આજનાં આધુનિક સમાજમાં આવા દરેક સબંધોનાં તાણાવાણામાં ગાંઠ પડી છે, એટલે કે પિતા પુત્ર, માતા પુત્ર, ભાઈ બહેન, માતા દીકરી, સાસુ વહુ, સસરો જમાઈ, બધા જ નજીકના સંબંધોમાં નાના નાના કારણોસર કાટ લાગી ગયો છે…

0
334

મિત્રો- શુભ સવાર.

નાનપણ થી જોઈએ તો આજના સમયનો પિતા સંતાનના શિક્ષણ અને ભવિષ્ય વિશે પહેલાં કરતાં વધુ ચિંતિત છે એ વાત પાક્કી! હાલાકી એનું પઝેશન ક્યારેક સંતાનને ડીપ્રેશનમા લાવે છે, અને એને કારણે યુવાનોમાં આત્મ હત્યાનું પ્રમાણ વધી ગયું છે, અને વ્યસનનું પ્રમાણ પણ વધી ગયું છે.

  • આજનાં આધુનિક સમાજમાં આવા દરેક સબંધોનાં તાણાવાણામાં ગાંઠ પડી છે, એટલે કે પિતા પુત્ર, માતા પુત્ર, ભાઈ બહેન, માતા દીકરી, સાસુ વહુ, સસરો જમાઈ, બધા જ નજીકના સંબંધોમાં નાના નાના કારણોસર કાટ લાગી ગયો છે.

હે‌ ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આપણે ગઈકાલે પિતૃ દેવો ભવ સૂત્ર પર વાત કરી હતી, તો આ સંસ્કૃતિ તૂટવાના ઘણા બધા કારણો છે. જેમકે પિતા એટલે પુરુષ એ રીતે જોઈએ તો સમાજમાં પુત્ર, પતિ, અને પિતા, એમ તેની મુખ્ય ત્રણ વિભાગમાં જવાબદારીઓ વહેચાલી હોય છે, અને એને દરેક સંબંધમાં પોતાની ઉત્તમતા આપવાની હોય છે! અને એ પણ બધાની ઈચ્છા અને જરુરીયાત પૂરી કરતાં કરતાં! એટલે બહુ સ્વાભાવિક રીતે જ એની માનસિકતા હરક્ષણ વધુ કઠિન દોર માંથી ગુજરતી હોય! એમાં પણ આજકાલ સુધરેલા સમાજમાં સ્ત્રી દાક્ષિણ્ય વધ્યું છે, અને એમનાં હકની અને લાગણીઓની હિમાયત કરવામાં આવે છે, ત્યારે તો એને ભાગે ઘરની અંદરના રોજીંદા કાર્યની જવાબદારીઓ પણ આવે છે. એક દોર હતો કે ભાગ્યેજ કોઈ પિતા એ પોતાના બાળકના બાળોતિયા બદલ્યા હોય, ઘોડિયામાં હીંચકા નાખ્યા હોય, એને નવરાવ્યા હોય કોળિયા ભરાવ્યા હોય,અરે ખુદ પોતે પાણી મેળે પીધું હોય! જ્યારે આજે એવું કરતાં હોય છે, એટલે એ ખોટું છે! કે નથી! એ વાત નથી, પરંતુ એ બધું પણ હવે એનાં ખભે આવ્યું છે. ઉપરાંત ઘરની સ્ત્રી કામ માટે હવે બહાર નીકળી હોવાથી એના રક્ષણની જવાબદારી પણ વધી! પિતા પુત્રની વાત કરીએ તો આજનાં આ દોરમાં ઘણા બધા પિતા ને પુત્રનું વર્તન યોગ્ય નથી લાગતું, સ્વચ્છંદી લાગે છે! અને પુત્ર ને પિતા કચકચિયા ને ઓર્થોડોક્સ લાગે છે, ત્યાં કોણ સાચું! ને કોણ ખોટું! એ જજમેન્ટ આપવું થોડું મુશ્કેલ પડે છે, કારણકે આપણે ગઈકાલે વાત કરી હતી કે બંને પક્ષે થોડી થોડી ચૂક થઈ છે. એક પક્ષે પ્રથમ લાડ ને નામે ખૂબ છૂટ આપી, અને પછી વશમાં કરવાની વાત આવી. જ્યારે બીજા પક્ષે શિક્ષણ ને નામે સ્વતંત્રતા મળી, અને યોગ્ય સિદ્ધિ પણ મળી, એને હવે બંધન કેમ પોષાય! મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, અને તે સમૂહ અને સંબંધ વગર રહી શકતો નથી! સંબંધ હોય ત્યાં સાપેક્ષતા પણ હોય, અને એમાં પણ જ્યારે નજીકનું સગપણ હોય, ત્યારે તો આ સાપેક્ષતા વધુ હોય, એટલે કે પિતાની જેમ અપેક્ષા હોય, એમ પુત્રને પણ હોય, અને ઉંમરની સાથે સાથે અપેક્ષાઓ પણ બંને પક્ષે વધતી જાય. એટલે એવું નથી કે પિતા પુત્ર વચ્ચે જ આ સાપેક્ષતા હોય. દરેક સંબંધ વચ્ચે સાપેક્ષતા હોય, પરંતુ પિતા એટલે પુરુષ અને ઉંમર થતાં પુત્ર એ પણ પુરુષ એ રીતે જોઈએ, તો બંને અહમવાદી! અને બંનેના અહમ ટકરાય, ત્યારે ઘણીવાર પરિણામ વિચાર્યા કરતા વિપરીત પણ આવે! અને એમાં આજનો યુગ એટલે સ્વતંત્રતાનો યુગ, મોજ શોખનો યુગ, જીવી લેવું, અને માણી લેવું એ પ્રકારની વિચારધારાનો યુગ ખરો! જ્યારે જૂની પેઢી દૂરં દર્શિતા વાળી, અને જાત પર સંયમન કરવા વાળી, તેમજ સમાજનું દાયિત્વ નિભાવવા વાળી હોય, અને બંને વચ્ચે આ વિચારધારા ને કારણે સતત સંઘર્ષ રહે.

