દિવ્યેશ પટેલ વાંસદા
રામાયણ કાળ સાથે સબંધ ધરાવતું દક્ષિણ ગુજરાતનું પૌરાણિક યાત્રાધામ ઉનાઈ
ઉનાઈ ગામ નવસારી જિલ્લામાં ખુબ જ ખ્યાતિ પામ્યું છે જેનું એક કારણ આદિવાસી સમાજના લોકપ્રિય નેતા તેમજ વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ ઉનાઈના વતની છે. અનંતભાઈ પટેલ આદિવાસી સમાજ માટે સરકાર સામે અનેકવાર અવાજ ઉઠાવવા, વિરોધ પ્રદર્શન કરવા તેમજ ધારણા પ્રદર્શનો કરવા માટે જાણીતા છે. જેના કારણે ઉનાઈ ગામ પણ ન્યુઝ પેપરોમાં તેમજ મીડિયામાં છવાઈલુ રહે છે.
એક એવું પૌરાણિક યાત્રાધામ જ્યાં માતા સીતાના રૂપમાં ઉનાઈ માતાજી જે ઉષ્ણઅંબાજી તરીકે પણ ઓળખાય છે જે બિરાજમાન છે એવું દક્ષિણ ગુજરાતમાં આવેલ એકમાત્ર પવિત્ર યાત્રાધામ એટલે વાંસદા તાલુકાનું ઉનાઈ.
વાંસદા તાલુકાનું નાનકડું ગામ અને દક્ષિણ ગુજરાતનું પવિત્ર અને પૌરાણિક યાત્રાધામ ઉનાઈ જ્યાં માં સીતાના રૂપમાં ઉનાઈ માતાજી બિરાજમાન છે. ઉનાઈ ગામનું નામ પડવા પાછળની દંતકથા પ્રમાણે વનવાસ દરમિયાન પ્રભુ રામજી પોતાના ભાઈ લક્ષ્મણ અને માતા સીતા આ સ્થળ પર આવ્યા ત્યારે માતા સીતાએ સ્નાન કરવાની ઈચ્છા પ્રગટ કરી જેથી પ્રભુ રામે પૃથ્વીના પેટાળમાં તીર મારતા પૃથ્વીના પેટાળમાંથી ગરમ પાણીના ઝરા વહેવા લાગ્યા, જેમાં માતા સીતાએ સ્નાન કરી અને ત્યારબાદ હું નાહી એવા શબ્દનો ઉચ્ચારણ કરતા આ સ્થળનું નામ હું નાહી પડ્યું હતું, જેનું કાળક્રમે અપભ્રંશ થતા આ સ્થળ ઉનાઈ તરીકે પ્રસિદ્ધ થયું. આ સ્થળે માતા સીતાની સ્થાપના થઇ બાદમાં ઉનાઈ માતાજી તરીકે ઓળખાયા જેમને ઉષ્ણઅંબાજી પણ કહેવામાં આવે છે. અહીં આવેલા ગરમ પાણીના ઝરામાં સ્નાન કરવાથી કૃષ્ઠ રોગો (ચામડીના રોગો ) દૂર થવાની લોકમાન્યતા છે. પવિત્ર યાત્રાધામ ઉનાઈ સ્થાનિક આદિવાસીઓનું મોટું અસ્થાનું પ્રતીક છે.
