
મુંબઈ ફેરી દુર્ઘટના: નેવી બોટ સાથે અથડામણમાં નીલકમલ પલટી જતાં 13નાં મોત. સીએમ ફડણવીસે 5 લાખ રૂપિયાની રાહતની જાહેરાત કરી
મહારાષ્ટ્રમાં મુંબઈના દરિયાકાંઠે બુધવારે નૌકાદળનું જહાજ પર્યટકની બોટ સાથે અથડાતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 99 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે આ દુર્ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે.
વડાપ્રધાન મોદીએ એક્સ પર દુ:ખ વ્યક્ત કર્યુ
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર લખ્યું કે મુંબઈમાં બોટ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. આ સાથે જ તેમણે જાણકારી આપી હતી કે અસરગ્રસ્ત લોકોને સહાય આપવામાં આવશે.
મૃતકોના પરિવારજનોને મળશે સહાય રકમ
પીએમ મોદીએ મુંબઈમાં બોટ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને PMNRF તરફથી 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે બોટ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ રકમ મુખ્યમંત્રી સહાય નિધિમાંથી આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. નેવીની સાથે પોલીસ પણ આ મામલે તપાસ કરશે.
નૌકાદળે આપ્યું આ નિવેદન
નૌકાદળ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમારું એક જહાજ એન્જિન ટેસ્ટ માટે જઈ રહ્યું હતું, પરંતુ તે પછી સાંજે 4 વાગ્યે તેણે કાબૂ ગુમાવ્યો અને કારંજા પાસે નીલકમલ બોટ સાથે અથડાયું હતું. આ બોટ મુસાફરોને ગેટવે ઓફ ઈન્ડિયાથી લોકપ્રિય પર્યટન સ્થળ એલિફન્ટા આઈલેન્ડ લઈ જઈ રહી હતી. નેવીએ કહ્યું કે અમે તરત જ કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસના સહયોગથી બચાવ કાર્ય શરૂ કર્યું. જેમાં નેવીના ચાર હેલિકોપ્ટર, 11 જહાજો, કોસ્ટ ગાર્ડની એક બોટ અને મરીન પોલીસની ત્રણ બોટની મદદ લેવામાં આવી.






