
નવસારી જિલ્લાના ખેરગામ ખાતે આવેલ પ્રસિદ્ધ જગદંબાધામમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાનને ભક્તિભાવ અને શ્રદ્ધાનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે. વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લના પાવન સાનિધ્યમાં ચાલી રહેલા આ નવરાત્રી મહોત્સવમાં આજે દુર્ગાષ્ટમીના પાવન દિવસે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહીને માતાજીની આરાધના કરી હતી.

આજે કથા દરમિયાન સ્વ. ચંદ્રકાંતભાઈ હીરાલાલ મોદી ના સ્મરણાર્થે દલાસ (અમેરિકા) નિવાસી દિલીપભાઈ ચંદ્રકાંત મોદી તરફથી વિશેષ ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વિદેશમાં રહેતા હોવા છતાં પોતાની સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલા રહેનાર પરિવાર દ્વારા કરવામાં આવેલી આ ધાર્મિક સેવા ભક્તોમાં પ્રશંસાનું કારણ બની હતી. કથા સ્થળે ઉપસ્થિત રહેલા ભક્તોએ સ્વ. ચંદ્રકાંતભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કથા ના મુખ્ય યજમાન અને મૂર્તિદાતા તરીકે કૌશિકભાઈ નાનુભાઈ ટંડેલ (ભાગડાવડા), રમણભાઈ ભગતજી અને તેમનો પરિવાર, તેમજ કિશોરભાઈ પટેલ અને લીલાબેન નટુભાઈ પટેલ (અટગામ ભોયાવાડ) દ્વારા પોથી પૂજન અને વ્યાસપૂજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક વિધિઓ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. માતાજીના જાપ, વેદમંત્રો અને આરતીના ગુંજન વચ્ચે ભક્તોએ શ્રદ્ધાભાવે ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન કિલ્લા પારડી નિવાસી અને પૂર્વ પ્રિન્સિપાલ બી. એન. જોષી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આવી ધાર્મિક પ્રવૃત્તિઓ સમાજમાં સદભાવના, સંસ્કાર અને એકતા વધારવાનું કાર્ય કરે છે. આજના સમયમાં યુવાપેઢી ધાર્મિક સંસ્કારો સાથે જોડાય તે માટે આવા અનુષ્ઠાનો ખૂબ જ જરૂરી બની ગયા છે.

આ પ્રસંગે આશીર્વાદ આપતા કથાકાર પ્રફુલભાઈ શુક્લે વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું કે “ભારત દેશ પર માઁ જગદંબાની કૃપા કાયમ રહી છે અને કાયમ રહશે. કારણ કે ભારતની પરંપરા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક શક્તિ ખૂબ મજબૂત છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશના યશસ્વી અને તપસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવરાત્રીના નવ દિવસ ઉપવાસ કરીને માતાજીની ઉપાસના કરે છે, જે ભારત દેશ માટે એક આધ્યાત્મિક શક્તિનું પ્રતિક છે. તેમણે જણાવ્યું હતું કે આ શક્તિના આધારે ભારત કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકે છે.
કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા આજે ચામુંડા માતાના પ્રાગટ્યની કથાનું સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું હતું. કથામાં ચામુંડા માતાની મહિમા, શક્તિ અને દુષ્ટ શક્તિઓના વિનાશની વાતો ખૂબ જ ભાવપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી હતી. કથા દરમિયાન ઉપસ્થિત ભક્તો ભાવવિભોર બની ગયા હતા અને માતાજીના જયકારો સાથે સમગ્ર જગદંબાધામ ગુંજી ઉઠ્યું હતું.

દુર્ગાષ્ટમીના પાવન દિવસે વિશેષ રીતે નવ કુંવારી કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. કન્યાઓને નવદુર્ગાના સ્વરૂપ માનીને તેમનું પૂજન, અર્ચન અને આશીર્વાદ લેવામાં આવ્યા હતા. આ ધાર્મિક પરંપરાને નિહાળવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. માતાજીની આરાધનામાં મહિલાઓનો ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.

આજે યોજાયેલા યજ્ઞ કાર્યક્રમમાં શારદાબેન જગુભાઈ પટેલ (સુખેશ), કલાબેન મહેશભાઈ પટેલ અને મનુભાઈ રૂપાભવાની દ્વારા વિશેષ રીતે સહભાગી બનીને ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. સાથે જ રેખાબેન શુક્લ અને લીનાબેન અમદાવાદી દ્વારા માતાજી માટે શણગારની ભેટ અર્પણ કરવામાં આવી હતી અને ભક્તો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ભોજન પ્રસાદનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.
આ પ્રસંગે બિપીનભાઈ પટેલ (ભૈરવી), રાજેશભાઈ પટેલ, પ્રતીક પટેલ, જયસિંગભાઈ પટેલ અને અમરતભાઈ પટેલ દ્વારા ૧૦૮ દીવાની મહાઆરતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. મહાઆરતી દરમિયાન સમગ્ર જગદંબાધામ દીવડાઓના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું હતું. આરતી દરમિયાન ભક્તોએ માતાજીના જયકારો સાથે શ્રદ્ધાભાવે ભાગ લીધો હતો.

નવરાત્રી અનુષ્ઠાન દરમિયાન માતાજીના જુવારા અને ઘટસ્થાપનનું પણ વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક વિધિઓ દરમિયાન આચાર્ય કિશનદેવ, અંકુરભાઈ શુક્લ અને અનિલ શુક્લ દ્વારા વેદમંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને માતાજીના ચંડીપાઠનું પારાયણ પણ કરવામાં આવ્યું હતું. વેદમંત્રોના પવિત્ર સ્વર સાથે સમગ્ર વાતાવરણ અત્યંત આધ્યાત્મિક બની ગયું હતું.
નવસારી અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દરરોજ કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને દુર્ગાષ્ટમીના દિવસે ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી. કથા સ્થળે આવતા તમામ મહેમાનો અને ભક્તોનું જગદંબાધામ પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

ચૈત્રી નવરાત્રીના આ પાવન પ્રસંગે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભક્તોમાં નવી ઊર્જા અને શ્રદ્ધાનો સંચાર થયો છે. માતાજીની ભક્તિ અને કથાના આધ્યાત્મિક સંદેશથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો છે. આગામી દિવસોમાં પણ કથા અને અનુષ્ઠાનમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.






