
નેશનલ હાઈવે નજીક સ્થિત ભીલાડના સુપ્રસિદ્ધ ગોપાલકૃષ્ણ મંદિર ખાતે આજે ભીમ અગિયારસની પવિત્ર તિથિ નિમિત્તે વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા પૂજન દર્શન કરવામાં આવ્યા હતા અને તેમણે ભક્તો સમક્ષ ભાવવિભોર ઉદબોધન આપ્યું હતું.
પ્રફુલભાઇશુક્લએ કહ્યું હતું કે, “ભીલાડના ગોપાલકૃષ્ણજી હાઝરા હજુર છે. અહીંના ધ્વજ નીચે સનાતન ધર્મનું મૂળભૂત તત્વ અનુભવી શકાય છે.” તેમણે ઉમેર્યું કે આ પવિત્ર ધામના દર્શનથી મનને અનોખું શાંતિ અને શુકૂન પ્રાપ્ત થાય છે. “સનાતન સંસ્કૃતિનું જતન કરવા આવા પાવન સ્થાનો અને મંદિરો આજે વધારે જરૂરી બની રહ્યા છે,” એમ તેમણે શાંતિપૂર્વક કહ્યું.
આજના શુભ દિવસે ભક્તો દ્વારા વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરાયા અને ભગવાન ગોપાલકૃષ્ણને 1000 તુલસીદળોનો વિશાળ હાર અર્પણ કરવામાં આવ્યો. મોટી એકાદશી હોવાને કારણે સવારથી જ ભક્તોનો ધસારો મંદિર પરિસરમાં ઉમટી પડ્યો હતો. શ્રી કૃષ્ણના દર્શન માટે ભક્તિભાવથી ઝૂમી ઉઠેલા ભાવિકોએ શ્રદ્ધાસભર ભજન-કીર્તન કર્યું અને “રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ” ના ધ્વનિથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
પૂજારી શ્રી મગનલાલ મહારાજ તથા યુવા કથાકાર વિનયભાઈ નાયક દ્વારા પૂજ્ય પ્રફુલભાઈ શુક્લનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિર સમિતિ દ્વારા આજે ખાસ શણગાર તથા આરતીનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં સ્થાનિકો અને ભક્તમંડળે મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
આ સંદર્ભે મંદિરના સેવા કાર્ય તથા ભક્તિમય વાતાવરણ માટે ભાવિકોએ ખુબજ સરાહના વ્યક્ત કરી હતી અને આગામી તહેવાર/એકાદશી દરમ્યાન પણ આવા આયોજન થવા જોઈએ તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.






