
વલસાડ જિલ્લામાં એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટ માટે માટીની જરૂરિયાતને કારણે તળાવો ખોદવા માટેની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. જોકે, હવે આ મામલે ઘણા પ્રશ્નો ઊભા થયા છે અને સ્થાનિક ગ્રામજનોએ પોતાનો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે.
તળાવમાંથી માટી ખોદવા માટે સરકારી ધારા-ધોરણો અનુસાર મંજૂરી લેવાઈ છે કે કેમ તેની તપાસ જરૂરી હોવાનું ગ્રામજનોનું કહેવું છે. ઘણા સ્થળોએ પાણીભરેલા તળાવો ખાલી કરીને માટી ખોદવામાં આવી રહી છે, જેને લઈને લોકોમાં આક્રોશ છે. તેઓનો પ્રશ્ન છે કે પાણીવાળા તળાવો ખાલી કરવા માટે કયા કાયદાઓ હેઠળ મંજૂરી આપવામાં આવી છે?

ગ્રામજનોઓએ ગ્રામપંચાયત પાસે સ્પષ્ટતા માગી છે કે જે તળાવોમાંથી માટી ખનન કરવામાં આવી છે એ માટે પૂરતી પ્રક્રિયા અપનાવવામાં આવી હતી કે નહીં. ઉપરાંત, ખોદવામાં આવેલી માટી અંતે ક્યાં ગઈ એની વિગતો પણ જનતાને આપવી જોઈએ એવી માંગ ઉઠી રહી છે.
હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે માટી ખોદકામ માટે કયા તળાવ પસંદ કરવામાં આવે છે અને માટીની ગુણવત્તાની ચકાસણી થાય છે કે નહીં? એક્સપ્રેસ હાઈવે જેવા મહત્ત્વના પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાતી માટીની ગુણવત્તા અને પ્રમાણભૂત હોવી જોઈએ.

સ્થાનિક લોકોની માંગ છે કે સરકાર એવા તળાવો પસંદ કરે જેમાં પાણી ન હોય અને જે જમીન ખેતી લાયક ન હોય. તેમજ, અત્યારસુધીમાં જે તળાવોમાં ખોદકામ થયું છે, તેની પણ સ્વતંત્ર તપાસ થવી જોઈએ.
આ પ્રસંગે એક મહત્વપૂર્ણ મુદ્દો એ પણ છે કે ગ્રામસભા બંધારણ અનુસાર સર્વોપરી છે. એટલે કે તળાવમાંથી માટી ખોદવા માટે ગામના લોકોને વિશ્વાસમાં લીધા વગર કાર્ય કરવું બંધારણનું ઉલ્લંઘન ગણાય.
આ સમગ્ર મુદ્દે સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તે કામગીરીમાં પારદર્શિતા રાખે અને નિયમોનું પાલન કરે.
વલસાડ જિલ્લામાં મોટા પાયે બિન અધિકૃત ખનન પ્રવૃત્તિ સામે યોગ્ય તપાસ જરૂરી છે.સરકાર દ્વારા જરૂરિયાત મુજબ માટીની જરૂરિયાત પરમિશન આપે તો સરકાર ની તિજોરીમાં કરોડની આવક થઈ શકશે.






