
Jamanagar News : ગુજરાતના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં આજે ગુરુવારે (3 એપ્રિલ, 2025) બપોરે એક ભારે કરુણાજનક ઘટના સર્જાઈ હતી. ધ્રોલના સુમરા ગામે પરણિતાએ તેના ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ગામમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં માતા-બાળકો પાંચેયના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી.
પરણિતાએ ચાર બાળકો સાથે કૂવામાં ઝંપલાવતા પાંચેયના મોત
મળતી માહિતી મુજબ, જામનગરના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં 32 વર્ષીય ભાનુબહેન જીવાભાઈ ટોરીયા નામની પરણિતાએ ઘરકંકાસના કારણે આજે ગુરુવારે બપોરે તેના ચાર બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાની સાથે ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવીને તમામ મૃતદેહોને પાણીમાંથી બહાર કઢ્યા હતા. ઘટનામાં માતા અને બાળકો સહિત પાંચેયના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે પોલીસ સ્થળ પર દોડી પહોંચી હતી. તમામ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
મૃતકોની યાદી
– ઋત્વિક (ઉં.વ. 3)
– આનંદી ટોરિયા, (ઉં.વ. 4)
– આજુ ટોરિયા, (ઉં.વ. 8)
– આયુષ ટોરિયા, (ઉં.વ. 10)
– ભાનુબહેન જીવાભાઈ ટોરિયા, (ઉં.વ. 32)






