
દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત યાત્રાધામ અને શક્તિ પીઠ સમાન ઉનાઈ માતા મંદિર ભાદરવી પૂનમના દિવસે ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહથી છલકાયું. આ પ્રસંગે વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ વિધિ યોજાઈ હતી.
ઉનાઈ માતા મંદિર એ સ્થળ છે જ્યાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી પણ લાખો ભક્તો અખૂટ શ્રદ્ધા સાથે દર વર્ષે હાજરી આપવા આવે છે. ભાદરવી પૂનમના દિવસે આ ધામ પર વિશેષ ઉજવણી થતી હોવાથી ગામમાં જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં આનંદની લહેર દોડી ગઈ હતી.
ધ્વજારોહણ પ્રસંગે પ્રફુલભાઈ શુક્લાએ માતાજીની પૂજા, અર્ચના અને આરતી કરી. પોતાના આશીર્વચનાત્મક શબ્દોમાં તેમણે કહ્યું કે, “ઉષ્ણ અંબા ઉનાઈ માતા હાજરાહજુરીમાં રહેનાર માતાજી છે. આ માતા લાખો ભક્તોની આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. કલિયુગમાં જે કોઇ સાચી શ્રદ્ધાથી ‘મા’ને ભજે છે તેને માતાજી અભયદાન આપે છે.”
આ પ્રસંગે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરા, નાયબ મામલતદાર ધીરેન્દ્ર વેકરીયા, સામાજિક કાર્યકર હરેશભાઈ પરમાર, રંજનબેન ભક્તાણી, બનશીભાઈ ટેલર, બિપીનભાઈ ભેરવી, ડેલાવાલા ચેતનકુમાર જાની, આયુષ આદર્શ જાની તથા અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિધિ દરમ્યાન મંદિરના પૂજારી રાકેશ દુબે દ્વારા મંત્રોચ્ચાર સાથે પરંપરાગત વિધિઓ કરાવવામાં આવી હતી. ભારે વરસાદ હોવા છતાં મંદિરના પટાંગણમાં હજારો ભક્તો માતાજીના દર્શનાર્થી ઉમટી પડ્યા હતા. ખાસ કરીને યુવાઓ અને મહિલાઓ ભક્તિભાવ સાથે ગરબે ઘૂમી રહ્યા હતા. “બોલ માડી અંબે, જય જગદંબે”ના ગગનભેંદી નાદ સાથે સમગ્ર ઉનાઈ ગામ ભક્તિમય થઈ ઉઠ્યું હતું.
મંદિર સંચાલકો દ્વારા ભક્તોની સુવિધા માટે પીવાના પાણી, પ્રસાદ, પાર્કિંગ તેમજ વરસાદી પરિસ્થિતિમાં પણ સુરક્ષા અને વ્યવસ્થાનો સુંદર બંધોબસ્ત કરવામાં આવ્યો હતો. ભારે વરસાદ વચ્ચે પણ ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો. માતાજીની આરતી પછી ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉનાઈ માતા મંદિર વર્ષોથી દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો માટે શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક રહ્યું છે. ભાદરવી પૂનમ જેવા પાવન દિવસે યોજાતા આ મહોત્સવથી ગામમાં ધાર્મિકતા સાથે સાથે સામાજિક એકતાનો સંદેશ પણ ફેલાયો છે.






