વલસાડ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા છીપવાડમાં યોજાયેલા આયુષ મેળોનો ૭૨૬૮ લોકોએ લાભ લીધો
આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, અગ્નિકર્મ, મર્મ ચિકિત્સા અને પંચકર્મ ચિકિત્સા સહિતનો લોકોએ લાભ મેળવ્યો
સ્વાદિષ્ટ અને તંદુરસ્ત રાખે એવી આયુર્વેદીક વાનગી સ્પર્ધા, તંદુરસ્ત બાળ સ્પર્ધા આઇસીડીએસ વિભાગ દ્વારા રાખવામાં આવી હતી. આયુર્વેદ યોગ અને પર્યાવરણ બચાવો થીમ પર ચિત્રકામ સ્પર્ધાનું આયોજન પણ કરાયુ હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા શ્રી શહેરના છીપવાડ ખાતે કૃષ્ણ પ્રણામી જૂના મંદિરના પ્રાંગણમાં ચોથા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ૭૨૬૮ લોકોએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન એચ. શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કૃષ્ણ પ્રણામી જૂના મંદિરના પ્રમુખ રાજેશભાઈ મોદી, વલસાડ વેપારી એસોસીએશનના અધ્યક્ષ સમીરભાઈ મપારા, આઈસીડીએસના મુખ્ય સેવિકા સુમિત્રાબેન પટેલ, કૃષ્ણ પ્રણામી જૂના મંદિરના સર્વ ટ્રસ્ટીઓ હિતેશભાઈ ભાવસાર, કિશોરભાઈ કાપડિયા અને રાજશ્યામભાઈ ભગતે હાજરી આપી હતી. આ ઉપરાંત મહિલા પતંજલિ યોગ સમિતિના યોગા કો-ઓર્ડીનેટર અને યોગ રત્નથી સન્માનિત તનુજા આર્યા અને પતંજલિ યોગ સમિતિના તાલુકા પ્રભારી દક્ષાબેન રાઠોડે હાજરી આપી હતી. આયુષ મેળાની શરૂઆત ધનવંતરી પૂજન કરી થઈ હતી. મુખ્ય કન્યાશાળા છીપવાડની બાળાઓ દ્વારા અતિથિઓનું પ્રાર્થના અને સ્વાગત ગીત દ્વારા સ્વાગત અને સત્કાર કરવામાં આવ્યું હતું.
જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય મનહરભાઈ ચૌધરી દ્વારા આયુષની વિશિષ્ટ કામગીરી અને માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત હોમિયોપેથી અને યોગ વિશે પણ જાહેર જનતાને માહિતગાર કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાનશ્રીઓ દ્વારા પણ આયુષને અપનાવવા આહવાન કરાયું હતું. આયુષ મેળામાં આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, અગ્નિકર્મ, મર્મ ચિકિત્સા, પંચકર્મ ચિકિત્સા, આયુષ પ્રદર્શનની,વાનગી પ્રદર્શન વનસ્પતિ પ્રદર્શન રસોડાની ઔષધી પ્રદર્શન દિનચર્યા, ઋતુચર્યા, યોગનિદર્શન, પ્રકૃતિ પરીક્ષણ, પુસ્તક પ્રદર્શન તેમજ આયુર્વેદિક ઉકાળા વિતરણ અને આર્સેનિકા આલ્બમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં આયુર્વેદિક સેલ્ફી પોઇન્ટ પણ નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સાથે જ યોગનું કલાત્મક નિદર્શન પણ પતંજલિ યોગ શિક્ષકો દ્વારા કરાયું હતું. આ ઉપરાંત સ્વાદિષ્ટ અને તંદુરસ્ત રાખે એવી આયુર્વેદીક વાનગી સ્પર્ધા, તંદુરસ્ત બાળ સ્પર્ધા આઇસીડીએસ વિભાગ દ્વારા રાખવામાં આવી હતી. આયુર્વેદ યોગ અને પર્યાવરણ બચાવો થીમ પર ચિત્રકામ સ્પર્ધાનું આયોજન પણ કરાયુ હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન વૈદ્ય દિવ્યા સોલંકીએ કર્યુ હતુ. આભારવિધિ તથા ચિત્રકામ સ્પર્ધાનું સંચાલન વૈદ્ય સ્વાતિ પંચાલે કરી હતી. કેમ્પને સફળ બનાવવા માટે વૈદ્ય ધર્મિષ્ઠા પટેલ, વૈદ્ય હેમિલ પટેલ, ડૉ. કેતન વ્યાસ તેમજ ટીમ આયુષ વલસાડે ખુબ જ જહેમત ઉઠાવી હતી.
Ad..