
મોન્ટ્રીઅલ ખાતે શ્રીમદ્ ભાગવત કથા આરંભ: સંસ્કૃતિનો ઉજાસ વિદેશી ધરતી પર પ્રગટ્યો
વિશ્વપ્રસિદ્ધ કથાકાર, આધ્યાત્મિક જ્યોતિરૂપ અને જીવનમાં સંસ્કારના સંચારક શ્રી પ્રફુલભાઈ શુક્લના પાવન પદાર્પણ સાથે મોન્ટ્રીઅલ શહેરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથાનો ભવ્ય આરંભ થયો છે. શ્રી શુક્લજી પોતાની જીવનની ૮૮૪મી ભાગવત કથા માટે વિદેશની ધર્મમય ધરતી પર પધાર્યા છે, જ્યાં હિંદુ સમુદાયમાં ઉમંગ અને ભાવનાનું આલોહ આપતું વાતાવરણ સર્જાયું છે.

આવાં સમયે રામજી મંદિર, મંધાતા, મોન્ટ્રીઅલ ખાતે વિધાનપૂર્વક તેમના આગમનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મંદિરના પ્રમુખ શ્રી કિશોરભાઈ આટવાળા, તથા જેરામભાઈ પેથાણવાળા, સંપતભાઈ મોટી કાકરાદ, વિજયભાઈ સિમરગામ, અરવિંદભાઈ ઓજલ, યોગેશભાઈ મટવાડ, કિરણભાઈ એલ્યૂરા, તેમજ દર્શનાબેન, કુસુમબેન, ઉર્વશીબેન સહિત ભક્તમંડળી ભાવપૂર્વક હાજર રહી હતી.

કથાના પ્રારંભ સમયે પૂજારીશ્રી દર્શનભાઈ વૈદ્ય, હિમાંશુભાઈ વૈદ્ય અને ભાવેશભાઈ જોશી દ્વારા શ્રીમદ્ ભાગવતના મંત્રોચ્ચાર અને દિવ્ય પૂજનવિધિ સાથે આધ્યાત્મિક શરૂઆત કરાવવામાં આવી.
કથા દરરોજ સાંજે 6:30 થી 9:00 વાગ્યા સુધી સંચાલિત થશે, જેમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ, શ્રીમતી રુક્મિણીજીનું વિવાહોત્સવ, અને અન્ય પાવન પ્રસંગોની ઉજવણી ભક્તિભાવથી થશે. મંદિર ભવ્ય રોશની, પુષ્પસજ્જા અને સંગીત સાથે ભક્તિમય બન્યું છે.


વિદેશની ધરતી પર ધર્મનો ધ્વજ લહેરાવતો જોઈ ભક્તોમાં આનંદની લહેર ફેલાઈ છે. મોન્ટ્રીઅલના હિંદુ ભાઈ-બહેનોમાં કથા સાંભળવા માટે ભારે ઉત્સાહ છે. સાવ ધાર્મિક લાગણી સાથે લોકો પરિવારો સાથે ઉપસ્થિત રહી ભગવતકથા રસપાન કરી રહ્યા છે.
પ્રફુલભાઈ શુક્લની વાણી ભક્તોને જીવનનો સત્ય અર્થ સમજાવે છે. તેમની શૈલી સરળ, સ્પર્શક અને આધ્યાત્મિક ઉંચાઈઓથી ભરેલી હોય છે. તેમના પ્રવચન માત્ર શાસ્ત્રીય જ્ઞાન નહીં, પણ જીવન પ્રેરણા પણ આપે છે.
આ આયોજન દ્વારા ભારતીય સંસ્કૃતિને વિદેશમાં જીવંત રાખવાનું કાર્ય થયું છે. શ્રીરામના નામની ધૂન અને કૃષ્ણલિલાની ભાવલતા મોન્ટ્રીઅલના આ મંદિરમાં પ્રસરી રહી છે. વિવિધ ભક્તમં ડળીઓ, સંગીતકારો અને સેવાભાવીઓ દ્વારા આ કથાને ભવ્યતા મળતી રહી છે.
વિદેશમાં વસતા હિંદુઓ માટે આ પ્રસંગ માત્ર ધાર્મિક નથી, પણ તેમની ઓળખ, સંસ્કૃતિ અને સંત્સંગના માધ્યમથી થયેલી આધ્યાત્મિક એકતાનું પ્રતિબિંબ છે. “જ્યાં રામ કથા થાય, ત્યાં કલ્યાણ નિશ્ચિત છે” – એ સંદેશ મોન્ટ્રીઅલના આ ભૂમિ પર અનુભવી શકાય છે.




