
વલસાડ જિલ્લાના નાનાપોઢા ગામના પટેલ ફળિયા વિસ્તારમાં એક અજગર જોવા મળતા ગ્રામજનોમાં અચાનક ભયનો માહોલ સર્જાયો હતો. જગદીશભાઈના ઘરની પાછળના ભાગે આ અજગર ઘૂસી આવતાં ગામલોકો ભેગા થઈ ગયા. પરંતુ સૌને આશ્ચર્ય થયો જ્યારે વાઇલ્ડ વેલ્ફેર ફાઉન્ડેશન, નવસારીના જીવદયા કાર્યકર અને વોલેન્ટિયર ગોરંગ પટેલ સ્થળ પર પહોંચી અને સંપૂર્ણ સાવચેતી પૂર્વક અજગરને જીવંત રીતે પકડી લીધો.

ગોરંગ પટેલે કહ્યું કે, “પ્રત્યેક જીવમાં ભગવાન વસે છે. જંગલી પ્રાણી હોય કે પક્ષી, તેમને ઈજા કર્યા વિના સુરક્ષિત રીતે બચાવવું એ આપણી માનવીય ફરજ છે.” તેમણે અજગરને પકડીને વન વિભાગના અધિકારીઓને સુપ્રત કર્યો હતો જેથી તે પ્રાણી પોતાનાં કુદરતી નિવાસ સ્થાને પરત જઈ શકે.
વન વિભાગના કર્મચારીઓએ પણ ગોરંગ પટેલના જીવદયા કાર્યની પ્રશંસા કરી હતી. ગ્રામજનો દ્વારા પણ ગોરંગ પટેલને અભિનંદન આપવામાં આવ્યા હતા કે જેમણે ભય અને અફરાતફરી વચ્ચે પણ ધીરજ રાખીને માનવતા અને દયાનો ઉત્તમ દાખલો પુરો પાડ્યો.
આ ઘટનાથી ફરી એકવાર સ્પષ્ટ થાય છે કે ગામડાંના યુવાનોમાં પણ જીવદયા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધી રહી છે. આવા સેવાભાવી યુવાનો સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.