
- કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીની રજુઆતોને મળી સફળતા : ઘણા સમયથી તેઓ અંતરિયાળ વિસ્તારમાં રહેલા લોકો માટે સારી પરિવહન વ્યવસ્થાની જરૂરિયાત ઊઠાવતા રહ્યા હતા. રાજ્ય સરકારે તેમના પ્રયાસોને સહકાર આપતાં આ વિકાસ યોજનાને વેગ આપ્યો છે.
- કપરાડામાં અનેક વિદ્યાર્થીઓ છે જેમને ઉચ્ચ શિક્ષણ માટે તાલુકા કે જીલ્લા મથક સુધી પહોંચવું પડે છે. આ માર્ગો તેઓ માટે સરળતાથી સુલભ બનશે. આરોગ્યસેવા માટે પણ ટૂંકા સમયમાં દવાખાના સુધી પહોંચવું શક્ય બનશે. રોજગારી માટે હાઇવે અને નજીકના શહેરોમાં જતા લોકો માટે પ્રવાસ સરળ બનશે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં રોડની વ્યવસ્થાની વિકાસ દિશામાં રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ વિસ્તારના બે મહત્વના રસ્તાઓના વિસ્તરણ માટે કુલ રૂ. 38.30. કરોડના ખર્ચે 27.70 કિમી લંબાઈના રોડનું નિર્માણ કરવામાં આવશે.
ભવિષ્ય દ્રષ્ટિપૂર્ણ આયોજન અંતર્ગત પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની માંગણીઓ બાદ રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગાંધીનગરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત વર્તુળના અધિક્ષક ઈજનેરને જોબ નંબર ફાળવી દેવામાં આવ્યો છે, જેના આધારે બજેટ વર્ષ 2025-26 માટે પંચાયત વિભાગ હસ્તકના આ ગ્રામીણ માર્ગોને વિસ્તૃત કરવામાં આવશે.
આ યોજના હેઠળ પ્રથમ રોડ પાંચવેરા,કેલધા, વાવર, બારપુડા થી નેશનલ હાઇવે 848 સાથે જોડાશે. આશરે 15.30 કિ.મી લંબાઈનો આ માર્ગ હાલના 3.75 મીટરની જગ્યાએ 5.50 મીટર સુધી વિસ્તૃત કરવામાં આવશે. આ માર્ગમાં ઘાટ કટીંગ, નાળાકામ, પ્રોટેક્શન વર્ક, રોડ સેફ્ટી અને ફર્નિચરની કામગીરીનો સમાવેશ થશે. આ માર્ગ માટે અંદાજિત ખર્ચ રૂ. 21.01 કરોડ નિર્ધારિત કરવામાં આવ્યો છે. ચાવશાળા,નાંદગામ,માતુનિયા, મેણધા માર્ગ છે, જેની લંબાઈ 12.40 કિમી છે. આ માર્ગ પણ 3.75 મીટરથી વિસ્તૃત થઈ 5.50 મીટર સુધીનો બનાવાશે. અહીં નાળાકામ, પ્રોટેક્શન વર્ક, માઇનર બ્રિજ અને રોડ સેફ્ટી સાથે ફર્નિચરની કામગીરી થશે.આ માટે રૂ. 17. 29 કરોડનો અંદાજિત ખર્ચ કરવામાં આવશે.
આ રોડના નિર્માણથી કપરાડાના લોકો માટે શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના વિસ્તારોમાં પહોંચ સરળ બનશે. ખાસ કરીને ખેડૂત સમુદાયને પોતાના પાક-ઉત્પાદનના વાહન વ્યવહારમાં સહુલિયત મળશે. રોજિંદા જીવનમાં પરિવહન સુવિધાની ગુણવત્તામાં સુધારો થાય તેમ છે.
આ નવા વિકાસકાર્યો કપરાડા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પાયાનું કામ કરશે અને અહીંના ગ્રામજનોના જીવનસ્તર સુધારશે.






