
સાઉથ આફ્રિકાના કેપ ટાઉન સ્થિત રાધા કૃષ્ણ મંદિર ખાતે ચાલી રહેલી વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લ ની 891મી શ્રીમદ ભાગવત કથામાં આજે આધ્યાત્મિક ઊંડાણથી ભરપૂર જીવન અને શિવના સંબંધ વિષય પર વિશેષ પ્રવચન રજૂ કરવામાં આવ્યું હતું. કથાના પ્રવાહમાં પૂજ્ય બાપુએ જીવનદર્શનના મૂળ તત્વને સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, “જીવનમાં આપણું ધારેલું થાય તો તેને પ્રભુની કૃપા સમજવી અને જો ધારેલું ના થાય તો તે પણ પ્રભુની ઈચ્છા માની સ્વીકારી લેવું.” આ વિચારધારા જીવનમાં સ્થિરતા અને શાંતિ લાવે છે.
પ્રફુલભાઈએ આગળ જણાવ્યું કે જો આ તત્વજ્ઞાન હૃદયથી સ્વીકારી લેવામાં આવે તો માનવજીવનમાં આવતી મુશ્કેલીઓ અને સંકટો પણ હળવા લાગવા લાગે છે અને વ્યક્તિ દુઃખમાં પણ સુખનો અનુભવ કરી શકે છે. ભગવાન સાથે તનમય થવાનું શ્રેષ્ઠ સાધન શ્રીમદ ભાગવત છે, જે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો અનોખો સંગમ છે.
આ પ્રસંગે દર્શનભાઈ જેરામભાઈ પટેલ, ઉર્મિલાબેન જેરામભાઈ, દેવીબેન મોહનભાઈ, કેપ હિન્દુ કલ્ચર સોસાયટીના નીરુબેન મકન, ચેરમેન સંજયભાઈ ભગવાકર તેમજ જયાબેન ભરતભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા પોથીજીનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. સમારંભમાં કેપ હિન્દુ કલ્ચર સોસાયટીની મૈત્રીબહેને ભારતથી પધારેલા પ્રફુલભાઈ શુક્લ, મુકેશભાઈ જાની (મોટા ખૂટવાડા) અને પ્રતીક પટેલનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
મંદિરના પૂજારી ગુરુકૃષ્ણ દ્વારા આરતી અને પૂજા વિધિ કરાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. સાઉથ આફ્રિકાની ધરતી પર ગાયત્રી મંત્રના ગુંજતા સ્વરોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. ભક્તોએ ભક્તિભાવથી કથાનું શ્રવણ કરીને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.
કથાના અંતે પ્રફુલભાઈ શુક્લે નવી પેઢીના યુવાઓને “નવું ભારત”નું દર્શન કરાવતા સંસ્કાર અને સંસ્કૃતિને જાળવવાની પ્રેરણા આપી હતી. તેમણે નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં શ્રી રામલલાના ભવ્ય મંદિર નિર્માણ માટે કરાયેલા પ્રયત્નો બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે સવા પાંચસો વર્ષના લાંબા સંઘર્ષ પછી ભગવાન શ્રીરામનું પુનઃસ્થાપન સમગ્ર હિન્દુ સમાજ માટે ગૌરવનો વિષય છે.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન હિન્દુ સનાતન ધર્મના જયઘોષ સાથે ભક્તિ અને આધ્યાત્મિકતાનો મહોલ સર્જાયો હતો. કેપ ટાઉનમાં યોજાતી આ ભાગવત કથા વિદેશી ભૂમિ પર ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાની ઝલક પ્રગટાવી રહી છે.






