શ્રીદેવી પોતાના જ બંગલાના આઉટ હાઉસમાં ઉભી ઉભી બંગલા સામે જોઈને વિચારતી હતી કે, ગજબની હોય છે વિધાતાની વિચિત્રતા! હજી ગઈ કાલ સુધી આ તમામ લોકો મને સલામ કરતા હતાં, અને આજે હું એ જ ઘરની બહાર ભિક્ષુક થઈને રહું છું. કોઈ એક કામ માટે મારી નજર કાફી હતી, એમ નોકર ચાકર મારી આગળ પાછળ દોડાદોડ કરતા હતાં, ત્યાં આજે મારે જ કામ કરવાનું આવ્યું. એ બધું પણ ઠીક છે, પરંતુ દુનિયામાં કેવાં કેવાં લોકો વસતા હોય છે, અને પોતાનું કોઈ જ્યારે વિશ્વાસઘાત કરે, ત્યારે આપણને વિશ્વાસ શબ્દ પરથી વિશ્વાસ ઉઠી જાય છે. પણ શું થાય! હવે જેવી જેની સાથે લેણાદેવી, કે વિધાતા કહો, કે પછી અતિ વિશ્વાસ રાખવાનું પરિણામ કહો, કે પછી કોઈ પૂર્વ જન્મના કર્મનું ફળ મળ્યું હોય! જે હોય તે પરંતુ વાસ્તવિકતા એ છે કે,
AD…
ગઈકાલની શ્રીદેવી અને આજની શ્રીદેવીમાં ઘણો તફાવત આવી ગયો છે, અને તેણે તે સ્વીકાર્યા વગર છૂટકો પણ નથી. એની નજર સામે જ એની મર્સિડીઝ કારમાં એ લોકો પસાર થયાં, અને વળી પાછા શ્રીદેવી એટલે કે પોતાની સામે તુચ્છ નજરે જોતા પણ ગયાં, જાણે કે હજી પણ એમને હું ખટકતી હોઉં તેમ જ લાગે છે. શ્રીદેવીની નજર બગીચા પર જાય છે, કેટલો ઉજ્જડ થઈ ગયો છે! કોઈ ધ્યાન આપતું નથી. પોતાના જીવથી પણ વધુ જતન કરીને એકો એક ફૂલ છોડને તેણે ઉછેર્યા હતાં. એને થયું કે પોતે જઈ અને બધા ઝાડને પાણી પાઈ આવે, પણ તરત જ એ તરફ જતા પગ એણે રોકી લીધાં. કારણ કે સુરેખા એ સમ આપ્યા હતા કે, આ બાજુ તરફ તમારે પગલાં પણ કરવાના નથી, નહીં તો સાર્થકના સમ છે. તમને બધાને થતું હશે ને કે સાર્થક વળી કોણ છે? તેના સમ ને શ્રીદેવી એટલું બધું મહત્વ શું કામ આપે છે? તો ચાલો આપણે આજે એને વિશે જ વાત કરીએ!:
Ad..
આજથી 20 વર્ષ પહેલાં શ્રીદેવી શ્રીધરરાયના ઘરની પુત્રવધુ બનીને એમના દીકરા શ્રીકાંત સાથે લગ્ન કરીને એક સાવ સામાન્ય ઘરમાં પગ મુક્યો હતો. શ્રીધર એક વિધૂર હતાં, અને એમને નાની એવી કાપડની દુકાન હતી. પરંતુ શ્રીકાંત એન્જિનિયર હતો, અને એનાથી નાનો શ્રીપાલ કરીને પણ એક દીકરો હતો. શ્રીદેવી પરણીને આવી ત્યારે શ્રીપાલ પંદરેક વર્ષનો હતો, શ્રીદેવીની ઉંમર પણ 22 વર્ષની જ હતી, છતાં તેને શ્રીપાલમાં પોતાના પુત્રને જોઈ અને તેની સાથે સ્નેહીથી રહેવા લાગી. શ્રીકાંત અને શ્રીપાલની માતાનું અવસાન થયું, ત્યારે શ્રીપાલ તો લગભગ પાંચ કે છ વર્ષનો જ હતો. બંને દીકરાઓને શ્રીધર રાય એ ખૂબ જ સંઘર્ષ કરીને મોટા કર્યા હતા.
