જીવનમાં મહાન કાર્યો કરી નામ અમર કરી ગયા : ૧૨ મી જાન્યુઆરી એ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીનો દિવસ.

0
244

  • ૧૨ મી જાન્યુઆરી એ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીનો દિવસ.
  • ૧૨ મી જાન્યુઆરી ,૧૮૬૩ નાં રોજ કલકત્તામાં એમનો જન્મ અને ૪થી જુલાઈ ,૧૯૦૨ ના રોજ બેલુર મઠ ખાતે એમણે સમાધી લઈને દેહ ત્યાગ કર્યો.
  • માત્ર ૩૯ વર્ષ જ આ પૃથ્વી ઉપર તેઓ રહ્યા પરંતુ એ ટૂંકા સમય ગાળામાં હિંદુ ધર્મ ,સમાજ સેવા અને દેશ માટે કેટલું બધું કાર્ય કરીને સ્વામીજી ગયા ! આ એક મોટું આશ્ચર્ય છે !
  • આત્મ વિશ્વાસ,જ્ઞાન અને વેધક વાણી થકી વિવેકાનંદે, ધર્મ પરિષદ ગજાવીને ઘેલું કર્યું અમેરિકા અને વિશ્વને. હિન્દુ ધર્મનો ધ્વજ લહેરાવ્યો જગમાં આ સ્વામીજીએ ટૂંકા જીવનમાં મહાન કાર્યો કરી નામ અમર કરી ગયા.

સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો.તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી – પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો.

AD…

નરેન્દ્ર બાળપણથી જ ખુબ સાહસિક અને તોફાની હતો, જેનાથી તેઓના માતા ઘણા ચિંતિત રહેતા હતા. સ્વામી વિવેકાનંદનાં બાળપણનાં પ્રસંગો અહી ક્લીક કરીને વાંચો

નરેન્દ્રનાથે સન 1880માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સને 1981માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને 1884માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી..

નરેન્દ્રનાથે ડેવિડ હ્યુમ, ઇમેન્યુઅલ કેંટ, જોહાન ગોટ્ટ્લીબ ફીશે, બારુક સ્પીનોઝા, જ્યોર્જ ડબલ્યુ. એફ. હેગેલ, આર્થર શોપનહોર, ઓગસ્ટી કોમ્ટેકોમ્ટે, હર્બર્ટ સ્પેંસર, જોન સ્ટુઅર્ટ મીલ, અને ચાર્લ્સ ડાર્વિનના લેખનકાર્યોનું વાંચન કર્યુ હતું. તેમણે વેદ , ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ , મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા.

ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા.રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.

એમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો.તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાંવેદાંત,યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો.

તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન – એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ ,સુભાષ ચંદ્ર બોઝ ,અરવિંદ ઘોષ , રાધા કૃષ્ણન જેવા અનેક રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો.

સ્વામી વિવેકાનંદ નું શિકાગોમાં આપેલ ઐતિહાસિક પ્રવચન
સ્વામી વિવેકાનંદે તારીખ ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ થી તારીખ ૨૭ સપ્ટેમ્બર ૧૮૯૩ દરમ્યાન શિકાગોમાં ધાર્મિક પરિષદમાં ભારતનું પ્રતિનિધીત્વ કર્યું હતું. ત્યાં એમણે Sisters and Brothers of America થી શરૂઆત કરતા જ આખા હોલમાં મીનીટો સુધી તાળીઓનો થયો હતો.

11 સપ્ટેમ્બર 1983ના રોજ શિકાગોના આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે ધર્મ સંસદની શરૂઆત થઈ. આ દિવસે વિવેકાનંદે પોતાનું પ્રથમ ટૂંકુ વક્તવ્ય આપ્યું. તેમણે ભારત અને હિન્દુ ધર્મ વિશે વાત કરી.શરૂઆતમાં થોડો ગભરાટ અનુભવતા હોવા છતાં તેમણે વિદ્યાના દેવી સરસ્વતી ને પ્રણામ કરીને પોતાનું “અમેરિકાના ભાઈઓ અને બહેનો!” સાથે શરૂ કર્યુ.

