતા હતા. નમૂનારૂપ નીચેની રચના ઉપરથી આદિવાસીઓની સમસ્યાનો ખ્યાલ આવશે.પારડી સત્યાગ્રહનાં અસલી મૂળિયાં
પારડી સત્યાગ્રહનાં મૂળિયાં 1936માં સ્થપાયેલ ગુજરાત કિસાનસભા દ્વારા ચાલેલા આંદોલનમાં છુપાયાં છે. બંને સત્યાગ્રહો સમાજવાદી વિચારસરણીની અસર હેઠળ થયા હતા. ફેર માત્ર એટલો કે કિસાનસભા આંદોલન આઝાદી પહેલાં અને પારડી ઘાસિયા આંદોલન આઝાદી બાદ શરૂ થયું હતું. કિસાનસભા દ્વારા પારડી, ધરમપુર અને વાંકલ તાલુકાઓમાં આદિવાસીઓના સત્યાગ્રહો થઇ ચૂકયા હતા. 1948માં જયપ્રકાશ નારાયણ અને આચાર્ય નરેન્દ્ર દેવે સમાજવાદી પક્ષ સ્થાપ્યો. 1952માં સમાજવાદી પક્ષ અને આચાર્ય ક્રિપાલાનીના કિસાન મઝદૂર પક્ષનું જોડાણ થતાં પ્રજા સમાજવાદી પક્ષ અસ્તિત્વમાં આવ્યો.અશોક મહેતા, ઇશ્વરલાલ છોટુભાઇ દેસાઇ, ડૉ. અમુલ દેસાઇ, ઉત્તમભાઇ હરજીભાઇ પટેલ, સનત મહેતા, હકૂમતરામ દેસાઇ અને જયંતી દલાલ જેવા ગુજરાતના યુવા પ્રજા સમાજવાદીઓએ પારડી સત્યાગ્રહનું સંચાલન કર્યું હતું. તેમાં પણ ઇશ્વરલાલ દેસાઇ, અમુલ દેસાઇ, હકૂમતરામ દેસાઇ અને ઉત્તમભાઇ પટેલ તો વલસાડ જિલ્લાના રહેવાસીઓ હતા. તેઓ સ્થાનિક સમસ્યાઓથી સુપરિચિત હતા. પારડી ઘાસિયા આંદોલન સ્થાનિક હતું પણ તેનું પોત અને હદ રાષ્ટ્રીય હતાં!! વલસાડ જિલ્લાના દુમલાવ ગામમાં જન્મેલા હરજીભાઇ પટેલ (1927-2008) આદિવાસી હતા. તેમની સેવાઓની કદર કરીને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંજલિ આપતા 30 જાન્યુઆરી 2018ના રોજ કહયું હતું: ‘‘ઉત્તમભાઇએ ગુજરાતના આદિવાસીઓ અને શ્રમજીવીઓનાં ઉત્થાન માટે સમગ્ર જીવન વ્યતીત કર્યું હતું. તેઓ પારડી ખેડ સત્યાગ્રહના પ્રથમ હરોળના નેતા હતા.

’’પારડી સત્યાગ્રહ કેવી રીતે શરૂ થયો?
