
કપરાડા તાલુકાના અંભેટી ગામમાં 27એપ્રિલ, 2025 ના રવિવારે સવારે 8 વાગ્યે 66 KVA સબ સ્ટેશનનું ઉદ્દઘાટન કરવામાં આવશે. આ ઉદ્દઘાટન નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરહસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી પણ વિશેષ ઉપસ્થિત રહેશે.
આ સબ સ્ટેશનના કાર્યાન્વયનથી અંભેટી અને સુખાલા સહિત આસપાસના ગામોને મજબૂત અને નિયમિત વીજ પુરવઠો મળી રહેશે. વર્ષો બાદ અહીંના ગ્રામજનોને વીજળીના અછતના દિવસોથી રાહત મળશે. ખેતી, ઘરગથ્થું તેમજ લઘુ ઉદ્યોગોની પ્રવૃત્તિઓ માટે હવે વીજળીની અછત અડચણરૂપ નહીં રહે.
ઉર્જા વિભાગના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટથી વિસ્તારના વિકાસને ગતિ મળશે. સ્થાનિક લોકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેઓ આ નવા સબ સ્ટેશનથી જીવનમાં સુધારો આવશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.