AD..
આજકાલ દરેક ધંધામાં સ્પર્ધા હોય છે, તેમ કાપડના ધંધામાં પણ બે પાંચ રૂપિયાના ફેરે ધંધો થતો હોવાથી એટલી કોઈ આવક હતી નહીં. પરંતુ ઘરમાં શ્રીદેવીના પગલાં પડ્યાં, અને જાણે સાક્ષાત લક્ષ્મીજીનો વાસ થયો હોય તેમ, ધંધો પ્રગતિ કરવા લાગ્યો. શ્રીકાંત પ્રોડક્શન એન્જિનિયર બન્યો હોવાથી તેણે કાપડ ઉદ્યોગ ને લગતા વિષયમાં માસ્ટરી મેળવી,અને પોતાના ધંધાનો વ્યાપ વધાર્યો. એકમાંથી બે બે માંથી ત્રણ અને એમ તેની દુકાન વધતી ગઈ, આ ઉપરાંત તેણે એક ખાસ પ્રકારના કપડાની શોધ કરી હોવાથી એ કાપડનો તે બ્રાન્ડ એમ્બેસેડર બન્યો, અને આમ ચેન બિઝનેસ તરીકે પણ દરેક શહેરમાં હવે તેના શો રૂમ ખુલવા લાગ્યા.
AD.
જોત જોતામાં તો શ્રીધર રાયના ઘરમાં રૂપિયો રૂપિયો થઈ ગયું. એશ્વર્ય છલકાતું હોય તેમ એ લોકોએ બહુ મોટો બંગલો ખરીદી લીધો, અને એમાં રહેવા લાગ્યાં. 25 જણના નોકર ચાકરના સ્ટાફ સાથે શ્રીદેવી ઠાઠથી રહેતી હતી, પોતે પણ એજ્યુકેટેડ હોવાથી પતિના ધંધામાં થોડું ઘણું ધ્યાન આપતી હતી. શ્રીપાલ પણ હવે મોટો થઈ ગયો હતો અને એના પણ લગ્ન કરવાના દિવસો નજીક આવી ગયાં. શ્રીકાંત શ્રીદેવીનાં લગ્નને 10 વર્ષ થયાં, પરંતુ હજી એ લોકોના ઘેર પુત્રનું પારણું બંધાયું ન હતું. એટલે કે તેઓ નિઃસંતાન હતાં. શ્રીપાલ થોડા લાડને કારણે વધારે ભણી શક્યો નહીં, અને એની જ કોલેજની એક યુવતી ના પ્રેમના નાટકમાં ફસાઈ ગયો, અને સુરેખા નામની એ યુવતીએ શ્રીપાલને પોતાની સાથે લગ્ન કરવાનું દબાણ કર્યું, કહ્યું કે મારાં ઘરમાંથી બધા ઉતાવળ કરે છે, માટે આપણે લગ્ન કરી લેવા પડશે.આમ શ્રીપાલે ધંધાની કોઈ પણ જાતની જવાબદારી સ્વીકાર્યા પહેલાં જ લગ્ન કરી લીધાં. શેઠ શ્રીધરરાય પણ હવે ખાસી મોટી ઉંમરના થઈ ગયા હતાં, અને ઈશ્વરને વારંવાર પ્રાર્થના કરતા હતા કે હવે પત્ની પાસે જવાનો સમય મુકરર કરી દો! બંને દીકરાઓ પોતપોતાની રીતે સુંદર રીતે ગોઠવાઈ ગયા છે, અને હવે મને કોઈ મમતા બાકી રહી નથી.
AD..
