
- વલસાડમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો
- વણથંભી વિકાસ યાત્રાથી વિકસિત ભારતનો સંકલ્પ ૨૦૪૭ સુધીમાં પરિપૂર્ણ થશેઃ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
- ઐતિહાસિક પારનેરા ડુંગરના વિકાસ માટે પણ રૂ. ૩.૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી
- કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અધિકારી, પદાધિકારી તેમજ નાગરિકોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી

વડાપ્રધાનશ્રી દ્વારા રચિત ગરબો અને ‘‘વિકાસ સપ્તાહ’’ની શોર્ટ ફિલ્મ સૌએ નિહાળી

વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈ ભારતીય રાજકારણમાં વિકાસ યાત્રાની શરૂઆત કરી હતી. તેમના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનમાં ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને વિકાસના કાર્યો સાથે જોડી તા. ૦૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત આજરોજ વલસાડના મોંઘાભાઈ હોલ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી વન અને પર્યાવરણ કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાપી એસટી વર્કશોપ અને પારડી પોલીસ આવાસ મળી કુલ રૂ. ૫૮.૨૧ કરોડના કુલ ૩૭૦ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આજથી ૨૩ વર્ષ પહેલા તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ શપથ લીધા અને વિકાસની રાજનીતિના એક નવા અધ્યાયની શરૂઆત કરી હતી. તેમના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકાર દ્વારા હાલમાં થઇ રહેલી ‘‘વિકાસ સપ્તાહ’’ની ઉજવણી હવેથી દર વર્ષે ઉજવવાનું ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે નક્કી કર્યુ છે. નરેન્દ્રભાઈએ ગુજરાતને દેશ અને દુનિયામાં રોલ મોડેલ બનાવ્યું છે. વિકાસ કોને કહેવાય તેનો પર્યાય મોદીજીએ આપ્યો છે. પહેલા ગુજરાતમાં બે થી ત્રણ કલાક વીજળી મળતી હતી પરંતુ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા બાદ ૨૪ કલાક વીજળી આપતા ગામડા ઝળહળતા થયા છે. વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી આયુષ્યમાન કાર્ડ યોજના તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મા અમૃતમ કાર્ડ તરીકે શરૂ કરાવી હતી. જેમાં સમગ્ર દેશમાં ગુજરાત જ એક માત્ર એવુ રાજ્ય છે કે, જે આયુષ્યમાન કાર્ડ હેઠળ રૂ.૫ લાખ નહીં પરંતુ રૂ. ૧૦ લાખ આપે છે. આજે ખિસ્સામાં આયુષ્યમાન કાર્ડ હોવાથી કોઈ ગરીબે સારવાર માટે કોઈ પાસે હાથ લંબાવવો પડતો નથી. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા બાદ માત્ર ૧૦ જ વર્ષમાં ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે.
કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન મોદીજીએ દેશવાસીઓને ફ્રીમાં અનાજ આપ્યુ અને હજુ પણ આગામી વર્ષ ૨૦૨૯ સુધી મળતુ રહેશે. ક્લાઈમેટ ચેન્જ વિભાગ વર્ષ ૨૦૦૯માં શરૂ કરી મોદીજીએ શરૂ કરી સમગ્ર વિશ્વને રાહ ચીંધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલને સન્માન આપવાનું કામ કર્યુ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈની દીર્ઘ દ્રષ્ટીના કારણે વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતની કલ્પના કેવી હશે તે આવનારી પેઢી જોશે. જેથી તમામને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા આહવાન કર્યુ હતું.
આજે ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયેલા કામો અંગે મંત્રીશ્રી કહ્યું કે, વલસાડ જિલ્લામાં કોઈએ કલ્પના કરી ન હોય તેવા વિકાસના કામો થયા છે. આજે પણ વિકાસ સપ્તાહ ઉજવણીમાં ૫૮.૨૧ કરોડના ૩૭૦ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું છે. જેમાં રૂ. ૧૯.૭૧ કરોડના ૮૭ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને રૂ. ૩૮.૫૦ કરોડના ૨૮૩ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયુ છે. આ સિવાય વલસાડ તાલુકાના ઐતિહાસિક પારનેરા ડુંગરના વિકાસ માટે પણ રૂ. ૩.૫૦ કરોડની ફાળવણી કરાય છે. વણથંભી વિકાસ યાત્રાથી વિકસિત ભારતનો સંકલ્પ ૨૦૪૭ સુધીમાં પરિપૂર્ણ થશે. વધુમાં મંત્રીશ્રીએ ચોમાસા દરમિયાન વહી જતા પાણીને ‘‘કેચ ધ રેઈન’’ કેમ્પેઈન હેઠળ રેઈન વોટર હાર્વેસ્ટીંગનું અભિયાન હાથ ધરવા અપીલ કરી હતી. સેવા સેતુ કાર્યક્રમ હેઠળ સરકાર સામે ચાલીને તમારા આંગણે આવે છે ત્યારે સરકારી યોજનાનો લાભ લેવા માટે જાગૃત હોવુ એ આપણી પણ જવાબદારી છે.
આ પ્રસંગે વલસાડ-ડાંગ સાંસદ અને લોકસભાના દંડકશ્રી ધવલભાઈ પટેલે નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન કચ્છનો ભૂકંપ અને રિડેવલપમેન્ટ, વાયબ્રન્ટ સમિટ દ્વારા રોજગારી, સોલાર પોલીસી, કુપોષણ સામે જંગ, આવાસ અને શૌચાલય સહિતના વિવિધ મુદ્દે પ્રકાશ પાડી જણાવ્યું કે, વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૪ સુધીમાં દેશની અર્થવ્યવસ્થા ૧૧ માં નંબરથી પાંચમા નંબર પર પહોંચી છે. હવે ત્રીજા નંબરે પહોંચી વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત વિશ્વભરની અર્થવ્યવસ્થામાં નંબર વન પર આવી મહાસત્તા બનશે.
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, અંગ્રેજો સામે દેશની આઝાદીની લડતમાં ગાંધીજી અને સરદાર પટેલનો સિંહફાળો છે તેમ નરેન્દ્રભાઈ ગુજરાતના સીએમ બન્યા બાદ ગુજરાતને વિકાસની નવી ઉંચાઈએ લઈ ગયા છે.
કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, વિકસિત ભારત અને વિકસિત ગુજરાત કોને કહેવાય તે નરેન્દ્રભાઈ મોદીએ દેશ- દુનિયાને બતાવ્યું છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત વિશ્વગુરૂ બની જશે. વલસાડ જિલ્લામાં આજથી ૨૫ વર્ષ પહેલાની વાત કરીએ તો, પૂરતી વીજળીના અભાવે લોકો ફાનસ યુગમાં જીવતા હતા પરંતુ મોદીજીએ જ્યોતિગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક વીજળી આપી લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવ્યા હતા.
ઉજવણીમાં સહભાગી થયેલા તમામ અધિકારી, પદાધિકારી તેમજ નાગરિકોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. નવરાત્રિના પાવન અવસરે વડાપ્રધાનશ્રી દ્વારા રચિત ગરબાને સૌએ માણ્યો હતો. ૨૩ વર્ષના સર્વગ્રાહી વિકાસની યાત્રા દર્શાવતી વિકાસ સપ્તાહ શોર્ટ ફિલ્મ પણ સૌએ નિહાળી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન ઠાકોર, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા સહિતના અધિકારી, કર્મચારીઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકીએ કર્યુ હતું. જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન તારેશ સોનીએ કર્યુ હતું.
Ad…












