ગયા અંકમાં આપણે જોયું કે સામાન્ય ઘરમાંથી શ્રીધર શેઠને શ્રીદેવીનાં પગલાંથી બંગલો થયો, અને વળી પાછી શ્રીદેવી બંગલામાંથી આઉટ હાઉસમાં આવી ગઈ. વિધાતાની આ વિચિત્રતા છે કે શું છે? એ તેને સમજાતું નહોતું. પરંતુ તેની તમામ ઇન્દ્રિયો અત્યારે મમતાથી મજબૂર હતી, અને સાર્થક સિવાય તેને કંઈ દેખાતું નહોતું! શ્રીદેવી હવે શું ચૂપ રહેશે! કે લીગલી દત્તક લીધેલા સાર્થકને મેળવવા માટે કંઈક કરશે! આ બંગલો અને તેના પતિની પ્રોપર્ટી તેની દેરાણી સુરેખા ચાલ રમીને ઝડપી ગઈ છે, શું તે તેની પાસેથી પાછી મેળવી શકશે? અને આ બધામાં એક એવું સત્ય છે, જે શ્રીદેવી જાણશે ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી જશે! અને તેને પણ એમ થઈ જશે કે આટલી ખરાબ તો મેં સુરેખા ને ધારી જ નહોતી! તો આગળના અંકમાં જોઈએ હવે શ્રીદેવી શું કરે છે તે!
AD.
મર્સિડીઝમાં બેસીને સુરેખા અને તેનો કહેવાતો કઝિન બ્રધર સિદ્ધાર્થ બંને શ્રીદેવીની આંખ સામેથી પસાર થઈ ગયાં બગીચાના ઉજ્જડ છોડને જોઈને, તેને ખૂબ લાગી આવ્યું,પણ પછી મનોમન ફિલોસોફી કરતાં એ બોલી કે મારા જીવનનો છોડ જ બળીને ખાખ થવા જઈ રહ્યો છે! એટલે આટલું બધું કડવું સત્ય હવે મારે સ્વીકારવું જ પડશે, કારણ કે સાર્થકમાં મારા પ્રાણ વસે છે. શ્રીદેવી આઉટ હાઉસમાં પ્રવેશ કરે છે. એને થયું કે સારું થયું કે જ્યારે બંગલોના આઉટ હાઉસ બનાવવાની વાત થઈ, ત્યારે પોતે જ કહ્યું હતું, કે રામુ કાકા આપણાં ઘરની આટલાં વર્ષથી સેવા કરે છે, કારણ કે શ્રીકાંત અને શ્રીપાલના માતા તો એ લોકો બહુ નાના હતા ત્યારે જ અવસાન પામ્યા હતાં, એટલે શ્રીધરાયે રામુકાકાને રાખ્યા હતાં. પુરુષ માણસ એકલું ઘરમાં હોય, એટલે કોઈ સ્ત્રી કામ બાંધવા તૈયાર નહોતી. પરંતુ રામુકાકા પોતે પણ એક વિધૂર હતાં, અને ઉપરથી નિઃસંતાન હતાં, એટલે એમને એવી કોઈ જવાબદારી પણ નહોતી. શ્રીકાંત અને શ્રીપાલમાં જ તેમણે પોતાના સંતાનનો ભાવ રાખી તેમનો ઉછેર કર્યો હતો. એટલે શ્રીદેવીએ બે રૂમ રસોડાનું વ્યવસ્થિત આઉટ હાઉસ બનાવ્યું હતું જેમાં ફ્રીજ ટીવી થી માંડીને તમામ નાની મોટી સગવડતાઓ હતી, બેસવા ને ખુરશી અને સુવા ને પલંગ પણ હતો તેમજ રસોડામાં પણ ગેસ હતો. આમ તો રામુકાકા બંગલોના રસોડામાં જ જમતાં, પરંતુ ક્યારેક કંઈ ખાવા પીવાનું મન થાય એ હિસાબે ગેસ પણ અહીં ગોઠવ્યો હતો. ત્યારે તો એવું ધાર્યું એ નહોતું કે પોતાને અહીં જ રહેવું પડશે!