પારડી સત્યાગ્રહ શરૂ થતાં પહેલાં ઇશ્વરલાલ દેસાઇ, અશોક મહેતા, ઉત્તમભાઇ પટેલ અને હકૂમતરામ દેસાઇએ મોરારજી દેસાઇના મુખ્ય મંત્રીપણા હેઠળ ચાલતી મુંબઇ સરકારને સંખ્યાબંધ આવેદનપત્રો મોકલ્યાં હતાં અને રૂબરૂમાં પણ રજૂઆત કરી હતી. એમણે જમીનમાલિકોને એટલે સુધી કહયું હતું કે અમારો પ્રસ્તાવ જમીનની વહેંચણી કરવાનો નહીં પણ માત્ર ઘાસિયા જમીનમાં ઘાસને બદલે અનાજનું વાવેતર કરવાનો છે. તમને અને ખેડનારાને બંનેને લાભ થાય તેમ છે પણ તેનું કોઇ જ પરિણામ ના આવતાં તા. 1 સપ્ટેમ્બર 1953ના રોજ સત્યાગ્રહ થયો.એ દિવસે 3000 હજાર એકરના માલિકના દુમલાવ ગામમાં આવેલાં ખેતરોમાં 1050 આદિવાસી સ્ત્રી પુરુષો ઘૂસ્યાં અને ખેતર ખેડવાનું શરૂ કર્યું પણ સરકારે ડુમલાવના સત્યાગ્રહીઓની ધરપકડ કરી હતી. આ ધરપકડ વહોરનારાઓમાં 95 આદિવાસી સ્ત્રીઓ હતી. આમ છતાં સત્યાગ્રહ ચાલુ રહયો. આદિવાસીઓએ હવે જમીનદારોનું ઘાસ કાપવાનું બંધ કર્યું. ઇશ્વરભાઇ અને છોટુભાઇએ બગાવતનો ઝંડો ઉઠાવ્યો. તેમણે આદિવાસી સભાઓમાં ગર્જના કરી. જમીનદારોની જમીનમાં આપણે અનાજ ઉગાડીશું, કઠોળ અને ડાંગર પકવીશું. આપણે જેલો ભરીશું પણ નમતું નહીં જોખીએ. આદિવાસી નેતા છોટુભાઇ પટેલે રચેલું ગીત આદિવાસીઓ ગામડે ગામડે જોરશોરથી ગાવા લાગ્યા:

‘‘હાં રે અમે ધરતીના ખેડુ હવે જાગ્યા
ખેડે તેની ભોંય થાશે
જુગજુગથી પામ્યા અન્યાય
હવે ન્યાય કેરાં રાજ થાશે.’’

આવાં ગીતોની સાથે જયારે ખુદ ઇશ્વરભાઇ, ઉત્તમભાઇ, અમુલ દેસાઇ, જયંતી દલાલ, હકૂમતરાય અને અશોક મહેતા જેવા નેતાઓએ હળ પકડીને ઘાસીયા મેદાનો સાફ કરવા માંડયા ત્યારે આંદોલનમાં નવો જ વેગ આવ્યો. ઉંદર- બિલાડીની રમત શરૂ થઇ. આદિવાસીઓએ જમીનદારોની જમીનમાં ઊગતું ઘાસ કાપવાની ના પાડી ત્યારે જમીનદારોએ કોન્ટ્રેકટરો નીમીને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી 200 મજૂરોને બોલાવ્યા પણ તેમને આદિવાસીઓએ સમજાવ્યા અને ધમકી પણ આપી.તેથી તેઓ પાછા જતા રહયા. સત્યાગ્રહ ચાલુ રહયો.પારડી ખેડ સત્યાગ્રહના પ્રણેતાઓ ઇશ્વરભાઇ છોટુભાઇ દેસાઇ અને એમના પ્રખર ટેકેદાર અને સમકક્ષ લડવૈયા શ્રી ઉત્તમભાઇ પટેલ હતા. તેમને અશોક મહેતા, આચાર્ય કૃપાલાની, સનતભાઇ, અમુલભાઇ, હકૂમતભાઇ, ગોવિંદજી વકીલ અને બાબુભાઇ જેવા અગ્રણીઓ સાથે અન્ય 74 જેટલા સમર્થિત કાર્યકરો પ્રાપ્ત થતાં સત્યાગ્રહ ચાલુ રહયો અને ફેલાયો. 18000 એકરની જમીન છોડાવવાની માંગ હતી પછી 14000 એકર છોડેલી ખેડ સત્યાગ્રહની ફળશ્રુતિ રૂપે ગણોતધારો થયો. આ આંદોલનમાં સભા, સરઘસ, રેલી, વકતવ્યો, દેખાવો જેવા અભિક્રમો હાથ ધરાતાં ભાઇબહેનો બધાં ભેગાં થતા.