હા શ્રીદેવી વહુના ઘરે સંતાન જોવાની ઈચ્છા હતી, પણ એ તો હવે ઠાકોરજીની ઈચ્છા બીજું શું! અને પુરુષોત્તમ મહિનાની અગિયારસ એ શ્રીધર શેઠ વિદાય લઈને શ્રીધામ ચાલ્યા ગયાં. લગ્નના બે અઢી મહિના થયાં ત્યાં જ સુરેખાએ પોતે મા બનવાની છે, એવા સમાચાર આપ્યાં. શ્રીદેવી પોતે સુરેખાને લઈને લેડી ડોક્ટર પાસે ગઈ, ડોક્ટરે સુરેખા ને અંદાજે ચાર મહિનાનો ગર્ભ છે એમ કહ્યું. એણે શ્રીદેવીને સમજાવતા કહી દીધું કે કોલેજ કાળ દરમિયાન શ્રીપાલ અને પોતે ભૂલ કરી બેઠા હતાં, એટલે જ લગ્નની ઉતાવળ કરી. સમય જતાં સુરેખાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો, અને શ્રીદેવીએ તેનું નામ કરણ કર્યું. સાર્થક નામનું આ બાળક ધીરે ધીરે મોટું થવા લાગ્યું અને સુરેખા શ્રીદેવી પાસે જ તેને મૂકીને, પાર્ટી વગેરેમાં જતી હતી. આમ શ્રીદેવીની મમતાને સાર્થક નામનું એક કારણ મળ્યું, અને તેને ઉછેરી અથવા તો તેને લાડ દુલાર કરી, તેને પોતાનું જીવન સાર્થક થતું હોય એવું લાગ્યું. શ્રીકાંત તો પોતાના ધંધામાં અતિ વ્યસ્ત રહેવા લાગ્યા, અને શ્રીદેવી સાર્થક સાથે પોતાનો સમય પસાર કરતી હતી. એક દિવસ બધાની હાજરીમાં શ્રીપાલ અને સુરેખાએ એક દરખાસ્ત મૂકી, અને કહ્યું કે તમે આ બાળકને લીગલી દત્તક લઈ લો, અમને તો બીજું બાળક પણ થશે. હકીકતમાં એ સુરેખાની ચાલ હતી, પરંતું શ્રીકાંત અને શ્રીદેવીને તેઓનો ત્યાગ અને બલિદાન દેખાયું,અને એમણે લીગલી કાર્યવાહી કરી સાર્થક ને દત્તક લઈ લીધો. બધી જ કાર્યવાહી પૂરી થઈ ગઈ.
AD..
હવે સુરેખા એ પોતાનો અસલી રંગ બતાવ્યો, અને હવે તે સાર્થકને શ્રીદેવી પાસે આવવા દેતી નહોતી. શ્રીદેવીની મમતા રડતી હતી, કે બાળક દેવું જ નહોતું તો આ બધું શું હતું!; એવામાં બીજી એક ગંભીર ઘટના બની શ્રીકાંત પોતાના ધંધા પરથી પાછા આવતાં હતાં, ત્યાં તેમનો એક્સિડન્ટ થયો અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયું. શ્રીદેવી આ બંને આઘાતમાં તરફડતી હતી, અને ધંધા તરફ તેનું ધ્યાન ગયું નહીં. એની માટે હવે સાર્થક જ જીવન આધાર હતો, પરંતુ સુરેખા સાર્થક ને શ્રીદેવી પાસે જરા પણ વાર આવવા દેતી નહોતી. એક દિવસ શ્રીદેવીએ સુરેખા ને કહ્યું કે, સુરેખા તારા વર્તનમાં આટલો બધો તફાવત કેમ આવી ગયો છે? સાર્થક તો મારું દત્તક લીધેલું બાળક છે, અને હું ધારું તો પોલીસ કેસ કરીને એની કસ્ટડી પણ લઈ શકું એમ છું! એણે કહ્યું કે મારું બાળક તમને દત્તક આપવાની મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, કારણ કે હવે હું કદાચ મા ન બનું તો? મારે તો જિંદગીભર બાળક વિના રહેવું પડે! એવી મને સતત ભીતિ થાય છે, અને તમે પણ માત્ર તેને દતક લીધું છે, હજી આ બધી મિલકતમાં એનું વારસદાર તરીકે નામ લખાવ્યું નથી, એટલે