આ શબ્દો માટે સાત હજારની મેદનીએ ઉભા થઈને તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યુ અને બે મિનિટ સુધી આ સન્માન ચાલ્યુ. ફરી જ્યારે શાંતિ સ્થપાઈ ત્યારે તેમણે પોતાનું વક્તવ્ય શરૂ કર્યુ. સૌથી યુવાન રાષ્ટ્રોમાંના એકનું અભિવાદન કરતાં તેમણે આ રાષ્ટ્ર વિશે જણાવ્યુ “વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા, વેદની સન્યાસી પરંપરા, ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શીખવ્યો છે.” અને તેમણે આ સંદર્ભે ભગવદ ગીતાના બે ફકરા ટાંક્યા—”જેવી રીતે બે વિભિન્ન પ્રવાહોનો સ્રોત અલગ-અલગ ઠેકાણે હોય છે પણ તેનું પાણી સમુદ્રમાં ભેગુ થાય છે, તેવી રીતે હે પ્રભુ, માણસની વિવિધ પ્રથાઓ અલગ-અલગ ભલે લાગતી હોય, પરંતુ તે તમામ રસ્તાઓ તારા સુધી લઈ આવે છે!” અને “જે કોઈ પણ મારી પાસે આવે છે, ભલે ગમે તે સ્વરૂપમાં આવે, હું તેના સુધી પહોંચુ છું; તમામ પુરુષો સમગ્ર માર્ગ પર સંઘર્ષ કરતા રહે છે, પરંતુ આ તમામ રસ્તાઓ આખરે મારા સુધી લઈને આવે છે.”

ટૂંકું વક્તવ્ય હોવા છતાં, સંસદનો સાર તથા વસુધૈવ કુટુમ્બકમની ભાવના તેમાં અભિવ્યક્ત થતી હતી.

સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વ ધર્મ પરિષદમા
સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વ ધર્મ પરિષદમા
રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના
૧ મે ૧૮૯૭ના રોજ કલકત્તા ખાતે વિવેકાનંદે “રામકૃષ્ણ મઠ”—ધર્મના પ્રચાર માટેની સંસ્થા અને “રામકૃષ્ણ મિશન”—વિશેષ સેવા માટેની સંસ્થા. શૈક્ષણિક, સાંસ્કૃતિક, તબીબી અને રાહત કાર્યો દ્વારા જનસમૂહને મદદ કરવાની સંગઠિત સામાજિક-ધાર્મિક અભિયાનની આ શરૂઆત હતી. રામકૃષ્ણ મિશનના આદર્શો કર્મ યોગ આધારિત છે.

તેમના દ્વારા બે મઠની સ્થાપના થઈ, એક કલકત્તા પાસે બેલુર ખાતે કે જે રામકૃષ્ણ મઠનું વડુમથક બન્યો અને અદ્વૈત આશ્રમ તરીકે ઓળખાતો બીજો મઠ હિમાલય પર માયાવતી ખાતે અલમોરા પાસે અને બાદમાં ત્રીજો મઠ મદ્રાસ ખાતે સ્થપાયો. બે સામયિકો શરૂ કરવામાં આવ્યા, પ્રબુદ્ધ ભારત અંગ્રેજીમાં અને ઉદબોધન બંગાળીમાં. આ જ વર્ષે દુકાળ રાહત કાર્ય સ્વામી અખંડઆનંદ દ્વારા મુર્શિદાબાદ જિલ્લામાં શરૂ કરાયુ.

વિવેકાનંદે સર જમશેદજી તાતાને સંશોધન અને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાની પ્રેરણા આપી જ્યારે તેઓ એક સાથે યોકોહામાથી શિકાગો સુધી સાથે હતા અને આ ૧૮૯૩માં સ્વામીની પશ્ચિમની પ્રથમ મુલાકાત હતી. આ સમયે સ્વામીને તાતાએ મોકલેલો પત્ર મળ્યો હતો, જેમાં તેમણે તાતાએ સ્થાપેલ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ(Research Institute of Science)નું નેતૃત્વ સંભાળવા વિનંતી કરી હતી. પરંતુ ધાર્મિક હિતો સાથે અનુકૂળ નહિ હોવાનું જણાવી સ્વામી વિવેકાનંદે આ પ્રસ્તાવનો અસ્વીકાર્ય કર્યો.