AD..

નાનપણ થી જોઈએ તો આજના સમયનો પિતા સંતાનના શિક્ષણ અને ભવિષ્ય વિશે પહેલાં કરતાં વધુ ચિંતિત છે એ વાત પાક્કી! હાલાકી એનું પઝેશન ક્યારેક સંતાનને ડીપ્રેશનમા લાવે છે, અને એને કારણે યુવાનોમાં આત્મ હત્યાનું પ્રમાણ વધી ગયું છે, અને વ્યસનનું પ્રમાણ પણ વધી ગયું છે. સંતાન માટે આમ તો કુટુંબ એક સૌથી મોટી પાઠશાળા છે, પરંતુ હાલમાં કુટુંબ જોવા મળતા નથી નાનાં પરિવાર થઈ ગયાં છે, અને એમાં પણ સીંગલ ચાઈલ્ડ મેન્ટાલીટી! અને ઉપરથી બંને જોબ કરતાં હોવાને કારણે સંતાન આખો દિવસ ઘરમાં એકલું હોય છે, એટલે જે મહત્વની શીખ શીખામણ કે સંસ્કાર ઘર કે કુટુંબમાંથી મળવાં જોઈએ એ મળતાં નથી‌ જેમ કે ભાગ પાડવા, જતું કરવું, રાહ જોવી, કોઈ ની માટે રાત રાત જાગવું, કોઈ ની ખુશી કે કોઈ ના ગમના ભાગીદાર બનવું,સહન કરવું એવું કંઈ જ થતું જ નથી! જેને કારણે એકડો શીખવા જતાં પહેલાં જ અહમનો એકડો ઘૂંટી ને શાળામાં પ્રવેશ લે છે, અને એને કારણે શાળામાં શિક્ષક જે શીખવે એમાં શીખવાની ધગશની બદલે સ્પર્ધાનો ભાવ વધું હોય છે, અને એને કારણે શિક્ષક કે આચાર્ય નું માન સન્માન કરવા કરતાં ક્યાંક ક્યાંક ચમચાગીરી કરતાં થઈ જાય છે. નાની નાની પરીક્ષામાં પાસ થવા માટે કંઈક પેંતરા કરે છે. જે આપણી સંસ્કૃતિ વિરુદ્ધ છે, આપણે તો આચાર્ય દેવો ભવ માં માનવા વાળા સનાતન ધર્મી ઓ છીએ, એટલે કુટુંબ ની પાઠશાળામાં યોગ્ય પાઠ શીખવવા બહુ જરૂરી છે.