પોલીસદમન થતું. સત્યાગ્રહીઓ લાઠીનો ભોગ બનતા. કોંગ્રેસ સરકાર અને મોટા જમીનદારો એક થઇ ગયા હતા. જમીન છૂટી કરવાની અને મજૂરી વધારવાની ચળવળ હતી. સત્યાગ્રહીઓમાં પુરુષોત્તમ ભગત જેવા ઘાસ બાળવાની પ્રવૃત્તિ પણ કરતા. જમીનદારોના ઘરે કે ખેતરે કામ કરવા ન જવું. સૂત્રોચ્ચાર, ગીતો ગાવા, પત્રિકા વહેંચવી, લોકફાળો ભેગો કરવો. સ્વયંભૂ સહકાર મળતો. વલસાડમાં બાબુભાઇ, વાપીમાં ભીખુભાઇ નીછાભાઇ, વાય.સી. શાહ જોડાયા. ગોવિંદભાઇ દેસાઇ સત્યાગ્રહીઓના કેસ લડતા.સત્યાગ્રહ કેવી રીતે ફેલાયો?આંદોલન ગાંધીચિંધ્યા માર્ગે થયું હતું અને તે 15 વર્ષ ચાલ્યું હતું. સમાધાન માટે નેતાગીરીએ તમામ પ્રયાસો કર્યા હતા. મુંબઇ સરકારને સંખ્યાબંધ નિવેદનો આપ્યાં હતાં પણ તેનો ઉકેલ ના આવતા 12 ઓગસ્ટ 1953ના રોજ રેલી કાઢી હતી અને મામલતદારને આવેદનપત્ર આપીને લેન્ડ કમિશન નીમવાની માંગણી કરી હતી પણ રેલી અને આવેદનપત્ર પછી સરકારે કોઇ સાનુકૂળ પ્રતિસાદ ન આપતાં સત્યાગ્રહ લાંબો સમય ચાલ્યો. તેનો ફેલાવો વધતો ગયો. સત્યાગ્રહીઓની લડત ચલાવવાની પધ્ધતિથી સરકાર અને કોંગ્રેસ પક્ષના નેતાઓ ચોંકી ઊઠયા. સમગ્ર લડત દરમિયાન એક પણ વાર હિંસા કે હુમલાનો બનાવ બન્યો નહોતો.કોંગ્રેસના નેતાઓને એમ હતું કે ગરીબ અને ભીરુ આદિવાસીઓ કયારેય શકિતશાળી જમીનદારો સામે અવાજ ઉઠાવવાની હિંમત નહીં કરે અને તેના કારણે સત્યાગ્રહ નિષ્ફળ જશે. તેથી કોંગ્રેસના નેતાઓએ ચળવળને તોડી પાડવા માટે બીજા પ્રયત્નો શરૂ કરી દીધા પણ તેમને સમાજવાદી નેતાઓની શકિતનો ખ્યાલ જ ના આવ્યો. તેઓ પણ કોંગ્રેસીઓની જેમ જ મક્કમ રહયા. તેને લીધે ચળવળ લાંબો સમય ચાલી અને તેને સામાન્ય જનસમુદાયનો ટેકો પ્રાપ્ત થવા લાગ્યો. છેવટે તો ખેડા અને બારડોલી સત્યાગ્રહની જેમ પારડી સત્યાગ્રહ બ્રિટિશ સરકાર સામે નહીં પણ જૂની સામંતશાહી વ્યવસ્થાને વળગી રહેલા. સ્વતંત્ર ભારતના સત્તાધીશો તથા તેમના ધનિક ટેકેદારો સામે હતા. શ્રી કિરણ દેસાઇના શબ્દોમાં પારડી સત્યાગ્રહ ગાંધીવાદી વિચારસરણીના ઢાંચામાં હતો. તેમાં અહિંસા, શાંતિમય વિરોધ સાથે જોડાયેલી લડત આપવામાં આવી હતી. જો કે બારડોલી સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહથી પારડી સત્યાગ્રહ સ્પષ્ટપણે અલગ તરી આવે છે. પ્રથમ તો એ કે બંને લડતમાં હરીફ વિદેશી સત્તા હતી જયારે પારડીની લડત લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી કોંગ્રેસ સરકાર સામે ઉપાડવામાં આવી હતી. બીજું અગાઉની બંને લડતમાં સત્યાગ્રહીઓ મુખ્યત્વે ઉચ્ચ અને મધ્યમ કક્ષાની જ્ઞાતિના ખેડૂતો હતા. જયારે પારડીમાં ગરીબ અને ભૂમિહીન આદિવાસીઓને તેમના ન્યાયી હક માટે લડત ચલાવવા પધ્ધતિસર જગાડવા પડયા હતા. પારડીની લડત સ્વતંત્રતા પછીના ભારતની એક અગત્યની ખેતજમીન વિષયક લડત હતી.આ લડત લાંબી ચાલી. સત્યાગ્રહ તરફી લોકમત અને નૈતિક દબાણને કારણે સરકારે પૂના એગ્રિકલ્ચરલ કોલેજના પ્રોફેસર, ડ્રાઈવરના વડપણ હેઠળ તપાસ સમિતિ નીમી. 