હિંદુ ધર્મની જડ માન્યતાઓના બદલે નવા અર્થઘટનનું પ્રતિનિધિત્વ કરનારઆર્ય સમાજ (Arya Samaj) અને સંકુચિત હિંદુ ધર્મને માનતા સનાતનવાદી ઓ વચ્ચે સંવાદિતા સ્થાપવા તેમણે પાછળથી પાકિસ્તાનમાં પંજાબની મુલાકાત લીધી. રાવલપિંડી ખાતે તેમણે આર્યસમાજવાદીઓ અને મુસ્લિમો વચ્ચેનું વૈમનસ્ય મૂળમાંથી દૂર કરવાની પદ્ધતિઓ સૂચવી. તે સમયના ગણિતના તેજસ્વી પ્રોફેસર તિર્થ રામ ગોસ્વામી કે જેમણે પાછળથી સ્વામી રામતીર્થ તરીકે સન્યાસ લીધો તેમની સાથેનું પ્રેરણાદાયી જોડાણ અને ભારત તથા અમેરિકામાં વેદાંત નોઅને પ્રખ્યાત પ્રવચનો માટે લાહોર યાદગાર છે.

તેમણે દિલ્હી અને ખેતરી સહિત અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી અને જાન્યુઆરી ૧૮૯૬માં કલકત્તા પાછા ફર્યા. ત્યાર બાદ મઠ ની કામગીરીને વ્યવસ્થિત બનાવવામાં અને શિષ્યોને તાલીમ આપવામાં તેમણે કેટલાક મહિના પસાર કર્યા. આ સમયગાળા દરમિયાન તેમણે પ્રખ્યાત આરતી ગીતની રચના કરી, એક ભક્તના ઘરે રામકૃષ્ણના મંદિરને પવિત્ર બનાવવાના કાર્યક્રમ દરમિયાન ખંડના ભવ બંધના ની રચના કરી.

સ્વામી વિવેકાનંદનાં છેલ્લા વર્ષો
વિવેકાનંદે કેટલાક દિવસો અદ્વૈત આશ્રમ, માયાવતી ખાતે અને બાદમાં બેલુર મઠમાં વિતાવ્યા. ત્યારથી માંડીને છેવટ સુધી તેઓ બેલુર મઠમાં રોકાયા અને રામકૃષ્ણ મિશન તથા મઠની ઈંગ્લેન્ડ અને અમેરિકાની કામગીરી વિશે માર્ગદર્શન આપતા રહ્યા.

આ વર્ષો દરમિયાન હજારો મુલાકાતીઓ તેમને મળવા આવતા, જેમાં ગ્વાલિયરના મહારાજા અને ડિસેમ્બર ૧૯૦૧માં, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (Indian National congress)ના લોકમાન્ય ટિળક જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થતો હતો. ડિસેમ્બર ૧૯૦૧માં જાપાને તેમને ધર્મ સંમેલનમાં ભાગ લેવા નિમંત્રણ આપ્યુ, પરંતુ કથળતા આરોગ્યના પગલે તેઓ ઉપસ્થિત રહી શક્યા નહિ. આખરી દિવસોમાં તેમણે બોધગયા અને વારાણસીની યાત્રા કરી.

તેમના પ્રવાસો, સળંગ વક્તવ્યો, અંગત ચર્ચાઓ અને વાતચીતોએ સ્વાસ્થ્યનો ભોગ લીધો. તેઓ અસ્થમા, ડાયાબિટિસ અને અન્ય શારીરિક બિમારીઓથી પિડાતા હતા. અવસાનના થોડા દિવસ પૂર્વે તેઓ ધ્યાનપૂર્વક પંચાંગનો અભ્યાસ કરતા જોવાયા હતા. અવસાનના ત્રણ દિવસ પહેલા તેમણે અંતિમક્રિયાનું સ્થળ જણાવ્યું હતું અને આ સ્થળે આજે તેમની યાદમાં બનાવેલ મંદિર ઉભુ છે. તેમણે ઘણા લોકો સમક્ષ નોંધ્યુ હતું કે તેઓ ચાળીસ વર્ષ સુધી નહિ જીવે.

