રાષ્ટ્રીય સ્તરના બાસ્કેટબોલ પ્લેયરનું મૃત્યુ થયું અને માતા- પિતાએ દક્ષના અંગદાનનો નિર્ણય કર્યો

0
168

જીએનએ અમદાવાદ:

મારો દિકરો રાષ્ટ્રીય સ્તરની બાસ્કેટ બોલ સ્પર્ધામાં ભાગ લેવાનો હતો. જે માટે તે સતત દિવસ રાત પ્રેક્ટિસ કરીને પોતાની કારકિર્દીને બાસ્કેટબોલ ક્ષેત્રમાં ઉજ્જવળ બનાવવાનો હતો.પરંતુ વિધાતાએ મારા દિકરા દક્ષના લેખ કંઇક અલગ સ્યાહી થી લખ્યા હતા. પ્રેકિટસ કરીને ઘર વાપસી કરતી વેળાએ તેને માર્ગ અકસ્માત સાંપડ્યો. જેમાં તેને ગંભીર ઇજા થઇ. (દક્ષના પિતા સાથેની વાતચીત ના અંશો)

સારવાર અર્થે મહેસાણા લઇ જવામાં આવતા ત્યા દક્ષને બ્રેઇનડેડ જાહેર કરાયો. ચહેરાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થઇ હોવાથી તેના માતા-પિતા દક્ષની છબી જોવા માટે પણ સક્ષમ ન હતા. મહેસાણાના સામાજીક કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલની SOTTO(State Organ Tissue And Transplant Organisation) ની ટીમને દક્ષના બ્રેઇનડેડ થવાની જાણ કરાતા ટીમ સત્વરે મહેસાણા પહોંચી. મહેસાણા પહોંચ્યા બાદ ટીમના સભ્યો અને સામાજીક કાર્યકરો દ્વારા દક્ષના માતા-પિતાને અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા.

દક્ષના પિતાએ અંગદાનની સંમતિ દર્શાવતા કહ્યું કે, મારો દક્ષ બ્રેઇનડેડ થયો છે. પરંતુ તેના અંગો અન્ય જરૂરિયાતમંદોને મદદમાં આવે અને તેમને નવજીવન મળશે. જેના થકી મારો પુત્ર અન્ય જીવમાં જીવંત રહેશે. તે માટે હું મારા દિકરાનું મારા હ્યદયના ચિરાગનું અંગદાન કરવા તૈયાર છું.

ત્યારબાદ દક્ષને ૨૭મી ડિસેમ્બરના રોજ મહેસાણાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લાવવામાં આવ્યા. આજે અહીં સમગ્ર પ્રક્રિયા દરમિયાન દક્ષની બંને કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.જે ટૂંક સમયમાં જ જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, દક્ષના અંગદાન થકી સિવિલ હોસ્પિટલમાં ૩૬૬ દિવસમાં ૨૬ વ્યક્તિઓના અંગદાન મેળવવામાં સફળતા મળી છે. અન્ય જીલ્લામાંથી રીટ્રાઇવલ માટે સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ વ્યક્તિને લાવવામાં આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે.

આ ઘટના દર્શાવે છે કે, સમાજમાં હવે દિવસે ને દિવસે અંગદાન માટે જાગૃકતા પ્રસરી રહી છે. લોકો હવે અંગદાન માટે જાગૃત થયા છે. રાજ્યમા અંગદાનની જનજાગૃતિ માટે ભગીરથ કાર્ય કરી રહેલા અગ્રણી શ્રી દિલીપ દેશમુખ પણ સિવિલ હોસ્પિટલ ના અંગદાનની નેમમા જોડાઈને તેમના અનુભવ અને સહકાર સાથે મદદરૂપ બની રહ્યા છે.“અંગદાન એ જ મહાદાન”ના સૂત્રને મૂર્તિમંત કરવા સમાજનો દરેક વર્ગ હવે એકજૂથ થવું પડશે.

સિવિલ હોસ્પિટલમાં થયેલ ૨૬ અંગદાનમાં શરીરના ૮૯ જૂદા જૂદા અંગો દ્વારા ૭૫ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.સિવિલ હોસ્પિટલ દ્વારા ઉપાડવામાં આવેલી અંગદાનની પહેલ હવે જન-જન માં જાગૃકતા અને સમાજસેવાની મુહિમ બની છે.

Ad…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here