નબીરાઓની સાન ઠેકાણે લાવવા પોલીસ મેદાને, યુવકે જ્યાં અકસ્માત સર્જ્યો હતો ત્યાં જ લાવીને પાઠ ભણાવ્યો
ગુજરાતમાં તથ્ય પટેલ જેવા કેટલાય નબીરા રોજ ગાડી લઈને રસ્તા પર ફરે છે. જેઓ દારૂ પીને કે સ્પીડમાં ગાડી ચલાવીને અકસ્માત સર્જે છે. ધનાઢ્ય પરિવારોના નબીરાઓ માટે કોઈના જીવ સાથે ખેલવું સરળ બની ગયું છે. ત્યારે હવે આવા નબીરાઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. ત્યારે સોમવારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં દારૂ પીને અકસ્માત સર્જનારા આરોપીની પોલીસે જાહેરમાં સરભરા કરી હતી.
મણિનગરમાં દારૂ પીને અકસ્માત સર્જનારને પોલીસે જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો.
ગુજરાતના નબીરાઓની શાન ઠેકાણે લાવવા હવે ગુજરાત પોલીસ મેદાને આવી છે. કાયદો હાથમાં લેનારા નબીરાઓ હવે સાવધાન થઈ જાઓ. કારણ કે, પોલીસ હવે આવા નબીરાઓ પર કહેર વરસાવી રહી છે. ગઈકાલે અમદાવાદના મણિનગર વિસ્તારમા કેદાર દવે નામના યુવકે દારૂ પીને અકસ્માત સર્જ્યો હતો. કેદાર દવેએ પૂરઝડપે કાર ચલાવીને કારને ઝાડના થડ સાથે અથડાવી હતી અને કાર પલટી ખાઈ ગઈ હતી. લોકોએ તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. બિયર પીને કાર હંકારતા શખ્સની કાર બેકાબૂ બની હતી અને અકસ્માત સર્જ્યો હતો. કારચાલકે પૂર ઝડપે કાર હંકારતા ઝાડના થડ સાથે ગાડી અથડાઈ હતી અને કાર પલ્ટી મારી ગઈ હતી. જોકે, વૃક્ષને કારણે બાંકડા ઉપર બેસેલા લોકોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ સ્થાનિકોએ 100 નંબર ડાયલ કરી કાર ચાલકને પોલીસ હવાલે કર્યો હતો. મણિનગર વિસ્તારમાં નશાની હાલતમાં કાર એકસીડન્ટ કરનાર સામે ગુનો નોંધાયો છે.
ત્યારે આજે આરોપી ડ્રાઈવર કેદાર દવેની પોલીસે જાહેરમાં સરભરા કરી હતી. અમદાવાદના મણિનગરમાં અકસ્માતના આરોપીને પોલીસે પાઠ ભણાવ્યો છે. આરોપી કેદાર દવે અને તેના મિત્રોએ જે જગ્યાએ અકસ્માત સર્જયો હતો, પોલીસે તે જ જગ્યા પર બંનેને લાવીને જાહેરમાં માર માર્યો છે.
હાલ અમદાવાદ પોલીસનો કેદાર દવે અને તેના મિત્રોને માર મારતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક પોલીસકર્મી નબીરાને પકડી રાખે છે, જ્યારે અન્ય એક પોલીસકર્મી તેના પર ડંડાવાળી કરે છે. આ દરમિયાન યુવકો કગરતા જોવા મળી રહ્યા છે. સાહેબ બહુ દુખે છે… બહુ જ દુખે છે… તેવુ આરોપીઓ કહી રહ્યા છે છતા પોલીસ તેમને ફટકારી રહી છે.
આમ, અમદાવાદ પોલીસ કારચાલક સહિત કારમાં બેઠેલા તમામ લોકોને જાહેરમાં પાઠ ભણાવ્યા છે. અમદાવાદ પોલીસ બતાવવા માંગે છે કે, જો હવે અમદાવાદમાં ટ્રાફિકના નિયમો ભંગ કર્યા તો ખેર નથી.
કેદારને દારૂ આપનાર સામે કેસ થશે
મણિનગર અકસ્માત કેસમાં પોલીસે મોટું એક્શન લીધું છે. કેદાર દવેએ જેની પાસેથી દારૂ મંગાવ્યો હતો તે વ્યક્તિ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. નબીરા કેદાર દવેએ દારૂની પરમીટ ધરાવતા જયશીલ રાઠોડ નામના વ્યક્તિ પાસેથી દારૂ મંગાવ્યો હતો. નબીરાએ જયશીલ રાઠોડને 10 હજાર રૂપિયા આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. મણીનગર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, 23 જુલાઈની રાત્રે નશામાં ધૂત નબીરાએ બેફામ કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બાંકડા પર બેઠેલા ત્રણ લોકોના જીવ માંડ-માંડ બચ્યા હતા.
Ad..