
ધર્મ અને ભક્તિ : આચાર્ય ચાણક્યે પોતાના નીતિ શાસ્ત્રમાં અનેક મહત્વપૂર્ણ સંદેશ સમાજને આપ્યા છે. ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) આજે પણ એટલા જ પ્રાસંગિક છે. ચાણક્યે ધનના રોકાણથી માંડીને સન્માન મેળવવા સુધીના અનેક રસ્તાઓ નીતિશાસ્ત્રમાં જણાવ્યા છે.
કોણ હતા આચાર્ય ચાણક્ય?
આચાર્ય ચાણક્ય (Acharya Chanakya) કેવળ એક મહાન શિક્ષક અને રાજનીતિજ્ઞ જ ન હતા, પરંતુ આજથી હજારો વર્ષ અગાઉ તેમણે જે નીતિઓ બનાવી હતી તે આજે પણ એટલી જ પ્રાસંગિક છે.
એમણે પોતાની ચાણક્ય નીતિમાં જીવન સાથે સંકળાયેલા એવા કેટલાય સિદ્ધાંતો દર્શાવ્યા છે, જેમને અપનાવીને કોઈ પણ વ્યક્તિ સફળતાની ઊંચાઇઓને સ્પર્શી શકે છે.

ચાણક્ય (Chanakya) પ્રાચીન ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિના પ્રકાંડ પંડિત હતા. ઇ.સ. પૂર્વે 371-283 ના સમયગાળા દરમિયાન, મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ એવા ચંદ્રગુપ્ત મૌર્ય (Chandragupta Maurya)ના તેઓ ગુરુ અને મુખ્યમંત્રી રહ્યાં હતા. તેમણે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય સલાહકાર તરીકે કાર્ય કરીને તેમને રાજા બનાવવામાં સહાયતા કરી હતી. મૌર્ય સામ્રાજ્ય (Maurya Empire)ની સ્થાપનામાં એમની ભૂમિકા અવિસ્મરણીય છે. તેઓ કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત (Kautilya or Vishnugupta)ના નામથી પણ પ્રસિદ્ધ છે.
કૌટિલ્ય ચાણક્ય ‘અર્થશાસ્ત્ર’ અને ‘નીતિશાસ્ત્ર’ના રચયિતા
ચાણક્યે ‘અર્થશાસ્ત્ર’ (Arthashastra) નામના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથની રચના કરીને રાજ્ય કેવી રીતે ચલાવવું તેની નીતિઓ અંગે એમા સવિસ્તાર માર્ગદર્શન આપ્યું જે આજના સમયમાં પણ રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયુક્ત છે. તેમણે ‘નીતિશાસ્ત્ર’ (Nitishastra) જેવા મહાન ગ્રંથોની પણ રચના કરી, જેમાં જીવન શી રીતે જીવવું એની શિક્ષા અને ચાણક્ય નીતિસૂત્રો સામેલ છે. આજના અર્વાચીન સમયમાં પણ એ એટલા જ સુસંગત છે.
ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) અપનાવી મેળવો સન્માન અને ધન
ચાણક્યનીતિ અનુસાર, આજે અહિં તમને એવા માર્ગ જણાવીશું કે, ક્યાં ધન આપવું શુભ હોય છે અને એનાથી જીવનમાં શુભત્વ પ્રાપ્ત થાય છે. આ સ્થાન પર ધન આપવાથી તમને આર્થિક લાભ મળે છે અને સાથોસાથ સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ પણ થાય છે.

બાળકોના શિક્ષણ પર ધન ખર્ચો
ચાણક્યના જણાવ્યાનુસાર, બાળકોના શિક્ષણ (Education) પર ધન ખર્ચવાથી ક્યારેય કતરાવું જોઇએ નહિં! તમારા બાળકોના શિક્ષણ પર તમે ધન ખર્ચ કરો એ ઉપરાંત, સમાજના એવા બાળકોના શિક્ષણ માટે પણ તમારે ધન ફાળવવું જોઇએ જે આર્થિક રીતે સંપન્ન ન હોય! બાળકોના શિક્ષણ પર લગાવેલું ધન હંમેશા તમારા માટે લાભદાયી સાબિત થાય છે. સારું શિક્ષણ પ્રાપ્ત કરનારા બાળકો પરિવાર અને સમાજનું કલ્યાણ કરે છે. વળી, જે લોકો બાળકોના શિક્ષણ પર ધન ખર્ચ કરવામાં કંજૂસાઇ કરે છે એમને ભવિષ્યમાં વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.

નિ:સહાય લોકોની મદદ કરો
ધનનો ઉચિત ઉપયોગ કરીને તમારે નિ:સહાય અને આર્થિક રીતે નબળા લોકોની મદદ કરવી જાઇએ. ચાણક્ય નીતિમાં તો આને એક ઉત્તમ કર્મ માનવામાં આવે છે. અને આ ધાર્મિક રીતે પણ અત્યંત શુભ ગણાય છે. નબળા લોકોને ધનનું દાન (Dhan Daan) કરવાથી તમે સારું કર્મ કરો છો અને જેના પરિણામે તમને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. વળી, તમારા દ્વારા કરવામાં આવેલું શુભ કાર્ય ક્યારેક ને ક્યારેક તમારી પાસે લાભ સહિત પાછું આવશે.
બીમાર લોકોની મદદ
ચાણક્ય નીતિ અનુસાર, કોઇ બીમાર વ્યક્તિ (Sick Person)ને જો ક્યારેય પણ ધનની આવશ્યકતા હોય અને તમારી પાસે પર્યાપ્ત ધન હોય તો તમારે કોઇ બીમારની મદદ કરવાથી ક્યારેય સંકોચ કરવો જોઇએ નહિં! બીમાર વ્યક્તિ પર કરવામાં આવેલો ઉપકાર તમને પણ માનસિક રીતે સંતુષ્ટિ પ્રદાન કરશે અને સાથોસાથ જીંદગીમાં એ વ્યક્તિ ક્યારેક ને ક્યારેક તમારા કામમાં સાથે ઊભો રહી શકે છે. બામાર વ્યક્તિની સહાયતા કરવાથી તમને માન-સન્માનની પ્રાપ્તિ થશે અને એ ઉપરાંત, ઈશ્વરના આશીર્વાદથી તમને ધન-ધાન્યની પ્રાપ્તિ થઇ શકે છે.

સમાજ સેવામાં ધન વાપરો
સમાજ સેવા માટે ધનનો સદુપયોગ કરવાથી તમને પણ માનસિક શાંતિ (Mental Peace) મળી શકે છે. સમાજ સેવામાં રોકાયેલું ધન કોઇ ને કોઇ રુપમાં ભવિષ્યમાં તમને લાભ પહોંચાડી શકે છે. આથી જ આચાર્ય ચાણક્ય કમાણીનો અમુક ભાગ સમાજ સેવામાં રોકવાની સલાહ આપે છે.






