અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૧ મું અંગદાન.બ્રેઇનડેડ લવજીભાઇ ડાભી મૃત્યુ બાદ પણ અમર થઇ ગયા !

0
179

જીએનએ અમદાવાદ: મૃત્યુ બાદ પણ જીવંત રહેવું હોય કે અમર થવું હોય તો બ્રેઇનડેડ થયા બાદ અંગદાન થકી જ આ શક્ય છે !

મૃત્યુ બાદ શરીર પંચમહાભૂતમાં વિલીન થઇ જાય છે. પરંતુ બ્રેઇનડેડ-મૃત શરીરના અંગોનું દાન કરવામાં આવે તો અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનમાં ઉજાસ પથરાઇ જાય છે.બોટાદના બ્રેઇનડેડ લવજીભાઇના પરિવારજનોએ આ જ વિચારધારાને કેન્દ્ર સ્થાને રાખીને તેમના અંગોનું દાન કર્યું. આજે લવજીભાઇ અન્યોના શરીરમાં જીવંત છે !

બોટાદના ૬૦ વર્ષની વયજૂથના લવજીભાઇ છેલ્લા દોઢ મહિનાથી શરીરના વિવિધ અવયવોની તકલીફ થી પીડાઇ રહ્યા હતા. વળી તેમને એકાએક ઝાડા અને ઉલ્ટી પણ થવા લાગી. જેથી તેમના પરિવારજનો સારવાર અર્થે લીમડીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા. પરિસ્થિતી વધુ ગંભીર બનતા તબીબોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા કહ્યું.

પરિવારજનો લવજીભાઇને ૨૭ મી નવેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઇ આવ્યા.જ્યા ૫ મી ડિસેમ્બરના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયુ.હોસ્પિટલના તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા સિવિલ હોસ્પિટલની SOTTO (State Organ And Tissue Transplant Organization) ની ટીમ દ્વારા પરિવારજનોને અંગદાન સંદર્ભે સમજૂતિ આપીને જાગૃત કરવામાં આવ્યા. લવજીભાઇના પરિવારજનોએ પણ આ પવિત્ર અંગદાન નું મહાદાન કરવાની સંમતિ દર્શાવતા તેમનું એપ્નીયા ટેસ્ટ કરવામાં આવ્યું. જે જરૂરી માપદંડમાં બંધ બેસતા ગત રોજ તારીખ ૬ ડિસેમ્બરના રોજ લવજીભાઇના અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું.

લવજીભાઇના અંગોમાં ૧ લીવર અને ૨ કિડનીનું દાન મળ્યું છે. જેને જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું. જેના થકી તેમના જીવનમાં હવે ઉજાસ પથરાશે.
સિવિલ હોસ્પિટલમાં થયેલ ૨૧ માં અંગદાન સહિત ની વિગતો આપતા સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. છેલ્લાં ૧૧ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ૨૧ લોકોના શરીરમાંથી મેળવેલા ૭૧ જુદા જુદા અંગથી જુદા જુદા ૫૭ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. હવે લોકોમાં અંગદાન પ્રત્યેની જાગૃકતામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. જેના પરિણામસ્વરૂપ અમદાવાદ શહેર અને રાજ્યમાં અંગદાનની પ્રવૃતિઓ વેગવંતી બની છે.

અંગદાનના રીટ્રાવલ અને ત્યારબાદ તેના પ્રત્યારોપણ માટે જરૂરિ સાધન-સામગ્રી અને સુવિધાઓ રાજ્યના આરોગ્યમંત્રી અને સરકાર દ્વારા પૂરતી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેના કારણે અંગદાનના રીટ્રાવલ અને પ્રત્યારોપણના સફળતાના પ્રમાણમાં પણ વધારો થયો છે. જે માટે અમારી સિવિલ હોસ્પિટલ અને SOTTO ની ટીમ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને સરકારની આભારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here