ગયા અંકમાં આપણે જોયું કે શ્રીદેવી પોતાનાં જ આઉટ હાઉસમાં આગ લગાડીને પોલીસને બોલાવવામાં કામયાબ તો થઈ, પરંતુ એણે જેવું ધાર્યું હતું એવું થયું નહીં, અને ઉલટાનું પોલીસે તેની ધરપકડ કરવાનું કહ્યું, આખરે આ બધી ચાલનો ખરો સૂત્રધાર કોણ છે? એની કોઈ કડી હજી મળતી જ નથી, શું સુરેખા અને સિદ્ધાર્થનું આવું કોઈ કાવત્રુ હતું? કે પછી સાર્થકને એમણે મારી નાખ્યો? કારણ કે એમનું લોહી તો એ હતું જ નહીં, અને એ રીતે શ્રીદેવીને જેલના સળિયા પાછળ ધકેલવા માંગતા હતાં, કે પછી શું હશે? અને પોતે તો પાછો આવો કોઈ ક્લેમ કર્યો નહોય, તેમ પોલીસના કહેવાથી એ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયાં હોય! એવા હાવભાવ બતાવતા હતાં. તો આખરે સુધીર દત્તની આ બધી ચાલ હતી, કે માસ્ટરમાઈન્ડ સુરેખાની ઉપર પણ કોઈ હતું? અને શું એ સાર્થકના ખરા માતા-પિતા હતા, કે પછી કોઈ કેસિનો ચલાવવા વાળો અન્ય અંડરવર્લ્ડનો મુખ્ય સૂત્રધાર! પણ મૂળ મુદ્દે સાર્થકનું શું થયું? કારણ કે શ્રીદેવીને તો એમાં જ રસ છે! સાર્થક ઘર સુધી શ્રીકાંતની મરજીથી જ આવ્યો હતો, તો શું સાર્થક ને શ્રીકાંત ને અંદરોઅંદર સંબંધ હશે! બાકી બધું તો જે હોય તે, પણ અત્યારે બ્લાઉઝ અને પેટીકોટમાં ઉભેલી શ્રીદેવીને શરમ આવતી હતી, અને એ આ વોરંટનું નામ સાંભળીને ધ્રુજવા લાગી હતી, તો આખરે આગળ શું થાય છે તે જાણવા વાંચો આગળ….
પોલીસ જીપમાં આવેલી લેડી કોન્સ્ટેબલ એ શ્રીદેવીને ધમકાવતી હોય, એ રીતે આગળ વધીને હથકડી પહેરાવવાની ટ્રાય કરી, શ્રીદેવી પાછળ ખસી ગઈ, અને ઝડપથી અંદર ગઈ. કબાટ ખોલી એક સાડી વીટવા લાગી, એટલે પેલી કોન્સ્ટેબલે કહ્યું ચાલ હવે તારે કંઈ પાર્ટીમાં જવાનું નથી. જેલની કોટડીમાં બેસવાનું છે, ત્યાં તું આમ નામ રહેશે કે કપડાં પહેરીને બેસે કોઈ કંઈ વખાણવાનું નથી. શ્રીદેવી શબ્દાતીત થઈ ગઈ, કે આ કઈ ભાષામાં બોલે છે? પરંતુ પોલીસો વિશે તેને સાંભળ્યું હતું કે તેઓની ભાષા આ પ્રકારની જ હોય છે, તે બહાર આવી અને પોલીસ જીપમાં તેને હથકડી પહેરાવીને બેસાડવામાં આવી સુરેખા અને સિદ્ધાર્થનાં મોઢા મરકી રહ્યા હતા. કારણ ગમે તે હોય પણ એક બલા હવે આ કેમ્પસ માંથી જશે, એ વિચારે ખુશ હતાં, અને શ્રીપાલને તો આમ પણ બિઝનેસ ટુર નિમિત્તે પંદર દિવસ બહારગામ મોકલી દીધો હતો, એટલે હવે આ પંદર દિવસમાં તેઓ બધો ખેલ પાર પાડી દેશે, એવી તેમની ગણતરી હતી. પરંતુ દુનિયાનો