1954માં મુંબઇના મુખ્ય પ્રધાન મોરારજી દેસાઇએ પણ પારડીની મુલાકાત લીધી. એમણે કહયું, ‘‘મેં દસ્તાવેજો જોયા અને લોકોને મળ્યો તે પરથી એમ લાગે છે કે જમીનદારોનો વાંક છે. એમની બદદાનત, તલાટીઓ અને મામલતદારોની લુચ્ચાઇ અને આદિવાસીઓ અને ગણોતિયાઓના ઘોર અજ્ઞાનનું આ પરિણામ છે.’’આમ છતાં તેનું કોઇ જ પરિણામ ના આવ્યું. ઘાસિયા મેદાનોમાં ઘાસ ઊગતું રહયું. ઊલટાનું ઉત્તમભાઇ પટેલ ઉપર આરોપ લાગ્યો કે તેઓ આદિવાસીઓમાં ઉશ્કેરણી કરીને હિંસા કરાવે છે. તેથી તેમના પર પારડી તાલુકાની હદમાં પ્રવેશવાનો પ્રતિબંધ મુકાયો. ત્યાર પછી તો મહાગુજરાતનું આંદોલન થયું અને 1 મે 1960ના રોજ ગુજરાત રાજય અસ્તિત્વમાં આવ્યું. 1962માં આદિવાસીઓએ રેલી કાઢી. અન્નખેડ સત્યાગ્રહ નવેસરથી શરૂ થયો પણ ઇશ્વરની લીલાની જેમ રાજકારણની લીલા પણ અકળ છે. ઇશ્વરલાલ દેસાઇ, અશોક મહેતા અને ઉત્તમભાઇ પટેલ જેવા પાયાના સત્યાગ્રહીઓએ પાઘડી ફેરવી!! તેમને લાગ્યું કે કોંગ્રેસમાં પાછા વળવાથી પારડીની સમસ્યા ઉકલશે. તેથી તેઓ સહુ કોંગ્રેસ પક્ષમાં દાખલ થઇ ગયા અને પોતપોતાની આવડત પ્રમાણે સત્તાસ્થાને ગોઠવાઇ ગયા. પરિણામ ધાર્યું આવ્યું.5 જુલાઇ 1967ના રોજ ગુજરાત સરકાર, જમીનમાલિકો અને સત્યાગ્રહીઓ વચ્ચે આખરી કરાર થયા. તે મુજબ ઘાસિયા મેદાનોમાં અનાજ ઉગાડવાનો નિર્ણય લેવાયો એટલું જ નહીં પણ મોટા ભાગની જમીનો ભૂમિહીન આદિવાસીઓને વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો. જો કે તેનો અમલ ઉપરછલ્લો જ રહયો. અલબત્ત આ સત્યાગ્રહ દ્વારા જમીનમાલિકીના ઢાંચામાં આમૂલ પરિવર્તન ન આવ્યું. પણ ડૉ. કિરણ દેસાઇએ પારડી સત્યાગ્રહનું તારણ કાઢતાં લખ્યું છે તે મુજબ: ‘‘આદિવાસીઓ કાયમ ભૂખમરા જેવી સ્થિતિમાં રહેતા હતા, તેમાંથી પારડી સત્યાગ્રહના કારણે તેઓ બહાર આવી શકયા કેમ કે હવે જમીનનો ઉપયોગ અન્નની ખેતી માટે થવા લાગ્યો.બીજું લડતને કારણે આદિવાસીઓનો રાજકીય દરજ્જો વધુ મજબૂત બન્યો. હવે આદિવાસીઓની અવગણના થઇ શકે તેમ નહોતી. તેમણે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો તે સ્થાપિત હિતો માટે આંખ ખોલનારો હતો. આખી લડત કહેવાતી ગાંધીવાદી કોંગ્રેસની નેતાગીરી માટે અકળાવનારી હતી. આઝાદ ભારતમાં મોટા ભાગનાં રાજયોમાં સત્તા પર આવેલી કોંગ્રેસની નેતાગીરીને પારડી સત્યાગ્રહે બહુ મક્કમપણે ભાન કરાવી દીધું કે આઝાદી પછીના ભારતમાં ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ દર્શાવવાની પધ્ધતિનો અસરકારક ઉપયોગ થઇ શકે છે.જો કે પારડી સત્યાગ્રહના ત્રણ ધરખમ ખેલાડીઓ એમની સમાજવાદી ટીમ છોડીને કોંગ્રેસ ટીમમાં જોડાઇ ગયા હતા!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here