
કપરાડા તાલુકાના નારવડ ગામે અખાત્રીજના પવિત્ર દિવસે આદિવાસી પરંપરાને ઉજાગર કરતા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ધાન્યથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ગામમાં આ પ્રસંગે ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ સર્જાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક હોવાથી અખાત્રીજને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. આ દિવસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પરંપરાગત રીતે પૂજનવિધિ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ખેતીમાં પાક કેવો રહેશે તે અંગેનું અનુમાન પણ આ દિવસે કરવામાં આવે છે.
નારવડ ગામે મહિલાઓ દ્વારા વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધાન્ય ઉગાડીને તેમાં વિવિધ પાકોના બીજ વાવવામાં આવ્યા હતા. આ બીજોના ઉછેર અને વૃદ્ધિ પરથી આવનારા વર્ષના પાક વિશે અનુમાન કરવામાં આવે છે, જે આદિવાસી પરંપરાનો મહત્વનો ભાગ છે.
આ સાથે કપરાડા વિધાનસભા વિસ્તાર (181)માં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી–2026ને લઈને જનસંપર્ક અભિયાન પણ સક્રિય બન્યું છે. સીલધા જિલ્લા પંચાયત સીટ તેમજ નારવડ તાલુકા પંચાયત સીટ માટે રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની રહી છે.
આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ આદિવાસી સમાજની પરંપરાગત અખાત્રીજ પૂજા માટે ખાસ કરીને મહિલાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવી પરંપરાઓ આપણા સંસ્કૃતિના આધારસ્તંભ છે અને તેને જાળવવી સૌની જવાબદારી છે.






