
મંગળવારના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે. દેશભરમાં આ ક્રૂર ઘટનાને લઈ શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે.
26 નિર્દોષ લોકોના મોત
મંગળવારના દિવસે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક ભયાનક આતંકવાદી હુમલો થયો, જેમાં અત્યાર સુધીમાં 26 નિર્દોષ લોકોના મોત નિપજ્યા છે. આ હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ પણ શામેલ છે, જેને લઈને સમગ્ર દેશમાં શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે.
16 મૃતકોના નામ જાહેર
મૃતકોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા અને ઉત્તર પ્રદેશના પ્રવાસીઓ શામેલ છે. અત્યાર સુધીમાં 16 મૃતકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ હુમલો એટલો ક્રૂર હતો કે લોકોને હચમચાવી દીધા છે.
ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી
સૂત્રોના જણાવ્યા મુજબ, આતંકવાદીઓએ પહેલા લોકોને રોકી તેમને કલમાનો પાઠ પઢાવવાનો કહ્યું અને પછી ગોળી મારી. કેટલાક પુરુષોને પેન્ટ ઉતારવાની ફરજ પડી હતી અને પછી તેમની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી.

રાષ્ટ્રીય સુરક્ષા કેબિનેટની બેઠક
આ હુમલાની જાણ થતાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયામાં ચાલી રહેલો તેમનો સત્તાવાર પ્રવાસ વચ્ચે છોડી દીધો અને મોડી રાત્રે જ ભારત પરત ફર્યા. દિલ્હી આવતા જ તેમણે તાત્કાલિક રાષ્ટ્રીય સુરક્ષા કેબિનેટની બેઠક બોલાવી.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે મહત્વપૂર્ણ બેઠક
બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તરત જ શ્રીનગર પહોંચી ગયા છે અને તેમણે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. હવે તેઓ પહેલગામની મુલાકાત પણ લઈ શકે છે.

ત્રણ વિદેશી અને એક સ્થાનિક
હુમલાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ગોળીબારના અવાજો સ્પષ્ટપણે સાંભળી શકાય છે. આશંકા છે કે હુમલાખોરો પોલીસના વસ્ત્રોમાં હતા, જેથી કોઈને શંકા ન જાય. ચાર આતંકવાદીઓમાં ત્રણ વિદેશી અને એક સ્થાનિક જણાતા હોવાનું જાણવા મળ્યું છે.

ગુપ્તચર સૂત્રો અનુસાર
લશ્કર-એ-તૈયબાના નવું મોરચું ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) એ આ હુમલાની જવાબદારી લીધી છે. ગુપ્તચર સૂત્રો અનુસાર, હુમલા પહેલા આતંકીઓએ વિસ્તારની સારી રીતે રેકી કરી હતી અને સમગ્ર યોજના ઘડી હતી.

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે પણ ગાઢ સંબંધ
હુમલામાં લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદનો નજીકનો સાથી અને નાયબ ચીફ સૈફુલ્લાહ કસૂરીના સંડોવણીના અણસાર મળ્યા છે. કહેવામાં આવે છે કે તેની પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે પણ ગાઢ સંબંધ છે.

વધુ આતંકવાદી આવેલ હોવાની આશંકા
સુરક્ષા દળોએ હુમલાની તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળ નજીકથી નંબર પ્લેટ વગરની કાળી બાઇક મળી છે, જેના પર ત્રણથી વધુ આતંકવાદી આવેલ હોવાની આશંકા છે. આ ઉપરાંત કેટલાક શંકાસ્પદ લોકોને પકડવામાં આવ્યા છે અને પૂછપરછ ચાલી રહી છે.

કડક બનાવવા માટે કામગીરી
આ દુઃખદ ઘટનાની વિશ્વભરમાં નિંદા થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા, રશિયા, ઈઝરાયલ, જર્મની સહિત ઘણા દેશોએ ભારતને સમર્થન આપ્યું છે. સરકાર અને સુરક્ષા દળો હવે કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવા માટે કામગીરી શરૂ કરી છે.






