
પણન્જ હનુમાન મંદિરે ચાલીસા પાઠમાં સર્વધર્મ સમભાવનો સંદેશ
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પણન્જ ગામે આવેલ પ્રસિદ્ધ હનુમાન મંદિરે ભક્તિમય વાતાવરણ વચ્ચે હનુમાન ચાલીસા પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં જાણીતા કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા ભાવપૂર્વક હનુમાન ચાલીસાનું પાઠ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
વિશેષ નોંધનીય વાત એ રહી કે ભાજપ નવસારી જિલ્લા લઘુમતી મોર્ચાના ઉપપ્રમુખ મુશ્તાન સીર વ્હોરા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ સર્વધર્મ સમભાવ અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે કિશન મોર્ચાના ઉપપ્રમુખ આશિષભાઈ (શંભુ) દેસાઈ સહિત જનકભાઈ દેસાઈ, હર્ષદ પટેલ, અલ્પેશ પટેલ, મુકેશ પટેલ, ઠાકોરભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, રંગીન દેસાઈ, નયનાબેન દેસાઈ, ગીતાબેન પટેલ, રિંકલબેન પટેલ, મોહનભાઈ દેસાઈ અને દુલ્લભભાઈ પટેલ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન એક ભાવનાત્મક ક્ષણ પણ સર્જાઈ હતી. લગભગ 58 વર્ષ પહેલા સ્વ. મોહનભાઈ દેસાઈએ આ જ મંદિરમાં નાની ઉંમરે માત્ર 9 વર્ષના પ્રફુલભાઈ શુક્લને હનુમાન ચાલીસા શીખવાડી હતી. આજ રોજ, આ જ સ્થળે ચાલીસા પાઠ કરતા તેમણે સ્વ. મોહનકાકા અને સ્વ. રમેશભાઈ દેસાઈને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે હાજર રહેલા લોકો માટે આ ક્ષણ અત્યંત સ્પર્શક બની રહી હતી.
હનુમાન ચાલીસાના ગુંજતા પાઠથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ સાથે પાઠમાં સહભાગી બની આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. અંતમાં જનકભાઈ દેસાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ આયોજન માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતું જ નહીં, પરંતુ સમાજમાં એકતા, સંવાદિતા અને પરસ્પર સન્માનનો સંદેશ આપતું એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું હતું.






