
– મહેલની જાળી તોડી મહેલમાં ત્રાટક્યા હતા
– ચાંદી, પીત્તળ અને જર્મન સીલ્વર ધાતુ સહિતનો 5.39 લાખનો મુદ્દામાલ રીકવર કરાયો
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના રાજમહેલમાં અંદાજે એક મહિના પહેલા તસ્કરો દ્વારા ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં લાખોના મુદ્દામાલની ચોરી અંગે રાજમહેલની સારસંભાળ રાખનાર શખ્સે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને ધ્યાને લઈ પોલીસે તપાસ હાથ ધરી રાજમહેલમાં ચોરી કરનાર ત્રણ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ધ્રાંગધ્રા રાજમહેલના સુંદર વિલાસ મહેલમાં તસ્કરો દ્વારા જાળી તોડી મહેલમાં પ્રવેશ કરી તાળા તોડયા હતાં અને ચાંદીની અંદાજે ૧૫ કિલો ચીજવસ્તુઓ તેમજ જર્મનધાતુની અને ચાંદીનો ગ્લેટ લગાડેલી વસ્તુઓ મળી કુલ રૂા.૫.૪૦ લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયા હતાં. જે અંગે રાજમહેલની દેખરેખ રાખનાર રાજદિપસિંહ ઝાલાએ સિટી પોલીસ મથકે તા.૭ ઓક્ટોબરના રોજ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની જાણ થતાં રાજપરિવાર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
રાજમહેલમાં ચોરીના બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાની સુચનાથી તેમજ ડીવાયએસપી જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન ધ્રાંગધ્રાના ધોળીધાર વિસ્તાર પાસે વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં સીએનજી રિક્ષા પસાર થતાં તેને ઉભી રાખી અને તલાસી લેતા મીણના કોથળામાં સંતાળેલા ચાંદી, પીત્તળ સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી.
તે અંગે આધાર પુરાવા કે બીલ માંગતા રજુ કર્યું નહોતું. તેમજ સંતોષકારક જવાબ નહિં આપતા રિક્ષા સહિત ત્રણેય શખ્સોને ડીવાયએસપી કચેરી ખાતે લાવી આગવી ઢબે પુછપરછ હાથ ધરતા ધ્રાંગધ્રા રાજમહેલમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આથી ઝડપાયેલા અનીલભાઈ નટુભાઈ તાજપરિયા (ઉ.વ.૩૮, રહે.ધ્રાંગધ્રા), દિનેશભાઈ બાબુભાઈ સોલંકી (ઉ.વ.૪૫, રહે.વેરાવળ) અને કાનાભાઈ ઉર્ફે કાનો લખમણભાઈ મેરવડા (ઉ.વ.૨૪, રહે.વેરાવળ)ને ઝડપી પાડી સીટી પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.
તેમજ ચાંદીની પાટલીઓ, પિત્તળની જુની ચીજવસ્તુઓ, જર્મન સીલ્વર ધાતુની જુની ચીજવસ્તુઓ, રિક્ષા અને ચોરીમાં ઉપયોગમાં લીધેલી કાતર તથા સળીયો મળી કુલ રૂા.૫.૩૯ લાખનો મુદ્દામાલ રીકવર કરાયો હતો. જ્યારે ઝડપાયેલા આરોપીઓ વિરૂધ્ધ ગોંડલ, વેરાવળ, ધ્રાંગધ્રા, પ્રભાસ પાટણ સહિતના પોલીસ મથકોમાં ચોરી, મારામારી તેમજ જુગાર અંગેના ગુનાઓ નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું.
Ad..