અવસાનના દિવસે સવારમાં તેમણે બેલુર મઠ ખાતે કેટલક વિદ્યાર્થીઓને શુકલ યજુર્વેદ ભણાવ્યો હતો. તેઓ ભાઈ-વિદ્યાર્થી સ્વામી પ્રેમાનંદ સાથે ચાલવા ગયા હતા અને રામકૃષ્ણ મઠના ભવિષ્યને લગતી સૂચનાઓ આપી હતી. જુલાઈ ૪, ૧૯૦૨ના રોજ નવ વાગીને દસ મિનિટે ધ્યાનાવસ્થામાં વિવેકાનંદનું અવસાન થયું હતું. તેમના અનુયાયીઓના મતે આ મહાસમાધિ હતી. બાદમાં તેમના શિષ્યોએ નોંધ્યુ હતું કે સ્વામીના મોઢા પાસે નસકોરોમાં અને આંખોમાં “થોડુ લોહી” તેમણે જોયુ હતું.

ડોક્ટરોના મતે મગજમાં લોહીની નળી ફાટી જવાથી આમ થયુ હતું, પરંતુ મૃત્યુનું સાચુ કારણ તેઓ શોધી શક્યા નહોતા.તેમના શિષ્યોના જણાવ્યા મુજબ તેમણે મહાસમાધિ લીધી ત્યારે બ્રહ્મરંધ્ર — મસ્તિષ્કના મુગટના બાકોરામાં નિશ્ચિતપણે કાણુ પડેલુ જોવામાં આવ્યુ હતુ. ચાળીસ વર્ષ કરતાં વધારે નહિ જીવવાની પોતાની આગાહી વિવેકાનંદે સાચી ઠેરવી હતી.

સ્વામી વિવેકાનંદનુ સમાધી સ્થાન બેલુર મઠ
સ્વામી વિવેકાનંદનુ સમાધી સ્થાન બેલુર મઠ
સ્વામી વિવેકાનંદનાં પ્રેરક વિચાર મોતીઓ
સ્વામી વિવેકાનંદના વિચારો, એમના પ્રવચનો, મુલાકાતો ,પત્રો અને અનેક પુસ્તકોમાં સચવાયેલા છે . એમાંથી કેટલાક પસંદગીનાં પ્રેરક વિચાર મોતીઓ અહીં મુક્યા છે.

  • ક્રોધ સાધકનો શત્રુ છે ,ક્રોધ. ક્રોધ કરવાથી શરીરના રોમે રોમમાંથી શક્તિનો વ્યય થાય છે.
  • પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીર ને સુદ્રઢ બનાવવું જોઈએ ત્યાર પછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સુક્ષ્મ ભાગ જ છે.
  • દંભી થવા કરતાં આખાબોલા નાસ્તિક થવું એ બહેતર છે.
  • વિશ્વની તમામ શક્તિઓ આપણી જ છે. આપણે જ આપણા હાથ આંખો પર મૂકીને બરાડા પાડીએ છીએ કે બધે અંધકાર છે. જાણી લો કે આપણી પાસે અંધકાર નથી. હાથ ઉઠાવી લો એટલે પ્રકાશનું દર્શન થશે. એ તો પહલેથી જ હતો .અંધકારનું , નિર્બળતા ક્યાંય હતી જ નહી .આપણે જ માની લીધું છે કે આપણે નિર્બળ , અપવિત્ર , અસફળ છીએ.
  • જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ . ખંતીલો માણસ કહે છે ; ‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં સાથે જ પર્વતો કડકભૂસ થઈને તૂટી પડશે.’ આવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઇચ્છાશક્તિ દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો તમે ધ્યેયને પામી શકશો .
  • જુના ધર્મોએ કહયું , ‘જેને પ્રભુમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે. ‘ નવો ધર્મ કહે છે ,’જેને પોતાનામાં જ શ્રધ્ધા નથી તે નાસ્તિક છે.’
  • કરોડો રૂપિયા ખોવોયેલા કદાચ પાછાં મળી જશે પરંતુ એક ક્ષણ પણ ઈશ્વર સ્મરણ વગર જશે તે ક્ષણ પાછી નહિ આવે.
  • પ્રાર્થનાથી માણસની સુક્ષ્મ શક્તિઓ સહેલાઈ થી જાગ્રત કરી શકાય છે.
  • પ્રાર્થના અને સ્તુતિ ઈશ્વર તરફના વિકાસ માર્ગના પ્રાથમિક સાધનો છે.
  • નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વભાવિક છે, જીવનનું તે સોંદર્ય છે. જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કોઈ કિંમત નથી.
  • જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારાં જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો જે માણસે આખી લાયબ્રેરી ગોખી લીધી હોય તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.

