
સાંજે 6 બાદ પ્રચાર પર પ્રતિબંધ, અંતિમ કલાકોમાં મતદારોને રીઝવવા પક્ષોનો જોરદાર પ્રયાસ

નાનાપોઢા અને કપરાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. આજે સાંજના છ વાગ્યાથી જાહેર પ્રચાર પર પ્રતિબંધ લાગવાનો હોવાથી ઉમેદવારો અને રાજકીય પક્ષોએ અંતિમ ક્ષણોમાં મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. પ્રચાર પડઘમ શાંત થવા હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં રાજકીય ચહલપહલ તેજ બની છે.

આ દરમિયાન નાનાપોઢા વિસ્તારમાં ભાજપ દ્વારા વિશાળ શક્તિ પ્રદર્શન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારેલીમાં કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા, પૂર્વ ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાંવીત, નશિરભાઈ પઠાણ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. રેલીમાં જિલ્લા અને તાલુકાના તમામ ઉમેદવારોની ઉપસ્થિતિ નોંધાઈ હતી.

કાર્યકરો કેસરીયા ખેસ અને ટોપી સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર નાનાપોઢા કેસરીયા રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. રેલી ગામના મુખ્ય માર્ગો, વિસ્તારો અને નજીકના ગામોમાં ફરી હતી, જ્યાં નેતાઓ અને ઉમેદવારોએ જનતાનું અભિવાદન ઝીલ્યું હતું અને સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

આ રેલીને ભાજપના ચૂંટણી પ્રચારનો શંખનાદ માનવામાં આવી રહ્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ માત્ર પ્રચાર કાર્યક્રમ નહીં પરંતુ વિરોધ પક્ષો સામે ભાજપની સંગઠન શક્તિ અને મજબૂત વોટબેંક દર્શાવવાનો પ્રયાસ છે. રેલી દરમિયાન ‘જીતશે ભાજપ’ના નારા ગુંજતા રહ્યા હતા, જે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ અસરકારક રહ્યા હોવાનું માનવામાં આવે છે.
ચૂંટણી નજીક આવતાં કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે પુરજોશમાં કામ કરી રહ્યા છે. હવે પ્રચાર બંધ થયા બાદ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તૈયાર છે, અને આવનારા દિવસોમાં પરિણામો રાજકીય સમીકરણોને નવી દિશા આપશે.