કે તમે પણ હજી તેને પોતાનું માની શક્યા નથી, તો પછી મારે શું કામને મારું બાળક આમ દઈ દેવું જોઈએ!! શ્રીદેવી એ કહ્યું કે પરંતુ એવું કઈ રીતે શક્ય બને! અને શ્રીકાંતના અવસાન ને હજી એટલો સમય થયો નથી, હજી ફરીથી વસિયત નામું બનશે, જેમાં હું ચોક્કસ સાર્થક નું નામ લખવાની જ છું, કારણ કે અંતે તો મારો આ પરિવાર એ એક જ મારો જીવન આધાર છે. સુરેખાએ કહ્યું કે દીદી એ તો બધી કહેવાની વાતો છે. બાકી સાર્થક હવે ચાર વર્ષનો થવા આવ્યો, પણ હજી તમે એ કાર્ય કર્યું નથી! શ્રીદેવી એ કહ્યું કે, તને એટલો બધો અવિશ્વાસ હોય તો આપણે આવતાં અઠવાડિયે વકીલને બોલાવીને આ તમામ વિધિ કરી નાખીશું, પછી તો તું નિશ્ચિત થઈ જઈશ ને! સુરેખાએ કહ્યું કે વિધિ મારી શરત મુજબ થશે તો હું જરૂરથી નિશ્ચિત થઈ જઈશ. બીજા અઠવાડિયે શ્રીકાંત અને શ્રીદેવીના એડવોકેટ સુરેશ ગુપ્તા આવ્યાં, અને તમામ સંપત્તિના ત્રણ ભાગ પાડવામાં આવ્યા. એક ભાગ શ્રીદેવીનો એક સાર્થક નો અને એક ભાગ શ્રીપાલ અને સુરેખા નો. પરંતુ સુરેખાએ કહ્યું કે મને આ રીતે ભાગ પડે તે મંજૂર નથી, પ્રોપર્ટીના માત્ર બે ભાગ પડશે, જેમાં ૬૦ ટકા પ્રોપર્ટીનો વારસદાર સાર્થક રહેશે, અને બાકી ના 40% માંથી ૩૦ ટકા અમારા બેયનાં, અને 10% તમારા! શ્રીદેવીએ વિચાર્યું કે આમ પણ પતિ ચાલ્યા ગયા છે, અને પરિવારને નામે આ લોકો જ છે, એને સંતોષ થતો હોય તો ભલે એ રીતે વસિયત બને, અને તેની મમતા ને માત્ર સાર્થક જ દેખાતો હતો, અને તેણે મંજૂરી આપી દીધી. શ્રીકાંતનો ધંધો હવે શ્રીપાલ સંભાળતો હતો, અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે શ્રીપાલની નિમણૂક થઈ હતી. પરંતુ શ્રીપાલમાં એટલી આવડત હતી નહીં, એટલે પડદા પાછળ સુરેખા મુખ્ય ભૂમિકા ભજવતી હતી, અને ધીરેધીરે ધંધામાં ખોટ ગઈ છે એમ કરી બધું પોતાના નામે કરતી જતી હતી. એ કહે એમ મુજબ શ્રીપાલ કાર્ય કરતો હતો, છતાં જે ધંધો દિવસ રાત પ્રગતિ કરતો હતો એ ધંધામાં ઓટ વર્તાવા લાગી, અને ધીરે ધીરે એક એક શોરૂમ એ લોકોના હાથમાંથી જવા લાગ્યાં. એક દિવસ સુરેખાએ કહ્યું કે દીદી ધંધો કરવો એ શ્રીપાલ ના બસની વાત નથી, એટલે મને લાગે છે કે બચ્યો કૂચ્યો ધંધો ખોટમાં જાય, એ પહેલા આપણે એને વેચી અને રૂપિયા ઊભા કરી લઈએ. શ્રીદેવી ધારે તો ધંધો પોતાના હસ્તક લઈ શકે તેમ હતી, પરંતુ હવે એટલા પાવર તેની પાસે રહ્યા ન હતાં, અને માત્ર ૧૦ ટકા શેર તેને નામે હતાં. છતાં એણે કહ્યું કે આપણે એમ હિંમત હારવાની જરૂર નથી, ધંધો તો પાઇ માંથી પણ ઉભો કરી શકાય. આપણી પાસે તો હજી ઘણું છે, અને મને લાગે છે ત્યાં સુધી અત્યારના ફેશન પરસ્ત લોકો આ બ્રાન્ડ વાપરી ચૂક્યા છે, એટલે હવે તેનો મોહ તેને આપણા શોરૂમ સુધી લઈ આવશે! વળી પાછા થોડા મહિના ગયાં.
AD..
એક દિવસ સુરેખાએ કહ્યું કે મારો એક કઝિન બ્રધર વિલાયતમાં એમબીએ કરીને પાછો આવે છે, આપણે એને આપણા ધંધામાં મહત્વની પોસ્ટ આપી અને આપણો આ ધંધો ડૂબતો બચાવી શકીએ, અને ત્યાં શ્રીદેવી ભૂલ કરી ગઈ. હકીકતમાં શ્રીદેવી હજીયે સુરેખાની ચાલને સમજી નહોતી,અને એણે સુરેખાની વાત પર મંજૂરીની મહોર મારી દીધી. સુરેખાનો એ કઝિન બ્રધર, કે જેનું નામ સિદ્ધાર્થ હતું, એણે હવે આ બંગલોમાં જ સ્થાન જમાવ્યું. એક રાત્રીએ શ્રીદેવીને કમરમાં દુખાવો ઉપડ્યો તેને ક્યાંય ચેન પડતું નહોતું! તેને થયું કે હું શ્રીપાલને બોલાવીને મારી દવા લાવવા નું કહું! આમ વિચારી તે શ્રીપાલ અને સુરેખાનાં રૂમ તરફ આગળ ચાલી રૂમમાંથી ઠઠ્ઠા મશ્કરીનો ખૂબ જ અવાજ આવતો હતો. એને થયું કે પતિ પત્ની બંને જણા રોમાન્સ કરે છે, અને અત્યારે એ લોકોને ડિસ્ટર્બ કરવા એ યોગ્ય નથી, આમ વિચારી તે પાછી ફરતી હતી, ત્યાં તેની નજર ડ્રોઈંગ રૂમના સોફા પર પડી, અને ત્યાં આગળ જોયું તો શ્રીપાલ ત્યાં આગળ ટીવી ચાલું રાખી સુઈ ગયો હતો. શ્રીદેવીને થયું કે શ્રીપાલ અહીંયા છે, તો સુરેખા કોની સાથે…. અને ન ઇચ્છવા છતાં તેના પગલાં સુરેખા અને શ્રીપાલના રૂમ તરફ વળ્યા એ રૂમ નજીક પહોંચી અને તેને કાન સરવા કર્યા તો અંદરથી સુરેખા કહેતી હતી કે મારી બુદ્ધિને તારે ઈનામ આપવું જોઈએ, આ બાળકને શ્રીપાલનું બાળક બનાવી અને 60% સંપત્તિનો મે વારસદાર બનાવી દીધો,બોલ કેવી તીક્ષ્ણ બુદ્ધિ છે મારી! સિદ્ધાર્થ એ કહ્યું કે વાત તો તારી સાચી છે, તલવાર કરતાં પણ તારી બુદ્ધિ તેજ છે અને એટલે જ તું મને ખૂબ જ ગમે છે, આમ કરી તેણે સુરેખા ને પોતાની બાહોમાં લઈ લીધી. સુરેખા એ પણ ખોટેખોટે તેને આઘો કરતાં કહ્યું કે હમણાં જ શ્રીપાલ આવશે, અને સિદ્ધાર્થ બોલ્યો કે શ્રીપાલ ક્યાં મર્દ છે, એટલે કે સાવ માયકાંગલો છે! નહીં તો તને પુછે નહીં કે લગ્ન પહેલા મળ્યા નથી, તો આટલું ઝડપથી બાળક કેમ થયું,? શ્રીદેવીના પગ નીચેથી ધરતી ખસી ગઈ, તેને થયું કે સુરેખાની શરત મુજબ વસિયતનામું બનાવી પોતે બહુ મોટી