તમારાં સદવિચારો એજ ઈશ્વરને અર્પિત કરવાના પુષ્પો છે.

કદી પણ કોઈને મનથી, વચનથી, વિચારથી દુઃખી ના કરશો . સમસ્ત પ્રકૃતિના જીવો પ્રત્યે દયા દાખવવી એજ અહિંસા છે અને અહિંસા જ પરમ ધર્મ છે.

રોજ રાત્રે સુતા પહેલાં પથારીમાં બેઠા બેઠા પ્રાર્થના કરો કે ” હે પ્રભુ આજના દિવસ દરમ્યાન મારાથી કોઈને પણ વાણી કે વર્તનથી તકલીફ થઇ હોય તેને માટે હું માફી માંગું છું, મને માફ કરજો અને ફરી કદી ના થાય તે માટે સદબુદ્ધિ આપજો”

સવારે પાંચ વાગ્યા પહેલાં ઉઠો, આ સમય બ્રહ્મ મુહૂર્ત છે .આ સમયે પ્રકૃતિમાં સત્વગુણ પ્રધાન હોય છે. આ સમયમાં બુદ્ધિ તેજ બને છે અને શરીરને સ્ફૂર્તિ મળે છે. આ સમય જપ-તપ આધ્યત્મિક સાધના માટે શ્રેષ્ઠ સમય છે.

શ્વાસ જયારે ડાબા નસકોરામાંથી વહેતો હોય ત્યારે આરામ લેવાનો સમય છે. જમણાંમાંથી વહે ત્યારે કાર્ય કરવાનો સમય છે અને બંનેમાંથી વહે ત્યારે ધ્યાનનો સમય છે એમ જાણવું.આપણે જયારે શાંત હોઈએ અને બંને નસકોરાંમાંથી સરખો શ્વાસ લેતા હોઇએ ત્યારે નીરવ ધ્યાન માટેની યોગ્ય સ્થિતિમાં છીએ તેમ માનવું.

પરિવર્તનથી ઈચ્છાશક્તિ વધુ મજબુત થતી નથી ; તે નિર્બળ બને છે અને પરિવર્તનને વશ થાય છે. પણ આપણે હંમેશા સંગ્રહણ વૃતિવાળા થવું જોઈએ. સંગ્રહણવૃતિથી ઈચ્છાશક્તિ મજબૂત થાય છે.

જો ઇશ્વર હોય તો આપણે તેનું દર્શન કરવું જોઈએ ; જો આત્મા હોય તો આપણે તેની અનુભૂતિ કરવી જોઈએ ; નહી તો, એમાં માનવું નહિ એ વધુ સારું છે. દંભી થવા કરતાં આખાબોલા નાસ્તિક થવું એ બહેતર છે.

કાર્ય કરવું એ ઘણું સારું છે, પરંતુ તે વિચારોમાંથી આવે છે. માટે મસ્તિષ્કને ઉન્નત વિચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને અહર્નિશ તમારી નજર સમક્ષ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે.

દરેક માનવીની સફળતા પાછળ કયાંક પણ જબરદસ્ત સચ્ચાઈ ,જબરદસ્ત પ્રમાણિકતા રહેલાં હોવાં જ જોઈએ ; જીવનમાં તેની અસાધરણ સફળતાનું કારણ એ જ છે.

આપણને ગતિ આપનારું બળ વિચાર છે.મનને ઉચ્ચ વિચારોથી ભરી દો, તેના વિશે રોજ રોજ શ્રવણ કરો, મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વભાવિક છે, જીવનનું તે સોંદર્ય છે. જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કોઈ કિંમત નથી.

તમારાં સદવિચારો એજ ઈશ્વરને અર્પિત કરવાના પુષ્પો છે :સ્વામી વિવેકાનંદ

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here