
વલસાડ જિલ્લામાં મકાન બાંધકામ, ઔદ્યોગિક એકમો, રોડ-ટેલિફોન કંપનીઓ, લગ્નમંડપ, હોટલો, માર્કેટ, દુકાનો તથા અન્ય વિવિધ સ્થળોએ કાર્યરત પરપ્રાંતીય મજૂરો અને કારીગરોની માહિતી તેમના માલિકો/કોન્ટ્રાક્ટરો દ્વારા પોલીસને પૂરતી પ્રમાણભૂત રીતે પુરી પાડી શકાતી નથી, જેને લઈને અસહજ પરિસ્થિતિ ઉભી થાય છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્મા (IAS) દ્વારા જાહેરનામું બહાર પાડીને કડક હુકમ આપવામાં આવ્યો છે કે, આવા તમામ મજૂરોના માલિકોએ કે કોન્ટ્રાક્ટરોએ તેમના મજૂરો/કર્મચારીઓની મુળ વતન, હાલના સરનામા, આઈડી પુરાવા, ફોટોગ્રાફ, પૂર્વ ગુનાહિત ઇતિહાસ વગેરે સહિતની તમામ માહિતી નિર્ધારિત ફોર્મેટમાં તેમના નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી ફરજિયાત રહેશે.
આ માહિતી જાહેરનામાની તારીખથી 15 દિવસની અંદર પોલીસને આપવામાં આવવી જરૂરી છે. કોઈ પણ ગુનાહિત પ્રવૃતિ કે રાષ્ટ્રદ્રોહી તત્વો સાથે સંકળાયેલ વ્યક્તિઓ સામે કાર્યવાહી સરળતાથી થાય એ માટે આ પગલાં લેવાયા છે. જો પોલીસ વિભાગ દ્વારા ક્યાંક તપાસ અથવા પુછપરછ માટે માંગ કરવામાં આવે, તો સંબંધિત માલિકો દ્વારા તાત્કાલિક માહિતી આપવી ફરજિયાત ગણાશે.
નોટ: આ સૂચના તમામ બિલ્ડરો, લેબર કોન્ટ્રાક્ટરો અને વ્યવસાયિક એકમોના માલિકો માટે ફરજિયાત રીતે લાગુ પડે છે. જો તમારું યુનિટ કે વ્યવસાય પરપ્રાંતીય મજૂરો સાથે સંકળાયેલું છે તો તરત જ માહિતી તૈયાર કરો અને 15 દિવસની અંદર નજીકના પોલીસ મથકે જમા કરો.






