
કપરાડા તાલુકે આજે જનજાતિ ગૌરવ અને રાષ્ટ્રીય સંકલ્પના ભાવથી રંગાઈ ઉઠ્યો, કારણ કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી ભવ્ય સ્તરે યોજાઈ. નાનાપોઢા બિરસા સર્કલ ખાતે બિરસાજીની પ્રતિમાની વિધિપૂર્ણ પૂજનવિધિ કરવામાં આવી, જેમાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં જનજાતિ સમાજના ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.

ઉજવણીની શરૂઆત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડેડીયાપાડામાં યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના જનજાતિય ગૌરવ કાર્યક્રમના લાઇવ પ્રસારણથી થઈ. કપરાડાના સૈંકડો લોકો એ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમ નિહાળી વડાપ્રધાનના સંદેશાને શ્રદ્ધાપૂર્વક સ્વીકાર્યો.

કાર્યક્રમમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા સાહેબે બિરસા મુંડા ના ક્રાંતિકારી જીવનને યાદ કરતાં જણાવ્યું કે બિરસાજી માત્ર આદિવાસી સમાજના નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રના સ્વાભિમાન અને અસ્મિતાના પ્રતિક હતા. બ્રિટિશ શોષણ સામેની તેમની લડત દેશના સ્વાતંત્ર્ય આંદોલનનો મહત્વનો અધ્યાય છે.

ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ બિરસાજીના જીવન સંદેશ પર પ્રકાશ પાડતાં કહ્યું કે 15 નવેમ્બર 1875ે જન્મેલા બિરસા મુંડા કુદરત, જંગલો અને આદિવાસી પરંપરાઓના સાચા રક્ષક હતા. “અમારા વિસ્તારની કુદરતી અને સાંસ્કૃતિક વારસાને સાચવી શકાય ત્યારે જ બિરસાજીના આદર્શોને સાચી શ્રદ્ધાંજલિ આપી શકાશે,” તેમ તેમણે જણાવ્યું.

કાર્યક્રમમાં જનજાતિ સમાજના અનેક મહિલા મંડળો, યુવા સંગઠનો અને સ્થાનિક આગેવાનો જોડાયા. ‘જય જોહાર’ના ઉલ્લાસભેર નાદ સાથે સમગ્ર કપરાડા વિસ્તાર બિરસા મુંડાના અમર યોગદાન અને આદિવાસી ગૌરવથી ગુંજી ઉઠ્યો.