AD.
શ્રીદેવી એ અંદર આવીને મનમાંથી આ સંતાપ દૂર કરવાં, મનોરંજન માટે ટીવી ચાલુ કર્યું, ગઈકાલે રાત્રે પણ તેણે એક ફિલ્મ જોઈ હતી. ટીવી ચાલું કરી એ ચેનલો બદલતી હતી, પણ એનું મન લાગે એવો કોઈ પ્રોગ્રામ કે ફિલ્મ આવતું ન હતું, છેલ્લીવાર ચેનલ બદલતા જ એણે અભિનેત્રી રેખા ને જોઈ! તો એને થયું કે આ ફિલ્મ સારી હશે એમ કરી એણે ચાલુ રાખ્યું તો, ખૂન ભરી માંગ એ ફિલ્મ પ્રદર્શિત થઈ રહી હતી. ફિલ્મમાં અભિનેતા કબીર બેદીનો અભિનય જોઈ એને ધૃણા થઈ આવી, તેમજ સોનુવાલિયા પ્રત્યે પણ નફરત થઈ ગઈ,અને મનોમન બોલી પણ ખરી કે કેવાં કેવાં માણસો થાય છે! જેને માણસ કહેવું પણ યોગ્ય નથી. રૂપિયા પૈસાના લોભમાં માણસ કેટલો નીચે જઈ શકે છે, શું એની કોઈ સીમા જ નથી? આમ વિચારતી હતી ત્યાં જ એના મગજમાં એક ઝબકારો થયો, અને એને થયું કે શ્રીકાંત તો રોજ સેલ્ફ ડ્રાઇવ કરીને જતાં હતાં, અને આવતા હતાં. આટલા લાંબા સમયથી એમની પાસે મર્સિડીઝ કાર છે, સીટ બેલ્ટ બાંધવાનું એ ક્યારેય ચૂકતા નથી, અને કોઈ દિવસ 80 થી ઉપર ગાડી ચલાવતા નથી, તો પછી એ દિવસે અચાનક એક્સિડન્ટ શું કામ થયો! શું એની પાછળ પણ કોઈનો હાથ છે?; અને હવે સુરેખાની અસલિયત તેની સામે હોવાથી, આ વિચાર પર તેનું મન વધુ ઢાળતું હતું. શ્રીદેવીને થયું કે સુરેખા ગમે તે કરી શકે એમ છે કારણ કે પુરા 50 કરોડની પ્રોપર્ટીની માલિક થવાની લાલસા એના મનમાં બેસી ગઈ હતી, અને શ્રીકાંત હોય ત્યાં સુધી એ શક્ય નહોતું. શ્રીપાલમાં તો એટલી આવડત હતી જ નહીં કે, આટલા રૂપિયા કમાઈ શકે! આ ઉપરાંત શ્રીપાલ સાથે તો તેણે માત્ર આ બધા રુપિયા મેળવવા જ લગ્ન કર્યા હતાં. એટલે શ્રીકાંતનું પણ આ રીતે મર્ડર કરાવી, એને એક્સિડન્ટમાં ખપાવવાની યોજના સુરેખા ના ખતરનાક મગજની નીપજ હોઈ શકે ખરી! એક બાજુ મમતા રોતી હતી, તો બીજી બાજુથી સુહાગન સ્ત્રી પોતાના ભલા ભોળા પતિના અપમૃત્યુ બદલ રડતી હતી. એને થયું કે, ના સુરેખાને આ રીતે માફ ન કરાય! હરગીઝ નહીં! એણે મારા ઘરને ઉજ્જડ કર્યું છે, અને પ્રોપર્ટી માટે નહીં પણ સાર્થક અને શ્રીપાલ બંનેનું જીવન પણ એ બરબાદ કરી શકે તેમ છે. આટલા બધા રૂપિયો પણ તે આવા જ બીજા વ્યાભિચારના માટે વાપરે, તો એ સમાજ માટે પણ ખતરનાક સાબિત થાય! માટે મારે તેને રોકવી જ પડશે. સાર્થક મારા પ્રારબ્ધમા લખાયો હશે, તો મને મળશે! પણ મારા પતિનાં હત્યારાને હું આમ ખુલેઆમ ફરવા દઈ શકું નહીં!
