ધરમપુર ના તિસ્કરી તલાટ ગામે જગતજનની માં અંબાના બીજા પાટોત્સવના પાવન અવસરે તિસ્કરી તલાટ ગામે ભક્તિ અને માનવસેવાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. હોળીના પવિત્ર પ્રસંગે ભોઇપાડા મુકામે યોજાયેલા રક્તદાન કેમ્પમાં કુલ 35 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. ગામ તથા આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે કાર્યક્રમ સફળ રહ્યો હતો.
આ રક્તદાન કેમ્પનું આયોજન સહયોગ ગ્રુપ તિસ્કરી તલાટ, પાર્થ ટ્રેડર્સ, સાકર જીવન વિકાસ ટ્રસ્ટ, Rainbow Warriors Dharampur તથા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા ભાજપ મહામંત્રી ગણેશભાઈ બિરારી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ પ્રભાકર યાદવ અને સામાજિક કાર્યકર્તા સુરેન્દ્રભાઈ મહાકાળના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું.
પાટોત્સવ નિમિત્તે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ શ્રદ્ધાભાવે ભાગ લીધો હતો. ધાર્મિક ઉજવણી સાથે માનવસેવાનું શ્રેષ્ઠ કાર્ય – રક્તદાન – જોડાતા સમગ્ર ગામમાં સેવા અને સમર્પણની ભાવના પ્રસરી હતી.
જિલ્લા ભાજપ મહામંત્રી ગણેશભાઈ બિરારીએ પોતે પણ રક્તદાન કરી યુવાનોને પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે “એક વખતનું રક્તદાન ત્રણ માનવજીંદગી બચાવી શકે છે.” સાથે સાથે અંગદાન, દેહદાન અને ચક્ષુદાનના મહત્વ અંગે પણ સમજ આપી હતી.
આ પ્રસંગે શ્રી સાઈનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉ. હેમંત પટેલે જણાવ્યું હતું કે આજના યુવાનોને રક્તદાન જેવી માનવસેવાની પ્રવૃત્તિઓમાં આગળ આવવું જોઈએ. રક્તની સતત જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આવા કેમ્પો સમાજ માટે અત્યંત ઉપયોગી છે.
રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહક ભેટો આપવામાં આવી હતી. આ પ્રસંગે પ્રભાકર યાદવ, જયંતીભાઈ પટેલ (શીતળ છાયડો લાઇબ્રેરી નગરીયા) તથા મણિલાલભાઈ ભોયા (નિવૃત્ત સચિવશ્રી) સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ભોઇપાડા યુવક મંડળના સભ્યો, સરપંચ દિનેશભાઈ ભોયા તથા ગામના યુવાનો અને આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર આયોજનમાં સહયોગ ગ્રુપ તિસ્કરી તલાટના સુરેન્દ્રભાઈ મહાકાળ, મનોજભાઈ ચૌધરી, નિમેષભાઈ ગાંવિત તથા Rainbow Warriors Dharampurના કો-ઓર્ડિનેટર શંકરભાઈ પટેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
હોળીના પાવન દિવસે ભક્તિ, એકતા અને માનવસેવાનું આ અનોખું સંકલન તિસ્કરી તલાટ ગામ માટે ગૌરવરૂપ બન્યું છે.