ભૂલ કરી ગઈ. એને પોતાનું તેમજ શ્રીપાલનું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગ્યું, અને તેને એકદમ ચક્કર આવવાં લાગ્યાં. તેણે પોતાની જાતને બચાવવા માટે ત્યાં પડેલા એક મોટાં ફ્લાવર વાઝનો સહારો લીધો,પણ શ્રીદેવીનુ વજન ફ્લાવર વાઝ ખમી ન શક્યો અને ધડામ દઈને શ્રીદેવી નીચે પડી, તેમજ ફ્લાવર વાઝ પણ પડી ગયું, અને આ અવાજ સાંભળી સુરેખા એકદમ સતર્ક થઈ ગઈ. તે દોડીને રૂમ બહાર આવી,અને એણે જોયું તો શ્રીદેવી ત્યાંથી ઊઠવાની કોશિશ કરતી હતી. તેને તરત જ સમજાઈ ગયું કે શ્રીદેવીએ એને તથા સિદ્ધાર્થને સાથે જોઈ લીધા છે, અને હવે તે મને બદનામ કરશે! ચાલાકીની હદ તો ત્યાં આવી કે એણે શ્રીપાલને કહ્યું કે ભાભી કે જેને હું દીદી કહીને બોલાવું છું, એ મારા કઝિન બ્રધર પાસે ખરાબ ઇરાદો લઈને ગયાં! હું આવા ચરિત્રહીન વ્યક્તિને આ બંગલોમાં રહેવા દેવા માનતી નથી, અને મારું બાળક તો હરગીઝ આપીશ નહીં. આજે ને આજે તે અહીંથી પોતાનો સામાન ઉપાડી અને આઉટ હાઉસમાં રહેશે! જો શરત મંજૂર હોય તો જ હું અહીં રહીશ, નહીં તો હું અહીંથી મારા દિકરાને લઈને ચાલતી પકડીશ. કાચી બુદ્ધિનો શ્રીપાલ સુરેખાની વાતમાં આવી ગયો, અને તેણે શ્રીદેવીને આઉટ હાઉસમાં રહેવાનો આદેશ આપ્યો. સુરેખાએ કહ્યું કે આ તરફ પગલાં પણ હવે તમારે ભરવાના નથી, નહીં તો તમને સાર્થકના સમ છે! સુરેખા એ આમ પોતાની અસલિયત દેખાડી, પરંતુ શ્રીપાલ એ સમજી શક્યો નહીં. સાર્થક ભલે શ્રીપાલનું લોહી નહોતું, પરંતુ શ્રીદેવી એ પોતાના પુત્ર તરીકેની મમતા નું દૂધ પાઈને એણે સાર્થકને ઉછેર્યો હતો. એટલે શ્રીદેવી હવે એ બંગલા તરફ પગલા કેમ કરી શકે!; તો આ છે વિધાતાની વિચિત્રતા કે જ્યાં કોઈ પણ દોષ વગર પણ ઘણીવાર સજા થતી હોય છે.
પરંતુ હજી એવું કંઈક હતું જે શ્રીદેવીને ખબર નહોતી, તો એવું શું છે?? શું એ તમારે પણ જાણવું છે?પણ તો થોડી રાહ જોવી પડશે! વધુ આવતા અંકે! બહુ ઝડપથી, હા તમે વિચારો છો એવું તો નહીં જ હોય!
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)