નિયમ છે કે શેરને માથે સવા શેર હોય જ, અને એ રીતે સુધીર દત્ત એ લોકોની જિંદગીમાં સવા શેર બનીને આવ્યો હતો, એ તેઓને નજરની બહાર નહોતું, પણ આટલી ચેતીને ચાલ ચાલશે એ સમજાયું નહોતું! એટલે કે આ કમ્પ્લેન સુરેખા એ નહોતી કરી, પણ એનાં નામે કોણે કરી હતી એ તેઓ જાણતા નહોતાં. છતાં અત્યારે દુઃખી થવું જોઈએ કે ચિંતિત થવું જોઈએ, એની બદલે ખુશ થતાં હતાં, અને ત્યાં જ કમ્પ્લેન કરનાર અડધી બાજી મારી ગયો! કારણ કે એણે અંધારામાં તીર માર્યું હતું, એને ખાતરી હતી કે સુરેખા અને સિદ્ધાર્થ પોતે કમ્પ્લેન નથી કરી, એમ કહેશે પણ એવું કંઈ થયું નહીં,અને એટલે જ પોતે ધારેલ અંદાજ મુજબ હવે આગળ ચાલી શકાશે
પોલીસ જીપ પોલીસ સ્ટેશન તરફ આગળ વધી રહી હતી, અને શ્રીદેવીને પેટમાં ફાળ પડતી જતી હતી, કારણ કે તેને દેખાઈ રહ્યું હતું, કે આ લોકો સુધીર દત્તના માણસો નથી, અથવા તો સાચા પોલીસવાળા પણ નથી. હવે તેનું શું થશે? એ તો રામ જાણે. પણ સાર્થકને કિડનેપ કરવાનો પોતાની પર ચાર્જ લાગ્યો હોવાથી, તેને એનાં વિશે ચિંતા થતી હતી, કે આખરે સાર્થક ને કોણ ઉપાડી ગયું? અને ક્યાં લઈ ગયા હશે? એ બિચારો ઘેર ફોન કરતો હશે, વગેરે વગેરે સવાલોથી એની મમતા અકળાઇ ઉઠી હતી. એકાએક એની આ વિચારધારા અટકી, કારણ કે પોલીસ જીપને કોઈ એ આંતરી અને ધમકાવીને જીપમાં બેઠેલાને નીચે ઉતાર્યા,અને એ લોકો સાથે ઘર્ષણ થયું, એમાં એ લોકો એ પોલીસ જીપને ધક્કો માર્યો એટલે એ ખાઈમાં પડી ગઈ,અને પેટ્રોલ ટેન્ક પર ગોળીબાર કર્યો હતો, એટલે એક બહુ મોટો બ્લાસ્ટ થયો. શ્રીદેવીને આશ્ચર્ય તો ત્યાં થયું કે જેવી જીપ બ્લાસ્ટ થઈ એટલે સૌએ તાળી પાડી, અને પેલી લેડી કોન્સ્ટેબલ એ શ્રીદેવીની સાડી ખેંચી અને ત્યાં આગળ એક ઝાડની ડાળી વચ્ચે એક મોટો લીરો ફસાઈ ગયો હોય એમ બાકીનો ત્યાં સળગાવી દીધો અને જોરજોરથી હસવા લાગી, લે આ તો શહેરના જાણીતા બિઝનેસમેન શ્રીકાંતની પત્ની પણ મૃત્યુ પામી, અને આશ્ચર્ય તો ત્યા હતુ કે કોઈ જ મર્યું નહોતું! બધાં ખડખડાટ હસતાં હતાં, ત્યાં એક કાર આવી અને એમાંથી કોઈ અજાણ્યો શખ્સ ઉતર્યો, અને એણે શ્રીદેવીનો હાથ ખેંચી તેને પોતાની ગાડીમાં બેસાડી દીધી. શ્રીદેવી એ ચીસ પાડવા મોઢું ખોલ્યું, ત્યાં જ એ શખ્સ એ તેનાં મોઢા પર હાથ મુકીને કહ્યું કે હું સુધીર દત્ત છું, અને તું એકદમ સેઈફ છે! તારી પર ત્યાં જીવનું જોખમ વધતું જતું હતું, અને એટલે જ મેં આ યુક્તિ કરી તને ત્યાંથી બહાર કાઢી, હવે દુનિયાની નજરમાં તારું મોત થઈ ગયું છે, અને આ એક્સીડન્ટને હવે હું મર્ડરનો શંકાસ્પદ કેસ દાખલ કરીશ. શ્રીદેવી એ કહ્યું કે એ બધું તો ઠીક પણ સાર્થક નું કીડનેપ થયું છે, એનું શું? એ બિચારા ને કોઈ સતાવતુ હશે. સુધીરે કહ્યું એ ત્યાં બંગલોમાં હોય તો તું થોડી બહાર નીકળે! એટલે મેં એને ત્યાંથી ઉઠાવી લીધો, અને એ હજી સુરેખા ને સિદ્ધાર્થ ને પણ ખબર નથી! હું તને ત્યાં જ મુકવા જઈ રહ્યો છું, કારણકે દુનિયા ની નજરમાં હવે તું મૃત્યુ પામી ચૂકી છો, એટલે થોડો ગેટ અપ ચેન્જ કરવો પડશે, નહીં તો આ આંખી યોજના ફેઈલ જાય. એકવાર એ લોકો ને ફાંસીનાં ફંદો દેખાડી દઉં પછી બધું જ સત્ય જાહેર કરવા તને જ જુબાની આપવા કોર્ટમાં લઇ જઈશ.
શ્રીદેવી સુધીર દત્ત સામે જોઈ રહી હતી, કે કોઈ વિચારી ન પણ શકે, એટલી દમદાર ચાલ તેણે ચાલી હતી અને સૌથી વધુ મહત્વનું તો એ હતું કે સાર્થક ને એ લોકોના દંગલમાંથી છોડાવી દીધો હતો, અને હવે તે પોતાના દીકરા સાથે મન ભરીને રહી શકશે. તેને કહ્યું કે તે તેને પોતાની એક ગામમાં રહેતી બહેનના ઘરે મૂકી જાય છે, ગામ થોડું નાનું છે, અને વસ્તી પણ પ્રમાણમાં ઓછી છે, ત્યાં તારે એક વિધવા તરીકે જ બધાને ઓળખાણ આપવાની છે, અને જે તું છે શ્રીદેવી કહ્યું કે હા હું તો શ્રીકાંતની વિધવા જ છું. અને આ મારો પુત્ર છે, સસરાએ કાઢી મૂકી છે, એટલે અહીં આવી છું, એ રીતે રહેવાનું છે. એટલે ગામ લોકો પણ તારી પ્રત્યે સહાનુભૂતિ નો ભાવ રાખશે. બહેનનું ઘર પ્રમાણમાં ઠીક ઠીક છે, પરંતુ આ બંગલો જેવું તો નથી જે એટલે એ રીતે પણ થોડી તને સ્ટ્રગલ પડશે, અને ગામમાં જે કોઈ અનાજ કે ખોરાક ખાતા હશે, એ રીતનું થોડો વખત ખાવું પડશે. શ્રીદેવીએ કહ્યું કે એની મને કોઈ જ તકલીફ નથી, મને ખાલી સાર્થક મારી સાથે છે એનું જ ખુશી એટલી બધી છે કે, બાકી બધી જ વસ્તુઓ મારી માટે ગૌણ છે. સતત અડધી પોણી કલાક ગાડી હાઇવે પર ચાલ્યા બાદ એક નાનકડા એવા માર્ગે 10 મિનિટ આગળ વધી, અને થોડીવાર થોભી, બે પાંચ મિનિટમાં જ એક ગાડી આવી અને તેમાંથી સાર્થક ને લઈને એક અજાણી સ્ત્રી ઉતરી સાર્થક શ્રીદેવીને જોતા જ તેને વળગી પડ્યો, અને શ્રીદેવી એ પણ પોતાની મમતા લુટાવી. મા દીકરો ઘડીક એ રીતે એકબીજાને વળગેલા રહ્યાં, એક બે મિનિટ પછી એ ગાડી વાળાને એ સારું કહ્યું, અને એ લોકો આવ્યા હતા એ રસ્તે ન જતાં, આડાઅવળા રસ્તે ક્યાંક આગળ સરી ગયા. સુધીર દત્તે એક બેગ કાઢી, અને તેમાંથી એક બૂરખો શ્રીદેવીને આપ્યો અને કહ્યું કે હવે આ પહેરી લે ત્યારબાદ આ બેગમાં એક ફોટો રાખ્યો છે એ મુજબના જ કપડા અત્યારે હમણાં પહેરવા પડશે એટલે કે પહાડી ઇલાકામાં પહેરવેશ, એવો વેશ લાંબો કુર્તો અને પહોળો પાયજામો! એવા પાંચ છ સૂટ આ બેગમાં છે, જે તારે પહેરવાનાં છે. પહાડી લોકો બોલે એવું પહોળા પહોળા ઉચ્ચારો કરવાના અને થોડું મિસ રહીને બોલી બોલવાની રહેશે, સાર્થક ને પણ ચડ્ડી ટીશર્ટ થોડી જુદી ટાઈપના કપડા પહેરાવવાના રહેશે ,આ બધું માત્ર વધીને અઢી કે ત્રણ મહિના જ કરવું પડશે, તે દરમિયાન તો હું કેસ સોલ્વ કરી નાખીશ, અને બનશે તો એકાદ બે વાર મળવા પણ આવીશ! થોડીવારમાં જ ગાડી એક અજાણ્યા પણ સુંદર એવા ગામમાં પ્રવેશી અને એક જુનવાણી હવેલી જેવા ઘર આગળ ઉભી રહી.
સુધીર દત્તે દાઢી લગાવી લીધી અને માથે પહાડી ટોપી પહેરી લીધી, એ લોકો ગાડી માંથી નીચે ઉતર્યા, પાંચ મિનિટ પહેલા જ ફોન પર જાણ કરી દીધી હતી, એટલે ઉપરના માળેથી એક મહિલાએ પાછળની તરફ આવો એવો ઇશારો કર્યો. સુધીર દત્તે શ્રીદેવીને સાર્થક ને લઈને પાછળની સાઈડે ગયાં, અને ત્યાંથી એક જૂની પુરાણી સીડી હતી એના પરથી ઉપર ચડી ગયાં. એ મહિલાએ બધાનું સ્વાગત કર્યું અને ગુલાબનું શરબત પાયું. સુધીર દત્ત એ મહિલા કે જે એની પાર્વતી દીદી હતી,એને અને શ્રીદેવી બંનેને પોતાનો અંગત ફોન નંબર આપ્યો અને કહ્યું કે જરૂર હોય તો જ ફોન કરવો, બાકી પરિસ્થિતિ પોતાની મુજબ હેન્ડલ કરી લેવાનું વધુ હિતાવહ છે, એ સમજાવ્યું. તેમજ શ્રીદેવી તરફ ઈશારો કરી પેલી મહિલાને પણ જણાવ્યું, કે દીદી આ મારી અમાનત અહીં મુકી જાઉં છું,આપ બને તેટલી ઓછી તકલીફ પડે એ રીતે તેને સાચવજો! એણે જવાબમાં માત્ર માથું ધુણાવ્યું,અને અહીં કોઈ આવ્યું છે, એની કાનોકાન ખબર પડે નહીં એમ એ ત્યાંથી ચાલ્યા ગયાં. જોકે આવડી ઓછી વસ્તી ધરાવતા ગામમાં એમ સાવ કંઈ ખબર પડ્યા વગર રહેવાની નહોતી! શ્રીદેવી વિચારતી હતી કે પણ જોઈએ હવે શું થાય છે તે! એને હવે દુનિયા સાથે બહુ મતલબ નહોતો, એને તો સાર્થક એની સાથે હતો એ મહત્વનું હતું. ગઈકાલે રાતથી આ બધી ઘટનાઓ એવી એક પછી એક ઘટી કે એની કડી મેળવવી એ અઘરું કામ હતું!! પણ આમ જુવો તો હવે થોડી નિરાંત થઈ! કારણકે એ બંગલો માંથી એ અને સાર્થક બંને બહાર હતાં, અને એ માટે તો સુધીર દત્તને સેલ્યુટ કરવી જ પડે.
