
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ
અને રાજ્યસભાના સભ્ય પીટી ઉષાના પતિ વી
શ્રીનિવાસનનું અચાનક નિધન થયું છે. પરિવારના
સૂત્રોના જણાવ્યા અનુસાર, વી. શ્રીનિવાસનનું
30 જાન્યુઆરીની સવારે નિધન થયું હતું.
તેઓ 67 વર્ષના હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે
શ્રીનિવાસન શુક્રવારે સવારે તેમના નિવાસસ્થાને
બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક
નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા,
પરંતુ તેમને બચાવી શકાયા નહીં. આ દુઃખના
સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીટી ઉષા
સાથે ફોન પર વાત કરીને દુખ વ્યક્ત કર્યું છે.
કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ કર્મચારી શ્રીનિવાસને
હંમેશા ઉષાને તેમની શાનદાર રમતગમત અને
રાજકીય કારકિર્દી દરમિયાન ટેકો આપ્યો હતો.
તેમને ઉષાનો સૌથી મજબૂત ટેકો અને તેમની
ઘણી સિદ્ધિઓ પાછળનું પ્રેરક બળ માનવામાં
આવતું હતું. આ કપલને ઉજ્જવલ નામનો એક
પુત્ર છે.
શ્રીનિવાસનના અચાનક નિધનથી દેશભરના
રમતગમત અને રાજકીય વર્તુળોમાં શોકની લહેર
ફેલાઈ ગઈ છે. ઘટના સમયે, ઉષા ચાલુ સંસદ
સત્રમાં હાજરી આપવા માટે નવી દિલ્હીમાં હતી.તે પોતાના વતન પરત ફરી રહી છે અને ટૂંક
સમયમાં પહોંચશે.




