
સુરતમાં એક યુવાને પોતાના પિતાના જન્મદિવસની યાદગાર બનાવવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. ખાસ કરીને કેન્સરથી પીડાતા દર્દીઓને જોઈ તેમને યોગ્ય સારવાર મળી રહે તે ઉદ્દેશ્યથી 22 બેડની પેલી એટિવ સેન્ટર શરૂ કર્યું છે. જેમાં દર્દીઓને રહેવાની ખાવાની, દવા અને સારવાર પણ તદ્દન મફત મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા મહેશભાઈ રામાણી બે વર્ષ અગાઉ એક કેમ્પમાં ગયા હતા, જ્યાં કેન્સરથી પીડાતા દર્દીઓને તેમને જોયા હતા અને તેમની વ્યથા પણ જોઈ હતી. કેન્સરના દર્દીઓને આ રીતે જોઈ તેમના દ્વારા કેન્સરના દર્દીઓને મફતમાં સારવાર મળી રહે તે ઉદ્દેશ્યથી હોસ્પિટલ શરૂ કરવાનો એક વિચાર કરવામાં આવ્યો હતો. આજે તેમના પિતા જીવનભાઈનો જન્મદિવસ હોય ત્યારે આ જન્મદિવસની યાદગાર બનાવવા માટે મહેશ ભાઈ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી છે.
મહેશભાઈ દ્વારા સુરતના મોટા વરાછા વિસ્તારમાં 22 બેડ ધરાવતું પેલી એટિવ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં આવતા તમામ દર્દીઓને રહેવાની, ખાવાની અને દવા મફત મળી રહેશે. દર્દીઓના મનોરંજન માટે સ્માર્ટ ટીવી પણ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સેન્ટરમાં દર સપ્તાહે ગીતા પથન માટે એક વ્યક્તિ આવશે. જેમના દ્વારા ગીતાનું જ્ઞાન દર્દીઓને આપવામાં આવશે.
હોસ્પિટલમાં ઘર જેવુ વાતાવરણ હશે
અહીં આવનારા દરેક સ્ટેજના દર્દીઓને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે પ્રકારના તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે. સુરત શહેરના કેન્સર સ્પેશિયાલિસ્ટ ચાર તબીબો અહીં દરરોજ સુવિધા આપશે. આવી પરિસ્થિતિમાં દર્દીના પરિવારજનો પણ તેમનાથી દૂર રહેતા હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં દર્દીઓને પરિવારની હૂંફ મળી રહે તે પ્રકારના પ્રયાસો અહીં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલ ચલાવવા અંગે અને દાન અંગે મહેસા રામાણીએ કહ્યું કે, આ હોસ્પિટલમાં એક પણ પ્રકારનું દાન બહારથી લેવામાં આવશે નહીં, મહેશભાઈ પોતાની કમાણીમાંથી કેટલોક ભાગ આ હોસ્પિટલમાં પોતે ડોનેટ કરશે.






