
સુરત જિલ્લાના માંડવી (Mandavi) તાલુકામાં આવેલી નરેના આશ્રમ શાળામાં (Narena Ashramshala) ધોરણ 7 અને 8ની ચાર નહીં પણ 35 વિદ્યાર્થીનીઓની આચાર્યએ છેડતી કરી હોવાનું બહાર આવતા સનસનાટી મચી ગઈ છે. શાળામાં કુલ 177 વિદ્યાર્થીઓમાં 80 વિદ્યાર્થીનીઓ છે. વિદ્યાર્થીનીઓની છાતીને સ્પર્શ કર્યો અને તેના હોઠ પર ચુંબન કર્યુ. કેસમાં આરોપી આચાર્ય વિરુદ્ધ પોક્સો અને ટોર્ચર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.
આશ્રમશાળામાં બાળકીઓ અભ્યાસ કરતી હોય મનમાં વાસનાનો કીડો સળવળિયો હતો. આશ્રમશાળાની ચાર જેટલી બાળકીઓ સાથે શારીરિક અડપલા કર્યાના આરોપ શિક્ષક પર લાગ્યા હતા. શિક્ષક યોગેશ પટેલ ત્યાં જ આશ્રમ શાળામાં રહેતો હતો અને 177 જેટલી બાળકીઓ અહીં રહીને અભ્યાસ કરે છે.
ઘટના ત્યારે પ્રકાશમાં આવી કે ગત રોજ આદિજાતિ સત્તા મંડળના અધિકારીઓ શાળાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં શિક્ષણ બાબતે અધિકારીઓએ આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને સાંભળ્યા હતા. જ્યાં ભોગ બનનાર કેટલીક બાળાઓએ અધિકારીઓ સમક્ષ લંપટ શિક્ષક યોગેશ પટેલની કરતૂત અંગે જાણ કરી હતી. જેથી આખો મામલો પ્રકાશમાં આવતા સૌ કોઈ રોષે ભરાયા હતા.
લંપટ શિક્ષક યોગેશ પટેલની અટકાયત કરી
લંપટ શિક્ષક યોગેશ પટેલની કરતૂત સામે આવતા અધિકારીઓએ શાળાના આચાર્યને ધ્યાન દોરતા આશ્રમશાળાના આચાર્ય તાત્કાલિક મહિલા માંડવી પોલીસની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઈન સાથે માંડવી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને માંડવી પોલીસ પણ હરકતમાં આવી આશ્રમ શાળા ખાતે પહોંચી હતી અને લંપટ શિક્ષક યોગેશ પટેલની અટકાયત કરી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.
બાળકીઓને એકલામાં બોલાવી છેડતી કરતો હોવાની હકીકત સામે આવી
આશ્રમશાળા ખાતે પહોંચેલી પોલીસે પણ શિક્ષક યોગેશ પટેલ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. કારણ કે છેલ્લા ઘણા સમયથી શિક્ષક દ્વારા જે કોઈ રીતે બાળકીઓને એકલામાં બોલાવી છેડતી કરતો હોવાની હકીકત સામે આવી હતી. ભોગ બનનાર બાળકીઓએ જણાવેલી હકીકતના આધારે માંડવી પોલીસે પોક્સો એક્ટ ઉપરાંત અનુસૂચિત જાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી યોગેશ પટેલને જેલ હવાલે કરી દીધો હતો. ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે પણ ત્યાં અભ્યાસ કરતા અન્ય બાળકોની પણ પૂછપરછ આદરી હતી.






