
રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કોમ્યુનિટી હોલ, સોલાર સિસ્ટમ સહિત સુવિધાઓ ખુલ્લી મુકાઈ
વર્ષ 1967માં આશ્રમશાળાની સ્થાપના થઈ હતી
ગરીબ અને આદિવાસી બાળકોને મૂલ્યનિષ્ઠ શિક્ષણ સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય એવા શુભ ઉદ્દેશ્ય સાથે તા.
તા. 10/09/1967ના રોજ આ આશ્રમશાળાની સ્થાપના શ્રી ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ, શ્રી ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ (માજી કેન્દ્રીય ગ્રામ વિકાસ મંત્રી) તથા શ્રી રમણભાઈ દેવાભાઈ પટેલ (માજી ધારાસભ્ય) દ્વારા કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા રોહિણા ગામમાં પછાત વર્ગ સેવા સંઘ સંચાલિત આશ્રમશાળામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન રવિવારે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોમ્યુનિટી હોલ, સોલાર પેનલ સિસ્ટમ, આરઓ વોટર કુલર પ્લાન્ટ સહિત કુલ ૯ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરાતા વિદ્યાર્થીઓને વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

ઉદ્ઘાટન સમારોહને સંબોધતા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે આ આશ્રમશાળા ગરીબ અને આદિવાસી પરિવારોના બાળકો માટે આશીર્વાદરૂપ છે. અહીં માત્ર પુસ્તક આધારિત શિક્ષણ જ નહીં પરંતુ સ્કિલ આધારિત શિક્ષણ પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે. આશ્રમશાળામાં કમ્પ્યુટર અને સીવણ ક્લાસ જેવી કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જે બાળકોને ભવિષ્યમાં આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થશે. તેમણે સંસ્થાના વિકાસ માટે દાનની ધારા વહેડાવનાર દાતાશ્રીઓ તથા પછાત વર્ગ સેવા સંઘના પ્રમુખ નટુભાઈ એલ. પટેલને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સમયમાં અહીં સાયન્સના વર્ગો શરૂ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ આશ્રમશાળા કપરાડા અને ધરમપુર વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. અહીં વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે વડીલો અને પૂર્વજોએ શરૂ કરેલી સેવા પરંપરાને આગળ વધારવાની જવાબદારી આપણી છે. હાલ ધોરણ 9ના વર્ગને મંજૂરી મળ્યા બાદ આગામી સમયમાં ધોરણ 10નો વર્ગ પણ શરૂ કરવામાં આવશે.
સમારોહ દરમિયાન આશ્રમશાળામાં કુલ ૯ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેટકો વડોદરા CSR પ્રોજેક્ટ દ્વારા વાપી VIA મારફતે રૂ. 62,18,834ના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં કોમ્યુનિટી હોલ, કમ્પાઉન્ડ વોલ અને 20 કિલોવોટ સોલાર પેનલ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિવિધ દાતાશ્રીઓના સહયોગથી પ્રાર્થના મંદિર, સાયન્સ લેબ, કમ્પ્યુટર લેબ, કૌશલ્ય વર્ધન કેન્દ્ર (સીવણ ક્લાસ), આરઓ વોટર કુલર પ્લાન્ટ અને આશ્રમ વાટિકા જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ આશ્રમશાળાની સ્થાપના તા. 10 સપ્ટેમ્બર 1967ના રોજ ગરીબ અને આદિવાસી બાળકોને મૂલ્યનિષ્ઠ શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ મળે તે શુભ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. હાલ આ આશ્રમશાળામાં ધોરણ 1થી 8માં કુલ 170 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં 85 કુમાર અને 85 કન્યાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, રસોઈ ઘર, ભોજનાલય, 12 વર્ગખંડ, 30 સીસીટીવી કેમેરા, 26 સ્નાનગૃહ અને 26 શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સાથે લાઇબ્રેરી, સ્માર્ટ ક્લાસ અને ટોય રૂમ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
આ કાર્યક્રમમાં પારડી તાલુકા પંચાયતના સભ્ય વિજય પટેલ, જેટકોના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર પી.એન. પટેલ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે.એલ. ચૌધરી, વાપી VIA પ્રમુખ સતિષ પટેલ, પારડી તાલુકા સંગઠન પ્રમુખ પુનિત પટેલ, ખેરલાવના સરપંચ મયંક પટેલ સહિત દાતાશ્રીઓ, ગામના આગેવાનો, સંસ્થાના હોદેદારો અને ટ્રસ્ટીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નિવૃત શિક્ષક જગદીશભાઈ પટેલે કર્યું હતું, જ્યારે આભારવિધિ આશ્રમશાળાના આચાર્ય સતિષભાઈ એલ. પટેલે કરી હતી.