કોઈપણ છોડ હોય કે વૃક્ષ હોય એમાં જ્યારે રોગ લાગે, ત્યારે એના મૂળિયા તપાસવામાં આવે અને પછી એનો ઉપચાર થાય તેમ દરેક સંબંધોમાં આટલું બારીકાઈથી ચિંતન કરવું પડે, અને ત્યારે એ સંબંધની સાપેક્ષતાની સમસ્યા કંઈ રીતે પૂરી કરી શકાય છે, એનો ઉકેલ મળે! પિતા પત્ર, કે પુત્ર પિતા, આ સંબંધની ગરિમા આપણી સંસ્કૃતિ મુજબ બની રહે, એ માટે થઈને પિતાએ વર્તમાન યુગ મુજબ થોડું ઘણું જતું કરવું પડે, તેમ જ પુત્ર એ પિતા એ કેટલા કેટલા સંઘર્ષો કરી અને પોતાને આ કક્ષાએ પહોંચાડ્યો છે, એ યાદ કરી એમના સ્વભાવને ખામી લેવા જોઈએ. નાના હોઈએ અને ત્યારે જે કપડા પહેરતા હોઈએ, એ કપડા મોટા થતા આપણને ફિટ થતાં નથી, અને એમાં કોઈ વાત અજુગતી લાગતી નથી, આપણે વૃદ્ધિ કરીએ છીએ એ સ્વાભાવિક રીતે જ સ્વીકારી લઈએ છીએ, એમ યુગની પણ ઉંમર હોય છે, અને એ જેમ આગળ ચાલે તેમ વિચારધારા રૂપે આપણા પહેલાના વિચારો ટૂંકા થઈ જાય છે, એટલે એ યુગ પરિવર્તન ની નિશાની છે. પરંતુ એનો મતલબ એ પણ નથી કે આપણી મૂળ સનાતની સંસ્કૃતિને ભૂલવાની છે, પણ કાયમના નાના નાના આગ્રહ અહમ, અને અમે તો આમ કરતાં! તેમ કરતાં! એવી વાતના જે સંદર્ભો લઈને ઘરમાં જે સંઘર્ષ થતા હોય છે, તેના નિવારણ માટે આ વિચાર કે વસ્ત્ર ટૂંકું થયું, હવે બદલવું પડશે એ ખૂબ જ જરૂરી છે. ઉંમરની દરેક અવસ્થાનો એક મુખ્ય ગુણ પણ હોય છે જેમ કે બાળપણનો ગુણ મસ્તી છે, યુવાનીમાં તરવરાટ અને સાહસ છે, પ્રોઢાવસ્થામા કાર્ય પરિણામનાં સુખનો સંતોષ, અને વૃદ્ધાવસ્થામાં શાંતિ, અને આ પ્રમાણે જીવવા ન મળે તો ત્યાં સંઘર્ષ થાય એ બહુ સ્વાભાવિક છે.એવુ નથી કે આ વાત કોઈ સમજતું નથી, સમજે છે બધાં જ, કે યુગ પરિવર્તનની પ્રક્રિયા હવે બહુ ઝડપી બની છે, એટલે આ અસંતુલન ઊભું થયું છે! પણ સ્વીકારી શકાતું નથી, કારણ કે આધુનિકતા ને નામે એવું ઘણું સ્વીકારી લીધું છે જેને કારણે ધર્મ સંસ્કૃતિ જોઈએ એટલી બચાવી ન શક્યા નો અફસોસ પીડે છે.

આજનાં આધુનિક સમાજમાં આવા દરેક સબંધોનાં તાણાવાણામાં ગાંઠ પડી છે, એટલે કે પિતા પુત્ર, માતા પુત્ર, ભાઈ બહેન, માતા દીકરી, સાસુ વહુ, સસરો જમાઈ, બધા જ નજીકના સંબંધોમાં નાના નાના કારણોસર કાટ લાગી ગયો છે, અને આપણી સનાતનની સંસ્કૃતિ સાવ ધરાશયી થાય એ પહેલા એ વિશે યોગ્ય ચિંતન કરી, આપણે આ પરિસ્થિતિને કંટ્રોલ કરવાની છે. એટલે કે સંબંધોમાં પોતિકા પણું લાવવાનું છે, સંબંધ માત્ર જવાબદારી કે કર્તવ્ય ન રહેતાં, સંબંધો વચ્ચે લાગણી હુંફ અને પ્રેમનું મહત્વ રહે, એ બહુ જરૂરી છે, તો જ આ સંબંધો સચવાઈ રહેશે! નહીં તો વૃદ્ધાશ્રમો ભરાતા જશે, અને એ વૃદ્ધોની નિરાશા ના નિસાસા ગમે તેટલી આવકમાં પણ સુખ ચેન લેવા નહીં દે. જે સંતાન આ બધાં સંબંધો ને માન આપી જીવે છે, એ તો વંદનીય છે જ! પણ જે નથી આપતા એણે વિચારવાનું છે કે આપણે પણ ક્યારેક વૃદ્ધ થઈશું! તો આપણી આ વસુધૈવ કુટુંબની સનાતની સંસ્કૃતિમાં કમ સે કમ આપણા કુટુંબ પ્રત્યે લાગણી ની બાબતે એક નિષ્ઠ બની ને આપણું દાયિત્વ નિભાવતા રહીએ, અને કુટુંબ નો વડલો આ રીતે કાયમ હર્યોભર્યો ને લીલોછમ રહે, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવા ચિંતન મનન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here