AD.
શ્રીદેવી પોતાના પતિના એક્સિડન્ટનાં સ્થળે જાય છે, અને જુએ છે કે, એક્સિડન્ટની શક્યતા કેટલી હતી? અને મર્ડરની શક્યતા કેટલી હતી? સાવ સીધો રોડ હતો, અને પ્રમાણમાં એટલો ટ્રાફિક પણ અહીં રહેતો નહોતો, એટલે સાવ સમજી શકાય કે એકસીડન્ટની શક્યતા નહિવત હતી. તે ત્યાંથી સીધી જ પોલીસ સ્ટેશને જાય છે, અને પોલીસ ઇન્સ્પેક્ટર હેમંત રાણાને જણાવે છે કે, મને શ્રીકાંત શ્રોફના એક્સિડન્ટ બાબતે શંકા છે, એટલે કે મને એવું લાગે છે કે, મારા પતિનો એક્સિડન્ટ નહીં પણ, મર્ડર કરાયું છે. ઇન્સ્પેક્ટર હેમંત રાણા શ્રીદેવીને પૂછે છે કે, એમ એક મહિના બાદ તમને અચાનક કેમ એમ થયું કે, તમારા પતિનું મર્ડર થયું હશે? શ્રીદેવી તેને આખી વાત સમજાવતા કહે છે કે, મારા જ ઘરમાંથી મને કાઢી મૂકવામાં આવી છે, એટલે અમને બંનેને અમારાં જ ઘરમાંથી આટલા ટૂંકા ગાળામાં કોઈ કાઢે! તો શંકા તો થાય જ ને! એણે હજી પૂરેપૂરું સત્ય એટલે કે સુરેખા આની પાછળ કારણભૂત છે એવું કહ્યું નહીં! કારણકે જાણતી હતી કે સુરેખા પાછળ છુપાઈને વાર કરનાર માંથી છે, એટલે જો સીધું નામ દઈ દઈશ, તો પોતાને પણ મરાવાના ચાન્સ વધી જાય, અને હજી કોઈ ઠોસ સબુત તેની પાસે હતું નહીં, એટલે તે આવા વેરથી બચવા માંગતી હતી. એણે ઇન્સ્પેક્ટર હેમંત રાણાને કહ્યું કે, હવે તો મારી પાસે એટલી પ્રોપર્ટી નથી, પરંતુ હું કોઈ સારા ડિટેક્ટીવને હાયર કરવા માગું છું, કારણ કે મારા પતિએ પાઇપાઇ ભેગી કરી અને ધંધાને અહીં સુધી પહોંચાડ્યો છે,એ હું કેમ એ કરીને કોઈ અન્યનાં હાથમાં જવા દઈ શકું નહીં! હેમંત રાણા શ્રીદેવીને ભરોસો આપતા કહ્યું કે, ડિપાર્ટમેન્ટ પોતાનું કામ પૂર્ણ ઈમાનદારીથી કરશે, અને આપે કહ્યું તેમ જો એક્સિડન્ટ નહીં પણ મર્ડર હશે તો, આ ડીપાર્ટમેન્ટ આરોપીને પૂરેપૂરી સજા કરાવવામાં પણ આપની સાથે રહેશે. મારી સાથે જેને કોલેજકાળથી મિત્રતા છે, એવા સુધીર દત્ત એક બહુ સારા ડિટેક્ટિવ છે, તમે ચાહો તો એની મદદ લઈ શકો છો! પરંતુ ફી વિશે અત્યારથી હું કંઈ કહી શકું નહીં! ગરીબી માંથી ઉપર આવ્યો છે, અને રૂપિયા ને કારણે ઘણા ફટકા ખાધા છે, એટલે એણે જમાનાને ચેલેન્જ કરી છે કે, રૂપિયા તો ભેગા કરીને જ રહીશ! અને આજે રુપિયા નથી એટલે ધુત્કારો છો, કાલ પડવા દ્યો રુપિયાનો ઢગ ન ખડકી દઉં તો મારું નામ બદલી નાખજો! અને પછી તમે બધા મારા જ પગે પડતાં આવશો. એટલે રુપિયા બાબતની વાત તમે એની સાથે જ ડિસ્કસ કરી લેજો. શ્રીદેવીએ કહ્યું કે! એ બાબત આપ નિશ્ચિત રહેજો, પરંતુ મારી શરતે છે કે હું કેસ સોલ્વ થઈ જાય પછી જ પૂરાં રૂપિયા આપી શકીશ, અત્યારે તો બુક કરવા માટે જે એડવાન્સ દેવાતું હોય, એટલું જ આપી શકીશ! ઇન્સ્પેક્ટર હેમંત રાણાનો આભાર માન્યો, અને પ્રાઇવેટ ડિટેક્ટર સુધીર દત્તનો નંબર ઇન્સ્પેક્ટર પાસેથી એણે લીધું. હવે તેને સાંજના 5:00 વાગ્યાની રાહ હતી, કારણ કે એણે ફોન કરીને જાણી લીધું હતું, અને પ્રાઇવેટ ડિટેક્ટર સુધીર દત્ત સાહેબે તેને પાંચ વાગ્યે મળવા આવવાનો સમય બતાવ્યો હતો.
AD.
શ્રીદેવી અતિતને ફંફોસી રહી હતી, કારણ કે ડિટેક્ટર સુધીર દત્ત એ નામ તેના જહેનમા પણ ઘુમરાતુ હતું. એને કોણ જાણે કેટલાય સવાલો કરશે, અને પોતાની શંકાને દ્રઢ બનાવી શકાય, એવી કોઈ ઘટના હોય તો એ જણાવી શકાય. આમ તો કહેવત જેવું જ હતું એટલે કે પુત્રનાં લક્ષણ પારણાંમાં અને વહુનાં લક્ષણ બારણાં માં! એણે યાદ કર્યું કે સુરેખા અને શ્રીપાલનાં લગ્ન થયાં, ત્યારે ઘરમાં ખૂબ જ ખુશીનો માહોલ હતો. શેઠ શ્રીધરરાય પણ જીવતાં હતાં, અને બધાં ભેગાં જ રહેતા હતા. શ્રીદેવીને આપેલા ખાનદાની કંગન જોઈ એકવાર સુરેખાએ કહ્યું હતું દીદી, તમે તો આ કંગન બહુ વાર પહેર્યા, હવે મારો વારો છે. ત્યારે શ્રીદેવી કાઢવાં જતી હતી, પરંતુ શ્રીકાંત અને શ્રીધરશેઠે ના પાડી, અને કહ્યું એની પર તમારો જ હક છે! સુરેખા ને જોઈતા હશે તો આપણે બીજા કંગન અપાવીશું! પરંતુ એણે એ જ કંગનની જીદ કરી હતી, અને તેને કંગન આપવા પડ્યાં હતા,આમ એકપછી એક એણે એની પાસેથી ઘણું લઈ લીધું હતું. ઘણીવાર મર્યાદા ચૂકી ને બોલી હોય એવું પણ બન્યું હતું, એટલે કે બાપુજી અને શ્રીકાંતને તે મોઢામોઢ કહી દેતી હતી,કે પોતાના પતિમાં એટલી આવડત ન હોવાથી શું મારે દબાઈને જીવવાનું છે? આવું તો એ કેટલુંય ઘણીવાર બોલી હતી! આ ઉપરાંત ધંધાની આવક બાબત એણે ક્યારેય શ્રીકાંત ને પુછ્યુ નહોતું, પણ સુરેખા બધું જ જાણી લેતી! અને એકવાર શ્રીકાંત પોતાના જન્મ દિવસ પર રીયલ ડાયમંડનો નેકલેસ લઈ આવ્યાં, ત્યારે તો ઘર માથે લીધું! કે રુપિયા બાપુજીનાં છે, અને એની પર બેય દીકરાનો સમાન અધિકાર છે! મારી માટે આવો જ રીયલ ડાયમંડનો નેકલેસ લાવવો પડશે, નહીં તો હું દીદી નો પણ નહીં રાખવા દઉં! શ્રીકાંત ને એટલાં જ બીજા રૂપિયા ત્યારે સ્પેરમા ન હોવાથી એણે એ નેકલેસ પાછો આપી દીધો હતો. શ્રીદેવી વિચારતી હતી કે આવું તો કેટલુંય નીકળશે, શું કામ ને આ બધું! આમ તો દફનાયેલો ઈતિહાસ કોતરી ને દુઃખી જ થવાનું છે! જે નથી એની માટે થઈને જે છે એને દુઃખી કરવાનાં! શ્રીદેવી ને લાગ્યું એનું મન નબળું પડી જશે એટલે એ ઉભી થઇ, અને બીજા કામમાં પ્રવૃત થઈ ગઈ. એણે મનને ફ્રેશ કરવા કોફી બનાવી,અને એ કોફી પીતી હતી, ત્યાં એની નજર ઘડિયાળ પર પડી, એણે જોયું એમાં સાડા ચાર થયાં છે! એ તરત જ પર્સ લઈને બહાર નીકળી,અને એણે ઓટો રીક્ષા કરી. એ વિચારતી હતી કે મર્સિડીઝમાં ફરવા વાળી પોતે આજ ઓટોરીક્ષામાં ફરે છે, વાહ રે ઈશ્વર !! વાહ રે વિધાતા!! અને ઓટોરીક્ષા ડીટેક્ટિવ સુધીર દત્તની ઓફીસ તરફ ચાલવા લાગી.
AD..
બરાબર પાંચમાં પાંચે શ્રીદેવીની રીક્ષા સુધી દત્તની ઓફિસ સામે ઊભી હતી, એણે રિક્ષાવાળાને ભાડું ચૂકવ્યું, અને તે ડિટેક્ટિવ સુધીર દત્ત સાહેબની ઓફિસમાં પ્રવેશી. રિસેપ્શન પર પોતાનું નામ લખાવી, અને તે બેઠી. અંદાજે 10 મિનિટમાં એનું નામ એનાઉન્સ થયું, અને તે ડિટેક્ટિવ સુધીર દત્ત ચેમ્બરને નોક કરી અને પૂછી રહી હતી,” મે આઈ કમિંગ સર? સુધીર દત્તે પોતાની આંખને ઝીણી કરી અને બંને જણા એક સાથે બોલ્યાં, લે તું!!
શું હશે શ્રીદેવી અને સુધીર દત્ત વચ્ચે સંબંધ? બંને જણા કોલેજકાળમાં સાથે ભણતા હશે? કે પછી સુધીર દત્ત શ્રીદેવી નો એક્સ બોયફ્રેન્ડ હશે? કે કઝીન બ્રધર હશે? કે પછી નેબર હશે? શું સુધીર દત્ત શ્રીદેવીની શંકા ને સત્ય સાબિત કરી શકશે? એટલે કે શ્રીકાંતના હત્યારા ને શોધી શકશે? સુરેખા ને સજા કરાવી શકશે? ઓહોહો કેટલાં પ્રશ્ન! એ બધાના આપ સૌની વિચારશક્તિથી બહાર ના જવાબ જાણવા હજી થોડું થોભો!: આવતા અંકમાં આપ સૌના આ તમામ સવાલોના જવાબ અને હજી કંઈક વધુ ઘેરુ રહસ્ય સુરેખા ના જીવન વિશે નીકળી શકે તેમ છે! શું તમારા લોકોનું પણ એવું જ માનવું છે? શ્રીદેવી કહે છે, શું? શું? શું? ના! ના! ના! સાવ એવું પણ ન હોય….અને ડીટેક્ટિવ સુધીર દત્ત કહે છે કે એવું જ છે! આખરે શું કહેવા માગે છે સુધીર દત્ત? …….
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)