આજથી બે દાયકાઓ પહેલા બનાસકાંઠા જિલ્લો આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત જિલ્લો ગણાતો હતો. ભૌગોલિક વિષમતાઓ અને સરહદી વિસ્તારમાં શિક્ષણ અને રોજગાર માટે લોકોને રીતસરનો સંઘર્ષ કરવો પડતો હતો. એકબાજુ પહાડી વિસ્તાર તો બીજી બાજુ રણ કાંઠાનો વિસ્તાર કે જ્યાં લોકો ખેતીવાડી અને પશુપાલન સાથે વધુ જોડાયેલા હતા. વિદ્યાર્થીઓને શિક્ષણ લેવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું. ઘણા આંતરિયાળ વિસ્તારોમાં તો વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ લેવા માટે મોકલતા પણ નહોતા તેવી સ્થિતિ વચ્ચે વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીની વરણી થઈ હતી.
નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યો શિક્ષણનો સૂર્યોદય
વડાપ્રધાન અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રા શરૂ કરી હતી. શિક્ષણ ક્ષેત્રે અન્ય જિલ્લાઓની સરખામણીએ પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લા માટે વડાપ્રધાનએ અનેક શિક્ષણલક્ષી યોજનાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમલી બનાવીને શૈક્ષણિક રીતે બનાસકાંઠા જિલ્લાને આત્મનિર્ભર બનાવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણનો સૂર્યોદય કરાવ્યો છે.

ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વધી
તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં બનાસકાંઠા જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કર્યો છે.વાત કરીએ વર્ષ ૨૦૦૧ની તો જિલ્લામાં સંપૂર્ણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા માત્ર ૦૪ હતી. છેલ્લા ૨૩ વર્ષમાં આ સંખ્યા ૧૭૧ સુધી પહોંચી છે. કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ સહિત નવી શિક્ષણ નીતિ સહિત અનેક યોજનાઓ અમલી બની છે. આજે જિલ્લામાં ૦૫ કિલોમીટરના અંતરે એક સરકારી માધ્યમિક શાળા કાર્યરત કરાઈ છે.
બનાસકાંઠા જિલ્લો હવે પછાત નથી
પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દાયકામાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન થયું છે. આંતરિયાળ ગામડાઓના અસંખ્ય વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓમાં જોડાયા છે. જિલ્લામાં ૭૦ ટકાથી વધુ સાક્ષરતા દર અને સરકારી શૈક્ષણિક સંકુલો બન્યા છે.બનાસકાંઠા જિલ્લાની શિક્ષણની યાદોને વાગોળતા પૂર્વ નાયબ નિયામક શિક્ષણ બી.કે ત્રિવેદી જણાવે છે કે, બનાસકાંઠાનું શિક્ષણ વડાપ્રધાન મોદીના સમયમાં ખૂબ આગળ વધ્યું છે. એક સમયે પ્રાથમિક શાળાઓમાં ભૌતિક સુવિધાઓનો અભાવ હતો, જે સુવિધાઓને પરિપૂર્ણ કરવા માટે દરેક શાળામાં એસ.એમ.સી કમિટી બની જે વડાપ્રધાનની શિક્ષણ ક્ષેત્રની સૌથી મોટી ભેટ ગણી શકાય. આજે જિલ્લાની નહિ, પરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં ભૌતિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં છે. શિક્ષકોની ઘટ તે સમયની સૌથી મોટી સમસ્યા હતી, પરંતુ શિક્ષકોની ભરતી અને બદલીમાં પારદર્શિતાથી શિક્ષણની દિશા બદલાઈ છે.
સરહદી વિસ્તારની દીકરીઓ ભણતી થઈ
તેઓ જણાવે છે કે, મારે એ વાત ચોક્કસ યાદ કરવી જોઈએ કે જ્યારે હું બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતો હતો ત્યારે વર્ષ ૨૦૦૫માં જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હતી. જિલ્લાના સુઈગામ તાલુકામાં બોર્ડની પરીક્ષામાં સમગ્ર તાલુકામાંથી માત્ર ૦૬ છોકરીઓ પરીક્ષા આપવા આવી હતી, જે પરથી આપ સમજી શકો છો કે, શિક્ષણની સ્થિતિ અહી શું હશે? પરંતુ આજે, સરહદી વિસ્તારની દીકરીઓ પણ ભણતી થઈ છે અને તેનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન મોદીને જાય છે.






