
વલસાડ જિલ્લાના નાનાપોંઢા વિસ્તારમાં માનવ સેવા માટે એક મહત્વપૂર્ણ પહેલરૂપે વિશ્વ હિંદુ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા ચિરંજીવી હોસ્પિટલ ખાતે બ્લડ સ્ટોરેજ અને વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે યોજાયેલી રક્તદાન શિબિરમાં ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો અને કુલ 150થી વધુ રક્તબેગ એકત્ર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને મહિલાઓએ પણ આગળ આવી રક્તદાન કરીને સમાજમાં સકારાત્મક સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમનું લોકાર્પણ ગુરુકુળ સલવાવના કપિલ સ્વામીજી, સંસ્થાન પ્રમુખ ડો. જયદીપભાઈ પટેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કપિલ સ્વામીજીએ જણાવ્યું હતું કે સમાજ સેવા એ જ સાચો ધર્મ છે અને દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ સેવા કાર્યોમાં જોડાવું જોઈએ. તેમણે દાતાશ્રીઓના યોગદાનને બિરદાવતા જણાવ્યું કે આવા પ્રયાસોથી જ સમાજમાં પરિવર્તન આવે છે.
વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રસાર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ભવાણીએ જણાવ્યું કે સેવા અને સંગઠન દ્વારા સમાજને મજબૂત બનાવવાનો સંસ્થાનો ધ્યેય છે. તેમણે વધુમાં જણાવ્યું કે આરોગ્ય, શિક્ષણ અને સામાજિક જાગૃતિ માટે આ પ્રકારના કાર્યક્રમો અત્યંત જરૂરી છે.
રક્તદાન શિબિરમાં યુવાઓ, મહિલાઓ અને વડીલો સહિત સમાજના તમામ વર્ગોના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ડોક્ટરો અને સ્વયંસેવકોની ટીમે સુવ્યવસ્થિત આયોજન સાથે રક્તસંગ્રહ કર્યો હતો અને દાતાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અવસરે કપરાડાના મામલદાર સંજયભાઈ ટેલરે પોતાનું 40મું રક્તદાન કરીને ઉપસ્થિત લોકોને પ્રેરણા આપી હતી. તેમના આ કાર્યને સૌએ વખાણ્યું હતું અને વધુમાં વધુ લોકો રક્તદાન તરફ આગળ આવે તે માટે પ્રેરણા મળી હતી. તેમણે જણાવ્યું હતું કે રક્તદાન એ મહાન દાન છે, જેનાથી અનેક જીવનો બચાવી શકાય છે.