ઉનાઈ અને ખંભાલિયા ગામ ત્રણ જિલ્લાઓની સરહદે આવેલું ગામ છે, જે તાપી, સુરત અને ડાંગ જિલ્લાને અડીને આવેલું નવસારી જિલ્લાનું છેલ્લું ગામ છે. ઉનાઈ અને ખંભાલિયા ગામમાં અનેક ધર્મ- જાતિના લોકો વસવાટ કરે છે જેમાં ધોડિયા, ગામીત, કૂકણા, ઢીમ્મર, મરાઠી, મારવાડી, દેવીપૂજક, ભાવસાર, કાઠીયાવાડી, મુસ્લિમ ધર્મના લોકો રહે છે. જેમાં પરપ્રાંતીય લોકો પણ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. ઉનાઈ અને ખંભાલિયા ગામ મળી લગભગ દસ હજાર જેટલી વસ્તી ધરાવે છે. જેમાં ગામમાં બે ગ્રામ પંચાયતો આવેલી છે જે ઉનાઈ ગ્રામપંચાયત અને ખંભાલિયા ગ્રામ પંચાયત છે. આ ગામની ખાસિયત એ છે કે, ગામના મેઈન બજારના આગળ ભાગે ઉનાઈ અને પાછલા ભાગે ખંભાલિયાની હદ લાગે છે અહીં આરોગ્ય અને રોડ રસ્તા અને પાણીની ખૂબ સરસ વ્યવસ્થા છે. ઉનાઈ- ખંભાલિયા ગામો મકરસંક્રાતિના ભવ્ય મેળાને લઈ ખૂબ પ્રચલિત છે. અહીં દર વર્ષે ભવ્ય મેળાનું આયોજન થાય છે.
હાલમાં ઉનાઈ- ખંભાલિયા ગામમાં યુવાન સરપંચો ચૂંટાઈ આવતા આ વર્ષે મેળાનું ભવ્ય આયોજન કરી ગ્રામપંચાયતને સારી એવી આવક કરી ગામના વિકાસના કાર્યને આગળ ધપાવવાનું કામ કરવામાં આવ્યુ હતું . ઉનાઈ ગામના ક્રિકેટ રમતા યુવાનો માટે ઉનાઈ ખાતે ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલ છે. ઉનાઈ- ખંભાલિયાની પ્રજા એકતા અને ભાઈચારા સાથે અનેક તહેવારોની ઉજવણી કરતા હોય છે. ઉનાઈની આજુબાજુ અનેક દેવસ્થાનો આવેલા છે. જેમાં અંબિકેશ્વર મહાદેવ, ગુસ્માઇમાડી મંદિર, ગાયત્રીમંદિર, તોરણીયા ડુંગર, અજમલ ગઢ જેવા મંદિરો આવેલા છે. ઉનાઈ ગામના ચરવી ફળિયામાં મોટી સંખ્યામાં ઈસાઈ સમુદાઈ પણ વસવાટ કરે છે. તેમજ ચરવી ફળિયામાં કેથલિક ચર્ચ પણ આવ્યું છે જેમાં દર રવિવારે પ્રાર્થનનાનું આયોજન થાય છે.
- ઉનાઈ ગામની શોભામાં અભિવૃદ્ધિ કરતી ઐતિહાસિક વણઝારી વાવ આવેલી છે, જે વર્ષો પહેલા મંદિર પર આવતા શ્રદ્ધાળુઓને ઠંડુ પીવાનું પાણી મળી રહે એ આશયથી બનવવામાં આવી હતી. આ વાવની ખાસિયત છે મંદિરમાં આવેલા ગરમ પાણીના કુંડને કારણે મંદિરની આસપાસ ગરમ પાણી નીકળતું હોય છે પરંતુ વણઝારાઓ દ્વારા બનાવેલી વાવમાં ઠંડુ પાણી નીકળ્યું હતું. જેથી વાવનું મહત્વ ખૂબ વધી ગયું હતું વાવના દર્શન કરવા અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે.
ઉનાઈ ગામમાં પવિત્ર યાત્રાધામ તરીકે દેશ વિદેશમાં ખ્યાતિ પામેલ છે જેથી અહીં આવતા શ્રધ્ધાળુઓને અગવડતા ન પડે એવા તમામ પ્રયાસો અમે કરી રહ્યા છે તેમજ મેળામાં પણ આ વર્ષે સુંદર આયોજન કરી બાર લાખ જેવી રકમની ઉનાઈ ગ્રામપંચાયને આવક થવા પામી છે જે ગામમાં વિકાસના કામોમાં વાપરી ગ્રામજનો માટે સુખ સગવડ સારી મળી રહે એવા અનેક પ્રયાસો કરવામાં આવશે.
– ધવલભાઈ જે. ઢીમ્મર ડેપ્યુટી સરપંચ ઉનાઈ
Ad..