પોતાનો એ રુમ છે એમ એણે ઈશારાથી કહ્યું પોતે દિવસમાં ચાર વખત આવશે, એકવાર સવારે ચા કે કોફી દેવા. બે વાર જમવાનું દેવા, અને રાત્રે રુમને બહારથી તાળું મારવાં! આમ એ ઈશારાથી જ બધું સમજાવીને જતી રહી. શ્રીદેવીને એનું બિહેવિયર થોડું અજીબ લાગ્યું એને સમજાતું નહોતું કે આ મહિલા મૂંગી છે કે મૂગાં હોવાનો ડોળ કરે છે, પણ અત્યારે એ બધું વિચારવું નકામું હતું, અને તેની આંખો ભારે થવા લાગી તેને જોયું તો સાર્થક પણ એના ખભે માથું નાખીને સુઈ ગયો હતો, એણે પોતાના પલંગ પર પડેલા સામાનને એક બાજુ રાખી ત્યાં આગળ લંબાવવાનું વિચાર્યું,અને એ સાચે જ સાર્થકને સોડમાં લઈને સૂઈ ગઈ. આંખો દિવસ તો જેમ તેમ કરીને કાઢ્યો પણ આમ કોઈ વાતચીત કરવા વાળું નહોય તો ત્રણ મહિના કેમ નીકળશે!; એણે બે ત્રણવાર પેલી મહિલા સાથે વાત કરવાની કોશિશ કરી નામ પુછ્યું ,તો એણે કંઇ જવાબ આપ્યો નહીં, માત્ર ઈશારાથી કહ્યું કે આવતીકાલે બપોરે આવશે, અત્યારે કંઈ નહીં, અને ધીમે ધીમે બોલવું એમ કહ્યું, અને બાળકને પણ સમજાવી દેવું કે નીચે ન ઊતરે. એણે તો સાર્થક સાથે વાર્તા કરી અને જોડકણા ગાયાં,અને બહુ મસ્તી કરી. જમવાનું તો પ્રમાણમાં સારું હતું, એટલે એ રીતે બહુ વાંધો આવે એવું નહોતું. આમને આમ રાત પડી,અને શ્રીદેવી સાર્થક સાથે કાલીઘેલી ભાષામાં વાત કરતી કરતી સૂઈ ગઈ. થોડીવાર થઈ હશે ત્યાં હવેલી માંથી જ મૂજરાં સંગીત સાથે જામ છલકાવા લાગ્યાં હોય એવો કંઈક શોર સંભળાયો, અને શ્રીદેવી જાગી ગઈ! તેણે પોતાની આજુબાજુ જોયું કે પોતે ક્યાં છે!!!! અને જેમ જેમ અવાજ સ્પષ્ટ થવા લાગ્યા,એમ શ્રીદેવીના મનમાં ખૂબ પ્રશ્નો ઉભા થવા લાગ્યા કે આ હું ક્યાં આવી ગઈ? અને મને અહીં લાવનાર તો સુધીર દત્ત જ છે, તો શું એ પણ આ બધામાં ભળલો હશે એ વિચારે ચકડોળે ચઢી….
શું થશે શ્રીદેવીનું અને નાનકડા સાર્થક નું? અને એ પણ સાવ અજાણી જગ્યાએ! એમાં શ્રીદેવી તો પોતાની હયાતી પણ સાબિત કરી શકે એમ નહોતી! અને સુધીર દત્તની બહેન કેમ ઈશારે વાત કરતી હતી! અને શું એ બદનામ અડ્ડામાં આવી ગઈ હતી કે શું? અને.. અને.. અને.. સુરેખા અને સિદ્ધાર્થ પોતે દાવ હારી ગયા છે, એવું સમજાતાં શું નવી ચાલ રમશે! બાપરે…..હે ભગવાન હવે તો તું જ શ્રીદેવી અને સાર્થકનું રક્ષણ કરજે. ના ના! એટલું નિરાશ થવાની જરૂર નથી. મને હજી આશા છે કે આ ખતરનાક મોડ પર પણ સુધીર દત્ત શ્રીદેવીની સાથે છે, એટલે એને કંઈ નહીં થાય! અને એ શ્રીકાંતનાં મર્ડરનો બદલો લઈને રહેશે! પણ કેમ ? એ જાણવા હજી થોડું થોભો વધુ આવતા અંકે……
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
Ad…