
માઁ ઉષ્ણ અંબા ઉનાઈ માતાજી ના પવિત્ર પટાગણમાં લાભ પાંચમના શુભ પ્રસંગે તા. 26/10/2025થી વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય પ્રફુલભાઈ શુક્લની 886મી શ્રીમદ્દ ભાગવત કથા નો મંગલમય આરંભ થવા જઈ રહ્યો છે. આ કથા GJ દેશી ન્યુઝ અને વોઇસ ઓફ આદિવાસી (મીડિયા પાર્ટનર) દ્વારા આયોજિત છે. આ પવિત્ર પ્રસંગે ઉનાઈ ગામ અને આજુબાજુના આદિવાસી વિસ્તારોમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો છે.
કથા દરરોજ સવારે 9થી 12 વાગ્યા સુધી યોજાશે, જ્યારે સવારે 8 વાગ્યે ગીરીશભાઈ માતા પ્રસાદ જેસ્વાલ પરિવારના નિવાસસ્થાનેથી મંગલમય પોથી યાત્રા નીકળશે. આ યાત્રા ભક્તિ સંગીત અને ધ્વજવંદન સાથે માતાજીના મંદિરે પહોંચશે, જ્યાં દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાશે.
કથા નો મંગલ દીપ પ્રાગટ્ય શ્રી ધવલભાઈ પટેલ (સાંસદ – વલસાડ-ડાંગ), ધર્માચાર્ય શ્રી પરભુદાદા (પ્રગટ પ્રગટેશ્વર ધામ – આછવણી) અને શ્રી તારાચંદ બાપુ (દેવનારાયણ ગૌધામ – મોતા) ના પવિત્ર હસ્તે કરવામાં આવશે. આ પવિત્ર પ્રસંગે પ્રદેશભરના અનેક સંતો, મહંતો અને ભક્તજન ઉપસ્થિત રહેશે.
કથા ના મુખ્ય યજમાન શ્રી મહેશભાઈ બાબુભાઈ પાચીયા (મગદલ્લા – સુરત) રહેશે. સાથે જ નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને ગુજરાત રાધેશ્યામ પરિવારના પ્રમુખ શ્રી અશોકભાઈ ગજેરા દ્વારા સાત દિવસ સુધી શ્રોતાઓ માટે મહાપ્રસાદ (ભોજન) ની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ દિવસે પૂજ્ય પ્રફુલભાઈ શુક્લ દ્વારા આચાર્ય શ્રી કશ્યપભાઈ જાની ને પૂજ્ય પરભુદાદા અને શિવપરિવાર ની હાજરીમાં કથાદિક્ષા અપાશે — જે ધાર્મિક રીતે એક વિશેષ પ્રસંગ બનશે.
કથા ના આચાર્ય તરીકે ઉનાઈ મંદિરના પૂજારી શ્રી રાકેશભાઈ દુબે સેવા આપશે, જ્યારે સમગ્ર આયોજન અને વ્યવસ્થાનો સંભાર શ્રી હરીશભાઈ પરમાર સંભાળી રહ્યા છે. મંદિરે ભક્તોની સુવિધા માટે સુંદર પંડાલ, બેસવાની વ્યવસ્થા, પાર્કિંગ, તથા લાઈવ પ્રસારણ માટે ટેકનિકલ ટીમ કાર્યરત છે.
આ અવસરે ગુજરાત રાજ્યના નવ નિયુક્ત કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ નું ગુજરાત રાધેશ્યામ પરિવાર દ્વારા વિશેષ સન્માન પણ કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ માત્ર ધાર્મિક જ નહીં, પણ આદિવાસી સમાજના સાંસ્કૃતિક ગૌરવ અને ભક્તિની એકતા નો ઉત્સવ પણ બની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે માઁ ઉષ્ણ અંબા ઉનાઈ માતાના સાનિધ્યમાં પ્રફુલભાઈ શુક્લ પાચમી વાર ભાગવત કથા કરી રહ્યા છે. અનેક ભક્તો માટે આ એક અનોખો આશીર્વાદમય અવસર ગણાય છે.
વોઇસ ઓફ આદિવાસી ના એડિટર શૈલેષભાઈ પટેલ એ જણાવ્યું કે, “ઘણા વર્ષો બાદ આપણી આદિવાસી ધરતી પર પૂજ્ય પ્રફુલભાઈ શુક્લની કથા યોજાઈ રહી છે. તેથી સૌ ભક્તોને વિનંતી છે કે આ દિવ્ય કથાનો લાભ જરૂર લેવો.”
આ કથાનો લાઈવ પ્રસારણ દરરોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી GJ દેશી ન્યુઝ – જિયો ટીવી ચેનલ નં. 4079 પર થશે, જેથી રાજ્યભરના ભક્તો પણ ઘેર બેસી આ કથાનો આનંદ લઈ શકે.
માઁ ઉષ્ણ અંબા ના આ આશીર્વાદમય પ્રસંગે ભક્તિ, સંગીત અને આધ્યાત્મિકતાથી ઓતપ્રોત આદિવાસી ભૂમિ ભક્તિરસથી ઝળહળતી થઈ ઉઠશે —
“ભાગવત એ ફક્ત કથા નથી, એ તો આત્માનો ઉત્સવ છે.”