
વલસાડ શહેરના રાજનગર વિસ્તારમાં છેલ્લા છ વર્ષથી નિયમિત રીતે ચાલી રહેલા નિશુલ્ક યોગ ક્લાસમાં રવિવાર તા. 29 માર્ચ 2026ના રોજ યોગ વિષયક લેખિત પરીક્ષા યોજાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગરના માર્ગદર્શન અને સૂચના હેઠળ આયોજિત આ પરીક્ષામાં મોટી સંખ્યામાં યોગ સાધક ભાઈ-બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ પ્રસંગે સમગ્ર યોગ ક્લાસમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગરના દક્ષિણ વિભાગના ઝોન કોર્ડિનેટર પ્રીતિબેન પાંડે તેમજ વલસાડ જિલ્લાના જિલ્લા કોર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ નિવૃત્ત આસિસ્ટન્ટ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તથા હાલ વલસાડ જિલ્લાના યોગ ટ્રેનર તરીકે સેવા આપી રહેલા કાંતિલાલ મગનલાલ ઠાકોર છેલ્લા છ વર્ષથી યોગ સેવા કાર્ય સાથે જોડાયેલા છે. તેઓ વલસાડ શહેરના રાજનગર વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં પોતાના ખાનગી માલિકીના પ્લોટ નંબર–15 પર દરરોજ સવારે 5:45થી 7:15 વાગ્યા સુધી નિયમિત રીતે નિશુલ્ક યોગ ક્લાસ ચલાવી રહ્યા છે.

કાંતિલાલ ઠાકોર દ્વારા ચલાવવામાં આવતો આ યોગ ક્લાસ માત્ર શારીરિક આરોગ્ય પૂરતો સીમિત નથી, પરંતુ યોગ દ્વારા લોકોમાં સ્વસ્થ જીવનશૈલી, માનસિક શાંતિ અને નિયમિત જીવન જીવવાની પ્રેરણા પણ આપવામાં આ

વે છે. છેલ્લા છ વર્ષથી અનેક લોકો આ યોગ ક્લાસ સાથે જોડાઈ સ્વાસ્થ્યલાભ લઈ રહ્યા છે. ખાસ કરીને યુવાનો, મધ્યવયના લોકો તેમજ બહેનોમાં યોગ પ્રત્યે વધુ રસ જોવા મળી રહ્યો છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ અભ્યાસ માટે ‘દૈનિક યોગ અભ્યાસક્રમ – ભાગ 1’ તથા ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ જેવી પુસ્તકો આપવામાં આવી હતી. કાંતિલાલ ઠાકોરે આ બંને પુસ્તકોની પ્રિન્ટ કાઢી યોગ ક્લાસમાં આવતા તમામ સાધક ભાઈ-બહેનોને અભ્યાસ માટે વિતરણ કરી હતી. ત્યારબાદ છેલ્લા ચાર મહિનાથી આ પુસ્તકોના આધારે યોગ ક્લાસ દરમિયાન થોડો-થોડો અભ્યાસ પણ નિયમિત રીતે કરાવવામાં આવી રહ્યો હતો. યોગ વિષયક માહિતી, યોગાસનોના લાભો, આરોગ્ય જાળવવાની પદ્ધતિઓ અને નિયમિત જીવનશૈલી અંગે સાધકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અભ્યાસને વધુ મજબૂત બનાવવા માટે યોગ ટ્રેનર કાંતિલાલ ઠાકોર દ્વારા યોગ વિષયક લેખિત પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ માટે તેમણે બંને પુસ્તકોના આધારે 30 પ્રશ્નોનું પ્રશ્નપત્ર તૈયાર કરાવ્યું હતું. દરેક પ્રશ્ન માટે ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા હતા અને તેમાં સાચો જવાબ પસંદ કરીને તેના સામે ખરા (✓) ની નિશાની કરવાની સૂચના આપવામાં આવી હતી. આ પરીક્ષા 30 ગુણની રાખવામાં આવી હતી, જેથી સાધકોના અભ્યાસનું મૂલ્યાંકન થઈ શકે.
રવિવાર તા. 29 માર્ચ 2026ના રોજ સવારે યોગ ક્લાસ દરમિયાન આ લેખિત પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં અને નિયમિત પદ્ધતિથી લેવામાં આવી હતી. પરીક્ષા સફળતાપૂર્વક યોજવામાં યોગ ટ્રેનર જયાદેવી પરદેશી, વિધિ ઠાકોર અને સલોની પટેલે ખૂબ જ નિષ્ઠાપૂર્વક સહયોગ આપ્યો હતો. તેમણે પ્રશ્નપત્રનું વિતરણ, જવાબપત્રો એકત્રિત કરવી તેમજ પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પરીક્ષા પૂર્ણ થયા બાદ તેના પરિણામની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી. કાંતિલાલ ઠાકોર દ્વારા પરીક્ષાના જવાબપત્રો ચકાસી તેનું પરિણામ બીજા દિવસે યોગ ક્લાસ દરમિયાન જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થતા જ તમામ સાધક ભાઈ-બહેનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે પરીક્ષામાં જોડાયેલા તમામ સાધકો સફળ રહ્યા હતા.
ખાસ કરીને ત્રણ બહેનો દ્વારા ઉત્તમ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શોભનાબેન મિસ્ત્રી, યોગીનીબેન પારેખ અને દિપીકાબેન મેહતાએ 30માંથી 28 ગુણ મેળવી ખૂબ જ સરસ પરિણામ મેળવ્યું હતું. આ ત્રણે બહેનોને યોગ પ્રત્યેની લગન, નિયમિતતા અને અભ્યાસ માટે વિશેષ અભિનંદન આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ત્રણે બહેનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહ દરમિયાન યોગ સાધકો દ્વારા તાળીઓના ગડગડાટ સાથે તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા.
આ પરીક્ષા અને પરિણામથી યોગ સાધકોમાં નવી પ્રેરણા જાગી છે. ઘણા સાધકો દ્વારા હવે નિયમિત રીતે વધુ અભ્યાસ કરવાની અને યોગ વિષયક માહિતી વધુ જાણવા માટે ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાંતિલાલ ઠાકોરે પણ જણાવ્યું હતું કે યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવાનો એક સારો માર્ગ છે. નિયમિત યોગ દ્વારા શરીર, મન અને આત્માનો વિકાસ શક્ય બને છે.
પરીક્ષાની ખુશાલીમાં યોગ સાધક પ્રદીપભાઈ ખોપકર અને જોતીબેન ખોપકર દ્વારા તમામ સાધકો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાસ્તા દરમિયાન તમામ સાધકો વચ્ચે ખુશીની લાગણી અને સૌહાર્દનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ પ્રસંગે તમામ સાધકો દ્વારા કાંતિલાલ ઠાકોરના યોગ સેવા કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.
છેલ્લા છ વર્ષથી નિશુલ્ક રીતે યોગ સેવા આપતા કાંતિલાલ ઠાકોરનો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. આજના વ્યસ્ત જીવનમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તે માટે આવા યોગ ક્લાસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. વલસાડના રાજનગર વિસ્તારમાં ચાલી રહેલો આ યોગ ક્લાસ લોકોમાં સ્વસ્થ જીવનશૈલી તરફ જાગૃતિ લાવવાનું એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.






